Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

હર્બલ પ્રોડકટની ડિમાન્ડમાં વધારો

કોરોનાને કારણે હળદર-આદુની ખેતીમાં વધારોઃ કેપ્સ્યુલ-પાઉડર બનવા લાગ્યા

અમદાવાદ, તા.૧૪: જીવલેણ કોરોના વાયરસ સામેની લડાઈમાં હર્બલ પ્રોડકટ મદદ કરતી હોવાનું ડોકટરોનું કહેવું છે, ત્યારે છેલ્લા ૩ મહિનામાં તેની માગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ તેનું ઉત્પાદન કરતાં ખેડૂતો પણ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

IT ગ્રેજયુએટ અને ઉદ્યોગપતિઓ સહિત ઘણા ખેડૂતો હળદર અને આદુના પાકમાંથી પોતાની પ્રોડકટ બનાવીને આવકને બમણી અને ત્રણ ગણી કરી રહ્યા છે.

નોકરી કરવાના બદલે 'ધરતીપુત્ર' બનવાનું પસંદ કરનાર IT ગ્રેજયુએટ દેવેશ પટેલે હમણા જ પોતાની બ્રાન્ડ લોન્ચ કરી છે. જેના હેઠળ તેઓ આણંદ જિલ્લાના બોરીયાવી ગામમાં ૩૫ વીદ્યા જમીનમાં ઉગતી ઓર્ગેનિક હળદર અને આદુમાંથી કેપ્સ્યૂલ્સ, પાઉડર અને અથાણું બનાવે છે. તેઓ પહેલાથી જ ગુજરાતના મુખ્ય બજારોના રિટેલ સ્ટોર્સમાં, મુંબઈ જેવા મહાનગરોમાં તેમજ 'ખાદી ગ્રામ ઉદ્યોગ'માં પણ પોતાની ઓર્ગેનિક પ્રોડકટ મોકલીને વર્ષે ૩૦ લાખથી ૪૦ લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા હતા.

હવે તેમની વાર્ષિક આવક ત્રણ ગણી એટલે કે ૧.૫ કરોડ થઈ ગઈ છે અને તેઓ પશ્ચિમના નિકાસકાર બની ગયા છે. 'કોરોના વાયરસ મહામારીના કારણે હળદરમાંથી કેપ્સ્યૂલ્સ બનાવવાનું નક્કી કર્યું. હળદરને પાણી સાથે મિકસ કરીને તેનું સેવન કરવામાં આવે તો પરિણામ ૪૫ દિવસ પછી જોવા મળે છે, જયારે દૂધ સાથે તેનું સેવન કરવામાં આવે તો પરિણામ અઠવાડિયા બાદ મળે છે. જયારે કેપ્સ્યૂલ્સની અસર તરત જ દેખાય છે'

થર્ડ-પાર્ટી પેકેજિંગ હેઠળ તેઓ હવે આ કેપ્સ્યૂલ્સને વેચવા માટે અમેરિકાના લોકો સાથે ટાઈ-અપ કરવાનું વિચારી રહ્યા છે. 'હું વર્ષે ૧૫ લાખ સૂકી હળદર અને આદુ ઉગાડુ છું, જે પાછળથી ડિહાઈડ્રેટ થઈ જાય છે' તેમ ૩૮ વર્ષના દેવેશ પટેલે કહ્યું. જેમણે મહામારી બાદ પોતાનું ધ્યાન ન્યુટ્રાસ્યુટીકલ્સ તરફ કેન્દ્રીત કર્યું છે.

મધ્ય ગુજરાતમાં દસમાંથી આઠ જેટલા ખેડૂતો હવે પોતાના ખેતરની પેદાશના વેલ્યૂ-એડિશનના કાર્યમાં સામેલ થયા છે.

સિંધરોટમાં ખેતર ધરાવતા અનુજ પટેલ નામના એન્જિનિયર વેલ્યૂ એડિશનથી હવે ૨૫થી ૩૦ ટકા વધુ કમાણી કરે છે. 'મેં દાળ અને ચોખાથી શરૂઆત કરી હતી પરંતુ હવે હળદર અને આદુ ઉગા઼ડી રહ્યો છું. માર્કેટમાં જે કંઈ વેચાતુ નહોતું તેને પ્રોસેસ કરવામાં આવતું હતું. પરંતુ હવે હળદર, આદુ પાઉડર અને પ્રોસેસ્ડ તુવેર દાળ વધારે વળતર આપે છે, તેથી મેં કાચી ઉત્પાદનોનુ વેચાણ બંધ કરી દીધું છે', તેમ ખાનગી કંપનીના પ્રોડકશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં અનુજે કહ્યું. સુરતના રહેવાસી ચિંતન શાહ, કે જેનો પરિવાર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેણે આણંદ જિલ્લાના ગંભીરામાં ચાર વર્ષ પહેલા કેમિકલ અને જંતુનાશક મુકત ખેતીની શરૂઆત કરી હતી. 'જો હું કાચા ઉત્પાદનો વેચવા માટે બજારમાં જાઉં તો વચેટિયો તેની કિંમત નક્કી કરે છે અને જો ખેડૂત પર દબાણ થાય તો તે એક કિલો આદુના ૨૫ રૂપિયાથી વધારે મેળવી શકે નહીં', તેમ તેણે કહ્યું. શાહ એક કિલો હળદર પાઉડરને ૩૨૫થી ૩૫૦ રૂપિયાના ભાવે વેચે છે.

(11:34 am IST)