Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

કાશ્મીર ભારતનું અભિન્‍ન અંગ છે : જમ્‍મુમાં ચુંટણી રેલીમાં વડાપ્રધાનનું સુચક નિવેદન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે તમામ રાજકીય પક્ષોનો પ્રચાર જોરશોરમાં છે. ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદી સતત વિભિન્ન રાજ્યોમાં ચૂંટણી રેલીઓ સંબોધી રહ્યાં છે. આ જ ઉપક્રમે પીએમ મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં છે. જમ્મુના કઠુઆમાં ચૂંટણી રેલીને સંબોધી. અહીં તેમણે લોકોને વૈશાખી પર્વની શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ આંબેડકર જયંતીના અવસરે ડો. ભીમરાવ આંબેડકરને તેમણે શ્રદ્ધાંજલિ પણ આપી. તેમણે કહ્યું કે મેં 2014માં પણ લહેર જોઈ અને અત્યારે પણ જોઈ રહ્યો છું. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ ભારતીય સેનાની મહાનતા અને સામર્થ્યને સમજી શકી નથી.

પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીર પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને કોઈ પોતાની વસિયતમાં લખાઈને આવ્યું નથી. તે ભારતનું અભિન્ન અંગ છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તમે પણ જોયું છે કે કઈ રીતે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીની મહામિલાવટ સંપર્ણ રીતે એક્સપોઝ થઈ છે. વરસોથી તેમના મનમાં જે હતું, જે તેઓ ઈચ્છતા હતાં, ચોરી છૂપે જેના માટે કામ કરતા હતાં, તેઓ હવે ખુલ્લેઆમ સામે આવી ગયા છે.

પીએમ મોદીએ કહ્યું કે આ લોકો જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાની, લોહિયાળ જંગની અને અલગ વડાપ્રધાન બનાવવાની ધમકી આપી રહ્યાં છે. તેમણે જનતાને કહ્યું કે પહેલા પાકિસ્તાન પરમાણુ હુમલાની ધમકી આપતું હતું, હવે તેઓ પણ ધમકી આપી રહ્યાં છે.

તેમણે કહ્યું કે આ એ ધરતી છે, એ જ જગ્યા છે જ્યાં શ્યામા પ્રસાદ મુખરજીએ તિરંગો લહેરાવ્યો હતો. દેશ વિરોધી દરેક તાકાતને તેમણે લલકારી હતી કે એક દેશમાં બે વિધાન, બે પ્રધાન, બે નિશાન નહીં ચાલે. શ્યામા પ્રસાદજીનો તે ઉદ્ઘોષ, ભારતીય જનતા પાર્ટી માટે વચનપત્ર છે, પથ્થરની લકીર છે જેને કોઈ મીટાવી શકે નહીં. તે ભાજપનું હંમેશા કમિટમેન્ટ રહ્યું છે અને દેશનો આ ચોકીદાર પણ આ જ ભાવના પર અટલ છે અને અટલ રહેશે.

(3:37 pm IST)