News of Monday, 14th June 2021
નવી દિલ્હી, તા., ૧૪: જીતીન પ્રસાદ અને મુકુલ રોયએ પક્ષપલ્ટો કર્યા બાદ રાજનીતીમાં વિચારધારાની ખુબ ચર્ચા થઇ રહી છે. શશી થરૂરે જીતીન પ્રસાદના સવાલ ઉઠાવ્યો કે તેઓ કોના માટે ઉભા છે અને તેમની રાજનીતીને ચલાવવા મુલ્યો કયાં છે? અથવા તેઓ માત્ર સતા ઉપર રહેવા પોતાને આગળ વધારવા માટે જ રાજનીતીમાં આવ્યા છે? આવી જ રીતે મુકુલ રોયના માટે પણ કહેવાયું કે હવે તેઓ ભાજપની વોશીંગ મશીનમાં ધોવાઇને સાફ સુથરા થઇ ગયા છે. વિચારધારાને બદલે પરીવારના મહત્વના કારણે તેઓ તૃણમુલ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા પરંતુ હવે વિચારાધારા ઉપર ચાલવાવાળી પાર્ટીને છોડી ફરી વંશવાદી પાર્ટીનો છેડો પકડી લીધો છે.
આ બન્ને નેતાઓ પોતપોતાની પાર્ટીઓમાં મુંઝવણ અનુભવી રહયા હતા. આ માટે વિપરીત વિચારધારાવાળી પાર્ટીમાં ચાલ્યા ગયા. આ મુંઝવણ એટલા માટે ન હતી કે તેમને પોતાના દળોની વિચારધારા પચતી ન હતી પરંતુ તેઓ પોતાના અંધકારમય ભવિષ્યને લઇને પરેશાન હતા. જો તેમને કાયદેસર મહત્વ મળતુ હોત તો તેઓ જયાં હતા ત્યાંજ ચીટકી રહયા હોત. જીતીન પ્રસાદને ઉતરપ્રદેશના કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવાયા હોત અને મુકુલ રોયને બંગાળનું વિપક્ષી નેતા પદ મળી ગયું હોત તો તેઓ પોતાની પાર્ટીઓ અને તેના મોભીઓના ગુણગાન ગાઇ રહયા હોત પરંતુ એ બંન્ને નેતાઓએ જે કર્યુ તેનો તમામ દોષ તેમના પર ઠોકી દેવો ન્યાયીક નહી રહે.
આ બંન્ને અને તેમના જેવા તમામ નેતાઓ રાજનીતીમાં પ્રચલીત રીતી-નીતી ઉપર જ ચાલી રહયા છે. આજ તમામ રાજનૈતિક દળ સતા ઉપર આવવા માટે કોઇ પણ હદસુધી જવા માટે તૈયાર છે. લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા જમીની કાર્યકર્તાઓને નજરઅંદાજ કરી બીજી પાર્ટીઓમાંથી આવેલા નેતાઓને ટીકીટ દેવામાં આવી રહી છે. રાજનૈતિક સંઘર્ષથી મેળવેલી પુંજીના બદલે ચુંટણી જીતવાની સંભાવના અને તેની સાથે મળવાવાળા ધનની મહત્વતા વધી ગઇ છે. ત્યાં સુધી કે રાજનીતી દળ અપરાધ અને સાંસદોને વિધાયક બનાવવાથી પાછી પાની નથી કરી રહયા.
આ રાજનેતિક પતનની શરૂઆત કોંગ્રેસમાંથી જ થઇ ેછે. જવાહરલાલ નહેરૂ પછી ઇન્દીરા ગાંધીનું પ્રધાનમંત્રી પદ પર બેસવું તે જ નિર્ણાયક મોડ છે. જયાંથી ભારતીય રાજનીતીમાં ખરાબીઓનો જન્મ શરૂ થયો. કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતાઓનો મુકાબલો કરવા માટે ઇન્દીરા ગાંધીએ એક-એક કરીને એવા કામ કર્યા કે જેના કારણે લોકતાંત્રીક સંસ્થાઓનો ક્ષય શરૂ થયો. તેમની કોંગ્રેસ પાર્ટીની અંદર અને અન્ય રાજ સતાઓમાં પણ તેની શરૂઆત થઇ. તેમના દિકરા સંજય ગાંધીએ કોંગ્રેસમાં એક નવી સંસ્કૃતિને જ જન્મ આપ્યો. જેને સંજય કલ્ચર કહેવાનું શરૂ થયું. સતા ઉપર પક્કડ બનાવી રાખવા માટે ઇન્દીરા ગાંધીએ ૧૯૭પમાં ઇમરજન્સીની જાહેરાત કરી અને ત્યાર બાદ પાર્ટી આ સંસ્કૃતિની ગીરફતમાં આવી ગઇ. અપરાધીઓ અને ગુંડાઓને પાર્ટીમાં મહત્વ આપવાનું શરૂ થયું. પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધી, તેમની પાર્ટીના ગણ્યા ગાંઠીયા લોકો અને નોકરશાહી પાસે બધી શકિતઓનું કેન્દ્રીયકરણ થઇ ગયું.
