Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

હે અંતર્યામી, શિવરાજસિંહના ભ્રષ્ટ શાસનથી મુકિત અપાવો, તેમના કર્મોનું ફળ આપો

કમલનાથે ભગવાન મહાકાલને લખ્યો લાંબો કાગળ

ચિઠ્ઠી આઈ હૈ...: મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથે ભગવાન મહાકાલને લખેલો પત્ર ગઈકાલે તેમના દરબારમાં સુપરત કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. ૧૪ :. મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કમલ નાથનો પત્ર પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દરબારમાં રાખવામાં આવ્યો હતો. પત્રમાં કમલ નાથે લખ્યુ છે કે બાબા શિવરાજ સિંહના ભ્રષ્ટ શાસનથી મુકિત અપાવશે.

કમલ નાથે પત્રમાં લખ્યું છે કે 'હે મહાકાલબાબા, પાંચ વર્ષ પહેલા ચૂંટણીમાં જનતાને આપનો અંશ માની શિવરાજસિંહે આ પ્રદેશને સર્વશ્રેષ્ઠ પ્રદેશ બનાવવાનું વચન આપ્યું હતુ.  એ જ શિવરાજસિંહ ફરી આપની નગરીમાં આવી રહ્યા છે. ધાર્મિક ભાવનાઓના નામે ફરી મતદાતાઓને ઠગવાની તૈયારી છે.'

કાગળમાં બીજુ શું-શું લખ્યું છે ?

પ્રદેશમાં ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાઈ ગયા છે. હકની માગણીના જવાબમાં ગોળીઓ મળે છે. બેરોજગારીથી પરેશાન યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. મામાના રાજમાં ભાણીઓ હેવાનિયતનો શિકાર બની રહી છે. વ્યાપમ ગોટાળામાં અપરાધીઓ તો બચી ગયા પણ સ્ટુડન્ટ અને તેમના મમ્મી-પપ્પા જેલમાં ગયા છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ તેમના બ્રેન્ડિંગ પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે, પણ પ્રદેશને દેવામાં ડૂબાડી દીધો છે. જનતા મોંઘવારીથી પરેશાન છે અને નર્મદાને ગેરકાયદે માઇનિંગથી નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે.

મહાકાલ, આપ અંતર્યામી છો. જનતાને ઠગનારા ફરી એકવાર તમારા દરબારમાં આવી રહ્યા છે. છળ-પ્રપંચની તૈયારી છે, પણ હવે તેમને આશિર્વાદ નહીં પણ તેમના કર્મોનું ફળ આપો. આપ જનતાને આશિર્વાદ આપી શિવરાજસિંહના ભ્રષ્ટ શાસનથી બચાઓ.(૨-૧૮)

(3:45 pm IST)