Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

માલ્યા ભાગવાનો છે તેની SBIને ખબર હતીઃ CBIએ લુકઆઉટ નોટીસ મામલે ભૂલ સ્વીકારી

સુપ્રીમ કોર્ટના વકીલનો સનસનીખેજ ખુલાસોઃ એસબીઆઈને ૪ દિવસ પહેલા જ ખબર હતી કે વિજય માલ્યા દેશ છોડીને ભાગી જવાનો છેઃ એસબીઆઈએ કરી સ્પષ્ટતાઃ સીબીઆઈએ ભૂલ સ્વીકારતા કહ્યુ કે, લુકઆઉટ સરકયુલરમાં ફેરફાર કરવો એ એરર ઓફ જજમેન્ટ હતું: એ વખતે માલ્યા તપાસમાં સહકાર આપતા હતા અને તેમના વિરૂદ્ધ કોઈ વોરન્ટ પણ ન હતું

નવી દિલ્હી, તા. ૧૪ :. દારૂના ઉદ્યોગપતિ અને ભાગેડુ વિજય માલ્યાના એક નિવેદનથી દેશના રાજકીય પક્ષો સહિત અનેક બેન્કીંગ સેકટરમાં હલચલ મચી ગઈ છે. વિજય માલ્યાના નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર તૂટી પડયા છે. આ દરમિયાન વિજય માલ્યાને લઈને સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાને આપી હતી કે વિજય માલ્યાને વિદેશ જતો રોકી શકાય તેમ હતો જો કે બેન્કે કાનૂની સલાહ પર કોઈ કાર્યવાહી કરી ન હતી. તો બીજી તરફ માલ્યાના લૂકઆઉટ નોટીસના ફેરફાર પર સીબીઆઈ પોતાની ભૂલ સ્વીકારી છે અને કહ્યુ છે કે લુકઆઉટ સરકયુલરમાં ફેરફાર કરવો એ એરર ઓફ જજમેન્ટ હતું.

સુપ્રીમ કોર્ટના વકીલ દુષ્યંત દવેનું કહેવુ છે કે મેં એસબીઆઈના મેનેજમેન્ટના વડાને મળી તેમને એવી સલાહ આપી હતી કે, વિજય માલ્યા ભારતથી ભાગી શકે છે. તેમણે કહ્યુ હતુ કે એસબીઆઈ સાથે મારી મુલાકાત રવિવારે ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ થઈ હતી. દવેએ એસબીઆઈને માલ્યાનો પાસપોર્ટ રદ્દ કરવાની સલાહ આપી હતી. આ સિવાય તેમણે જણાવ્યુ હતુ કે એસબીઆઈના અધ્યક્ષ અને ટોચના પદો પર બેસેલા સરકારના લોકો આ બેઠક અને મેં આપેલી સલાહ અંગે જાણતા હતા. જો કે કોઈએ કાર્યવાહી ન કરી અને તે પછી માલ્યા ચાર દિવસ બાદ દેશ છોડી ભાગી ગયો હતો.

જો કે સુપ્રીમ કોર્ટના વકીલના દાવા પર એસબીઆઈએ સ્પષ્ટતા કરી છે. બેન્કે કોઈ લાપરવાહી રાખી નથી.

દરમિયાન સીબીઆઈએ લુકઆઉટ નોટીસમાં ફેરફારના મામલામાં પોતાની ભૂલ સ્વીકારી છે. માલ્યાની નોટીસને ધરપકડથી બદલીને માત્ર સૂચના આપવામાં બદલવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યુ છે કે માલ્યા વિરૂદ્ધ ૨૦૧૫ના લુકઆઉટ સરકયુલરમા ફેરફાર કરવો એ એરર ઓફ જજમેન્ટ હતું. એ વખતે સુબ્રણ્યમ સ્વામીએ પણ સવાલો ઉઠાવ્યા હતા.

લુકઆઉટ નોટીસમાં ફેરફારનુ કારણ જણાવતા સીબીઆઈએ કહ્યુ છે કે, એ સમયે માલ્યા તપાસમાં સહયોગ કરતા હતા અને તેમની વિરૂદ્ધ કોઈ વોરંટ ન હતું. ૩ વર્ષ બાદ આ વિવાદ ફરી સામે આવતા સીબીઆઈ કહ્યુ છે કે, ૧૨ ઓકટોબર ૨૦૧૫ના રોજ જ્યારે પહેલો લુકઆઉટ સરકયુલર જારી થયો હતો ત્યારે માલ્યા વિદેશમાં હતા.

માલ્યા પાછા ફર્યા ત્યારે બ્યુરો ઓફ ઈમીગ્રેશને સીબીઆઈને પૂછયુ હતુ કે, શું માલ્યાની ધરપકડ કરવી જોઈએ ? ત્યારે સીબીઆઈ કહ્યુ હતુ કે, ધરપકડ કે અટકાયત કરવાની જરૂરીયાત નથી કારણ કે તેઓ એક સાંસદ છે અને તેમની વિરૂદ્ધ કોઈ વોરંટ નથી.

સીબીઆઈના સૂત્રોના કહેવા મુજબ માલ્યા વિરૂદ્ધ તપાસ પ્રારંભિક તબક્કામાં હતી. એજન્સી એ વખતે ૯૦૦ કરોડ રૂપિયાના લોન ડીફોલ્ટરના મામલામાં આઈડીબીઆઈ પાસેથી દસ્તાવેજો એકત્રીત કરતી હતી. સીબીઆઈનું કહેવુ છે કે નવેમ્બર ૨૦૧૫ના અંતિમ સપ્તાહમાં માલ્યા વિરૂદ્ધ એક નવુ એલઓસી જારી કરાવ્યુ હતુ જેમાં દેશભરના તમામ રેકોર્ડને માલ્યા આવે તો તેની સૂચના આપવા કહેવાયુ હતું. આ સરકયુલર જારી થતા જ અગાઉ માલ્યાની ધરપકડ કરવાવાળો સરકયુલર રદ્દ થઈ ગયો હતો. બ્યુરો ઓફ ઈમીગ્રેશન ત્યાં સુધી કોઈ વ્યકિતની ધરપકડ કે વિમાનમાં બેસવાથી રોકતુ નથી કે જ્યાં સુધી તેને સરકયુલરમાં આવુ ન જણાવાઈ.

સૂત્રોએ કહ્યુ હતુ કે માલ્યાએ ઓકટોબરમાં વિદેશ યાત્રા કરી હતી અને નવેમ્બરમાં પરત આવ્યા હતા. તેઓ ડીસેમ્બરમાં ૨ વખત વિદેશ યાત્રાએ ગયા અને જાન્યુઆરી ૨૦૧૬માં પણ વિદેશ ગયા. આ દરમિયાન ૩ વખત પૂછપરછ માટે આવ્યા કારણ કે લુકઆઉટ સરકયુલર જારી થયો. સીબીઆઈએ હવે લુકઆઉટ સરકયુલરને ભૂલ સ્વીકારી. માલ્યા ૨ માર્ચ ૨૦૧૬ના રોજ બ્રીટન રવાના થઈ ગયા હતા.(૨-૩)

(11:59 am IST)