આ એજ સમય હતો જયારે કોંગ્રેસમાં ચાપલુસીને સૌથી મોટો ગુણ માનવાનું શરૂ થયું. પાર્ટીના સિધ્ધાંતો અને વિચારધારાને બાજુમાં મુકીને સુપ્રિમ નેતાઓના ઘુંટણીયે પડી જવાનેું રાજકીય શિષ્ટાચાર મનાવા લાગ્યો. આજે પણ કોંગ્રેસમાં તે સંસ્કૃતિ જ ફળેલી-ફુલેલી છે. પાર્ટીમાં સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી સિવાય કોઇને વધુ બુધ્ધિશાળી અને દુરદર્શી નેતા મનાતો નથી! કોંગ્રેસની આ રાજનીતીક સંસ્કૃતિમાં કોઇ દળ અછુતા નથી. કારણ કે જેમ જેમ કોંગ્રેસ કમજોર થતી ગઇ તેમ-તેમ અપરાધીઓ અને ગેરકાનુની કામ કરવાળાઓએ પોતાને બચાવવા માટે બીજી પાર્ટીઓમાં શરણ લેવાનું શરૂ કરી દીધું. હવે થોડી ઓછી કે વધુ તેમની ઉપસ્થિતિ દરેક પક્ષમાં છે.
આમ પણ આ તમામ દલીલોમાં પાયાનો પ્રશ્ન તે છે કે માત્ર રાજનીતીમાં જ વિચારધારાના લોકની વાત શું કામ કરવામાં આવી રહી છે? દેશનો સમુચો જનમાનસ જ તેમના રાષ્ટ્રીય માનસનું નિર્માણ કરી રહયો છે. પૈસા અને નામ કમાવવા માટે કોઇ પણ રસ્તો અપનાવવામાં આવી રહી છે. બે જણની રોટી માટે સંઘર્ષ કરી રહેલી આમ આદમી પાર્ટીની વાત છોડીએ. તેમનું નૈતિક પતન થાય તો કોઇ નવું નહિ હોય. પરંતુ ત્યારે શું કહેશું કે જયારે પોલીસની સખ્ત ટ્રેનીંગ અને અનુશાસનમાં રહેવાવાળા પોલીસ કર્મચારીઓ પણ તાત્કાલીક લાભ માટે અનૈતિકતાની દરેક ઉંડાઇઓ માપવા તૈયાર હોય! ઉતરાખંડમાં રવિવારે બે પોલીસ કોન્સ્ટેબલોને ૮૦૦૦ કિલોથી વધુ ચરસ સાથે પકડી પાડવામાં આવ્યા. આ ઘટનાથી સ્પષ્ટ સમજાય કે પોતાની વર્તમાન આર્થીક હેસિયતથી અસંતુષ્ટ થઇ તેઓ જલ્દીથી જલ્દી શ્રીમંત બનવા માંગે છે. આવી રીતનો કિસ્સો પારસ સિંહનો પણ છે. અરૂણાચલ પ્રદેશના રાજનેતા અને પુર્વ સાંસદ નાઇનાંગ એરીંગને લઇ યુ ટયુબ ઉપર આપતીજનક ટીપ્પણીઓ કરવા માટે પારસ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છુટયા પછી તેને પોતાના કૃત્યો ઉપર પસ્તાવો થયો. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તેણે તેનો સ્વીકાર કર્યો કે આવુ તેણે યુ ટયુબ ચેનલના માધ્યમથી વધુમાં વધુ પૈસા કમાવવા માટે કર્યુ હતું. જાહેર છે કે વધુમં વધુ પૈસા અને નામ કમાવવા માટે આપણે કંઇ પણ કરવા તૈયાર હોઇ છીએ. તો પછી માત્ર રાજનીતીમાં પતન ઉપર શા માટે આંસુ સારવામાં આવે?. (સંજય પોખરીયાલના ટિવટર હેન્ડલના આધારે)