Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનાં MRI રિપોર્ટમાં ધડાકો : કલાકારની મગજની કોઈ નસ દબાઈ હોવાનું ખૂલ્યું

રાજુ શ્રીવાસ્તવના મગજની કોઈ નસ દબાઈ રહી હોવાથી રિકવર કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે, રાજુ જલદી રીકવર થશે : દીપ શ્રીવાસ્તવ

મુંબઈ તા.14 : હૈદરાબાદનાં પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી લથડી છે. શુક્રવારે પરિવારે તેમની તબિયત સુધરવાની વાત કહી હતી, પરંતુ શનિવારે કોમેડિયનની તબિયત ફરી બગડવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે, રાજુને હાર્ટ એટેક આવ્યા બાદ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોની વિશેષ ટીમ તેમની સારવાર કરી રહી છે. ત્યારે ડોકટર દ્વારા MRI રિપોર્ટ કરવામાં આવતા ચોકાવનારો ખુલાસો થયો છે.

લેટેસ્ટ માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રે રાજુ શ્રીવાસ્તવનુ ડોકટરોએ એમઆરઆઈ કર્યુ હતુ અને કોમેડિયના ભાઈ દીપનુ કહેવુ છે કે, રાજુ શ્રીવાસ્તવના મગજની કોઈ નસ દબાઈ રહી છે જેને રિકવર કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. દરેકને આશા છે કે, રાજુ શ્રીવાસ્તવ જલદી રીકવર થશે. જોકે રાજુને સાજા થવામાં સમય લાગી શકે છે.

ડોકટરો રાજુ શ્રીવાસ્તવને ઠીક કરવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે.દરમિયાન રાજુ શ્રીવાસ્તવના સંબંધીઓ તેમજ પરિચિતો મોટી સંખ્યામાં તેની તબિયત જોવા માટે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.જોકે રાજુને મળવા માટે કોઈને પરવાનગી અપાઈ નથી.

નોંધનીય છે કે, રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે તેવા અહેવાલ વહેતા થયા હતા ત્યારે શુક્રવારે મોડી રાત્રે રાજુ શ્રીવાસ્તવના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પરથી પરિવારજનોએ એક અપીલ કરી હતી કે, રાજુની તબિયત સ્થિર છે. તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. તમામ ફેન્સે પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

(8:42 pm IST)