Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ઘઊંની નિકાસ પર પ્રતિબંધ સામે ખેડૂત સંગઠનોમાં રોષ

ઘઊંની નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂક્યો :આ પ્રકારના પ્રતિબંધના નિર્ણયોથી ખેડૂતોને વધતા જતા ભાવનો લાભ મળતો ન હોવાનો ખેડૂત નેતાનો દાવો

નવી દિલ્હી, તા.૧૪ : ભારત સરકારે ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુક્યા બાદ ખેડૂત સંગઠનોમાં આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે. ભારતીય કૃષક સમાજ નામના સંગઠનના અધ્યક્ષ અજય વીર જાખડે કહ્યુ હતુ કે, સરકારના નિર્ણયથી ભારતના ખેડૂતોને વૈશ્વિક સ્તરે ઘઉંના વધી રહેલા ભાવનો ફાયદો નહીં મળે.નિકાસ પરનો પ્રતિબંધ બહુ દુખદ બાબત છે. આ પ્રકારનો પ્રતિબંધ ખેડૂતો પર આડકતરી રીતે ટેક્સ લાગુ કરવા બરાબર છે. આવા નિર્ણયોથી ખેડૂતોને વધતા જતા ભાવનો લાભ મળતો નથી.જ્યારે ખેતી કરવાનો ખર્ચ તો પહેલેથી જ વધી ચુકયો છે.

જાખડે કહ્યુ હતુ કે, જે વેપારીઓ તેમજ ખેડૂતોએ ઘઉંનો સ્ટોક કરી રાખેલો છે તેમને સરકારના પ્રતિંબધથી બજારમાં લાવવો પડશે. આ પ્રકારના પ્રતિબંધોના કારણે જ ખેડૂતો કૃષિ ક્ષેત્રમાં થતા સુધારાઓ પર ભરોસો નથી કરતા. તેનાથી સરકાર અને ખેડૂતો વચ્ચેનો વિશ્વાસ પણ ઘટશે.સાથે સાથે વિશ્વ સ્તરે વેપાર કરવામાં ભારતની શાખમાં પણ ઘટાડો થશે.

ભારતે પ્રતિબંધનો નિર્ણય તેવા સમયે લીધો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રે પણ અપીલ કરેલી છે કે, ઘઉંની નિકાસ પર બેન મુકવા જેવી કાર્યવાહી કરવામાં આવે નહીં.

ઉલ્લેખનીય છે કે, સરકારે દેશમાં ઘઉં અને તેના લોટની વધી રહેલી કિંમતો પર કાબૂ મેળવવા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધનુ કરાણ આપેલુ છે. સરકારનુ કહેવુ છે કે, દેશમાં વધારે ગરમી પડવાથી ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે તેમ છે.

(7:45 pm IST)