News of Monday, 14th October 2019
વલ્લભગઢ, તા. ૧૪ : હરિયાણામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવતીરીતે તમામ મુદ્દા ઉઠાવ્યા હતા. મોદીએ કલમ ૩૭૦, બાલાકોટ અને અન્ય જટિલ મુદ્દાઓ ઉપર વાત કરી હતી. મોદીએ વલ્લભગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન યુદ્ધવિમાન તેજસ, રાફેલ, વન રેંક વન પેન્શન, ત્રિપલ તલાક જેવા મુદ્દાઓ ઉપર વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, દેશમાં થઇ રહેલા દરેક પ્રકારના સુધારાની સામે, દરેક પરિવર્તનની સામે કોંગ્રેસ અને તેના જેવા દળો દિવાલ બનીને ઉભા થઇ રહ્યા છે. કઇરીતે ત્રિપલ તલાકની સામે કાનૂન બનાવતી વેળા રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જુદા જુદા પ્રકારના બહાના બનાવવામાં આવ્યા હતા પરંતુ દેશના લોકોનો અભિપ્રાય બિલકુલ સ્પષ્ટ છે કે, હવે માત્ર વિરોધ અને પ્રતિરોધની રાજનીતિ ચાલશે નહીં. હવે દેશ માત્ર વિકાસ ઇચ્છે છે અને તેઓ સંતોષ સાથે કહી શકે છે. ભાજપ અને તેમના સાથી પક્ષો આના માટે ઇમાનદારીથી પ્રયાસ કરી રહ્યા છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, હરિયાણામાં સરકારી ભરતીનો મતલબ પહેલા લાંચ-રૂશ્વત અને યુવાઓ સાથે છેતરપિંડી રહેતી હતી.
નોકરીઓ માટે જુદા જુદા પ્રકારના ખેલ થતાં હતા પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ ચુકી છે. ઇમાનદારી અને નિષ્ઠા સાથે સરકાર કામ કરી રહી છે. વલ્લભગઢમાં રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, છેલ્લી વખતે હરિયાણા ચૂંટણીના સમયે જે લોકો તેમને કેપ્ટન અંગે વાત કરી રહ્યા હતા તે લોકો આજે પોતાની ટીમને સમેટવામાં લાગેલા છે અને અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, પાંચ વર્ષના ગાળા બાદ હરિયાણા સરકારના કેપ્ટન પણ પૂર્ણ બુલંદી સાથે ઉભા છે અને મજબૂત ટીમ પણ રહેલી છે. આ એવી ટીમ છે જેને વિકાસના મામલામાં હરિયાણાને અગ્રણી બનાવવામાં ભૂમિકા ભજવી છે. જનતાના વિશ્વાસ અને તેમના સાથ સહકારથી ભારત આજે એવા નિર્ણય લઇ શકે છે જેની પહેલા કલ્પના પણ કરી શકાતી ન હતી. મોદીએ વિપક્ષી નેતાઓને ફરી એક,વાર ૩૭૦ના મુદ્દે પડકાર ફેંક્યો હતો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, કલમ ૩૭૦ના સમર્થકો હરિયાણાના લોકોને આના ફાયદા તરીકે ગણાવે તે જરૂરી છે. આ માત્ર હરિયાણાની નહીં બલ્કે દેશની ભાવના હતી કે, જમ્મુ કાશ્મીરને અલગતાવાદ અને હિંસામાંથી કાઢીને સદ્ભાવ અને સશક્તિકરણના માર્ગ ઉપર લઇ જવામાં આવે.
આજે જમ્મુ કાશ્મીર અને લડાખ વિકાસ અને વિશ્વાસના એક નવા રસ્તા પર આગળ વધી ચુક્યા છે. કલમ ૩૭૦ની ઉપસ્થિતિમાં જમ્મુ કાશ્મીરમાં લોકોને નોકરીઓ મળી રહી ન હતી પરંતુ હવે આ લોકો પણ સામાન્ય લોકોની જેમ જ નોકરી મેળવી શકશે. એમે તેમના અધિકારો આપી ચુક્યા છે. જે લોકોના હિતો ઉપર આ નિર્ણયથી પ્રહાર થયા છે તે હચમચી ઉઠ્યા છે અને આવા લોકો નિર્ણયને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. વિદેશમાં જઇને મદદ માંગી રહ્યા છે. જે પરિવારોના પુત્રો જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક લોકોની સુરક્ષા કરતા શહીદ થઇ ગયા હતા તે સંદર્ભમાં માહિતી આપવામાં આવે તે જરૂરી છે. સેનાના સશક્તિકરણ માટે ભાજપ કટિબદ્ધ છે અને સતત ગતિ આપવામાં વ્યસ્ત છે.