Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જો વડાપ્રધાન મોદી અેક સાથે ચૂંટણી ઇચ્‍છતા હોય તો તેઓ લોકસભા ભંગ કરી નાખેઃ હજુ અેક દેશ-અેક ચૂંટણી સંભવ નથી, આ માટે બંધારણમાં સંશોધન કરવું પડશેઃ ભાજપની યોજના સામે કોંગ્રેસે પોતાના વિચારો રજૂ કર્યા

નવી દિલ્હીઃ નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની સાથે જ 11 રાજ્યોની વિધાનસભા ચૂંટણી કરાવવાની ભાજપની યોજના પર કોંગ્રેસે પોતાનો પક્ષ રજુ કર્યો છે. કોંગ્રેસે મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો વડાપ્રધાન મોદી એક સાથે ચૂંટણી ઈચ્છતા હોય તો તેઓ લોકસભા ભંગ કરી નાખે. કોંગ્રેસનું એમ પણ કહેવું છે કે હજુ એક દેશ એક ચૂંટણી સંભવ નથી. આ માટે બંધારણમાં સંશોધન કરવું પડશે. 

કોંગ્રેસે કહ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ભંગ કરે તો ચૂંટણી માટે તેમની પૂરેપૂરી તૈયારી છે. કોંગ્રેસે માગણી કરી છે કે પીએમ મોદી પોતાના પદેથી રાજીનામું આપે અને ચૂંટણી પહેલા કરાવે. 

અત્રે જણાવવાનું કે વન નેશન વન ઈલેક્શનની વધતી માગ વચ્ચે ભાજપ લોકસભાની સાથે સાથે 11 વિધાનસભા ચૂંટણી પણ કરાવી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ માટે બંધારણમાં કોઈ પણ પ્રકારના સંશોધનની જરૂર નથી. જો કે રાજકીય પક્ષો બંધારણની જોગવાઈનો હવાલો આપીને જ તેનો વિરોધ કરી રહી છે. 

કેટલાક વર્ગો તરફથી આ સંકેતો વચ્ચે કે લોકસભાની ચૂંટણી આગામી વર્ષની શરૂઆતમાં 11  વિધાનસભાની સાથે કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપે ખર્ચ પર અંકુશ માટે એક સાથે ચૂંટણી યોજવા પર ભાર મૂક્યો છે. જેના માટે ભાજપ શાસિત ત્રણ રાજ્યોની ચૂંટણીને પાછી ઠેલવી શકાય છે અને 2019માં બાદમાં થનારા કેટલાક રાજ્યોની ચૂંટણી પહેલા કરાવી શકાય છે. 

ભાજપ સૂત્રોએ જો કે કહ્યું કે રાજ્યોની ચૂંટણી વિલંબમાં નાખવાની કે પહેલા કરાવવાને લઈને કોઈ નક્કર પ્રસ્તાવ નથી અને આ વિચાર પર પાર્ટીની અંદર ઔપચારિક રીતે ચર્ચા કરાઈ નથી. કારણ કે આવા પગલાંની બંધારણીય કાયદેસરતાને ધ્યાનમાં રાખવી પડશે. 

દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા પર પૂરજોશમાં વકાલત કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે તેનાથી ચૂંટણી પર થતા પુષ્કળ ખર્ચા પર લગામ કસવામાં અને દેશના સંઘીય સ્વરૂપને મજબુત બનાવવામાં મદદ મળશે. સોમવારે આ આશય સંબંધિત વિધિ આયોગને લખેલા પત્રમાં અમિત શાહે કહ્યું કે એક સાથે ચૂંટણી કરાવવી એ ફક્ત પરિકલ્પના નહીં પરંતુ એક સિદ્ધાંત છે જેને લાગુ કરાવી શકાય છે. 

ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ પાયાવિહોણી દલીલ છે કે એક સાથે ચૂંટણી દેશના સંઘીય સ્વરૂપની વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણી કરાવવાથી દેશનું સંઘીય સ્વરૂપ મજબુત થશે. વિધિ આયોગને લખેલા આઠ પાનાંના પત્રમાં શાહે કહ્યું કે એક સાથે ચૂંટણી કરાવવાનો વિરોધ કરવો એ રાજનીતિથી પ્રેરિત લાગે છે. ઉલ્લેખનીય છે કે એક સાથે ચૂંટણી કરાવવાની વ્યવહારિકતા પર વિધિ આયોગ વિચાર કરી રહ્યો છે અને તેઓ પોતાના રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા રાજનીતિક પક્ષોનો વિચાર જાણી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાથે ચૂંટણી કરાવવાના પક્ષમાં રહ્યાં છે. 

(6:26 pm IST)