Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જરા પણ વ્હેમ કે ગફલતમાં ન રહેતા

દેશમાં સૌથી વધુ યુવાઓ ઉપર એટેક કરી રહ્યો છે કોરોના

૪૫ વર્ષની નીચેની વયના લોકોને પકડમાં લઇ રહ્યો છે વાયરસ : ICUમાં યુવા જ નજરે પડે છે

નવી દિલ્ઞી તા. ૧૪ : ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના મુખ્ય દેશોમાં કોરોનાના કહેરથી હવે સૌથી વધારે યુવાઓ અસરગ્રસ્ત થઇ રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના બ્રિટીશ, દક્ષિણ આફ્રીકન અને બ્રાઝીલીયન વેરીયન્ટ જોવા મળ્યા છે. દિલ્હી અને મુંબઇ સહિત દેશના અન્ય ભાગોમાં પણ કોરોના સંક્રમિત યુવાઓની સંખ્યા વધી છે. એક રિપોર્ટ અનુસાર, મુંબઇમાં ૧ થી ૧૧ એપ્રિલ દરમિયાન જેટલા પણ મોત કોરોનાથી થયા તેમાંથી ૧૦ ટકા ૪૫થી ઓછી વયના હતા. આવી જ રીતે અમેરિકામાં કોરોના વાયરસનો બ્રિટીશ વેરીયન્ટ એવો કહેર વરસાવી રહ્યો છે કે આઇસીયુમાં યુવા દર્દીઓની ભીડ વધવા લાગી છે.

યુએસ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના ડાયરેકટર ડોકટર રાચેલ વાલેંસ્કી અનુસાર, સંક્રમિત થનારા યુવાઓમાં મોટાભાગના એ છે જેમણે હજુ સુધી રસી નથી મુકાવી, ડોકટર જસ્ટીન સ્ક્રીન્સ્કી અનુસાર, રાજ્યમાં કોરોનાના ૪૦ ટકા નવા દર્દીઓ વાયરસના નવા વેરીયન્ટ બી.૧.૧.૭ (બ્રીટીશ વેરીયન્ટ)થી પ્રભાવિત છે. આ નવો પ્રકાર બાળકોને પણ પોતાની ઝપટમાં લે છે.  મુંબઇ શહેરમાં ૧ થી ૧૧ એપ્રિલ વચ્ચે કોરોનાથી મરનારાઓની સંખ્યા આખા માર્ચ મહિનામાં થયેલ મોત કરતા ૫૫ ટકાવધારે છે. ખાસ વાત એ છે કે તેમાંથી ૧૦ ટકા મૃતકોની ઉંમર ૪૫ વર્ષથી ઓછી છે. એમ પણ જણાવાયું છે કે એવા લોકોના મોત વધારે થયા, જે પોતાના ઘરે સાત આઠ દિવસ આઇસોલેશનમાં રહ્યા, જેના લીધે તેમની તબિયત વધારે બગડી ગઇ.

ડોકટર મેગન રેની કહે છે કે, યુવાઓએ એવા વહેમમાં ન રહેવું કે હું યુવા છું એટલે મને સંક્રમણ નહીં થાય અને થશે તો પણ હું સાજો જઇ જઇશ. ડો. રેની અનુસાર, બની શકે કે કોઇ યુવા સંક્રમણથી સાજા થઇ જાય પણ બધા લોકો એટલા નસીબવાળા ન હોઇ શકે. એક અભ્યાસના મુખ્ય રિસર્ચર શારલોટ થાલિને કહ્યું કે કોરોનાગ્રસ્ત લોકોમાં થાક અને શ્વાસની તકલીફો સામાન્ય છે પણ તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો યુવાઓને શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તેમણે સાવચેત થઇ જવું જોઇએ.

અમેરિકાના મિશીગનમાં ૧ માર્ચથી ૨૩ માર્ચ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થનાર ૩૦ થી ૩૯ વર્ષની વયના દર્દીઓની સંખ્યામાં ૬૩૩ ટકાનો વધારો થયો હતો. આજ રીતે હોસ્પિટલમાં દાખલ થનાર ૪૦ થી ૪૯ વર્ષની વયના દર્દીઓની સંખ્યા ૮૦૦ ટકા વધી છે. રાજ્યમાં ૨ જાન્યુઆરીએ પુરા થયેલ સપ્તાહમાં હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓમાં અર્ધાથી વધારે દર્દીઓ ૬૫ વર્ષથી વધુ વયના હતા. પણ ગત ૨૭ માર્ચે પુરા થયેલ સપ્તાહ દરમિયાન દાખલ થયેલા નવા દર્દીઓમાં ૬૫ વર્ષથી વધુ વયના દર્દીઓની સંખ્યા ઘટીને ૧/૩ થઇ ગઇ. જ્યારે ૧૮ થી ૪૯ વર્ષના યુવાઓની સંખ્યા વધીને ૧/૩ થઇ ગઇ હતી. બાકીના ૧/૩ હિસ્સામાં ૪૯ થી ૬૫ વર્ષની વયના દર્દીઓ હતા. તો ન્યૂજર્સી રાજ્યમાં પણ હોસ્પિટલમાં દાખલ થનારા ૨૦ થી ૨૯ વર્ષના યુવાઓની સંખ્યામાં ૩૧ ટકાનો વધારો થયો છે.

આ ઉપરાંત, કોરોનામાંથી સાજા થનાર દર ૧૦માંથી ૧ વ્યકિતમાં લાંબાગાળાની અસરો જોવા મળી રહી છે. જર્નલ ઓફ ધ અમેરિકન મેડીકલ એસોસીએશનમાં પ્રકાશિત રીસર્ચ રિપોર્ટમાં કહેવાયું છે કે ૧૦ ટકા કોરોના દર્દીઓમાં આઠ મહિના પછી કોઇને કોઇ મધ્યમ અથવા ગંભીર લક્ષણો જોવા મળે છે. જેમકે સુંઘવાની ક્ષમતા જતી રહેવી. આ લક્ષણો તેમના કામ, સામાજીક અથવા અંગત જીવન પર નકારાત્મક અસરો ઉભી કરે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે સૌથી લાંબી દિર્ઘકાલીન અસરોમાં સુંઘવા ઉપરાંત સ્વાદ લેવાની ક્ષમતા ચાલી જતી અને થાક સામેલ છે.

(11:00 am IST)