Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ભારત ત્રાસવાદી-જેહાદીને છોડશે નહીં : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર

કર્ણાટક અને તમિલનાડુમાં ઝંઝાવતી પ્રચાર : કોંગી, મુસ્લિમ લીગને મત મળશે તો ત્રાસવાદીઓને છુટો દોર મળશે : ન્યાય યોજના મુદ્દે કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો

મેંગલોર/રામનાથપુરમ, તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચુંટણીને લઈને કર્ણાટક અને તમિલનાડુમાં ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. તમિલનાડુમાં મોદીએ સબરીમાલાના મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસ, ડાબેરીઓ અને મુસ્લિમ લીગ ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ડાબેરીઆ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સબરીમાલામાં ખતરનાક રમત રમી છે. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે આ લોકોએ અમારી આસ્થા અને સંસ્કૃતિ ઉપર આઘાત પહોંચાડવાના પ્રયાસ કર્યા છે પરંતુ કોંગ્રેસ, ડાબેરીઓ અને મુસ્લિમ લીગ માટે દુઃખની વાત એ છે કે જ્યાં સુધી કેન્દ્રમાં ભાજપની સરકાર છે તેઓ પોતાના ઈરાદામાં ક્યારેય પણ સફળ થશે નહીં. તમિલનાડુના રામનાથપુરમમાં વિપક્ષ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે ૨૩મી મેના દિવસે કેન્દ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે. આની સાથે જ લોકોને વચન આપ્યું હતું કે ૨૩મી મેના દિવસે સરકાર બની ગયા બાદ એક અલગથી જળ મંત્રાલયની રચના કરવામાં આવશે. મોદીએ પોતાની યોજનાઓની માહિતી આપી. એમ પણ કહ્યું હતું કે અમારી સરકાર દરેક વર્ગના લોકોને ધ્યાનમાં લઈને વિકાસની યોજના બનાવી રહી છે. સબકા સાથ સબકા વિકાસ ઉપર અમે વિશ્વાસ રાખીએ છીએ. પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અબ્દુલ કલામનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે અમે તેમના આદર્શોને ધ્યાનમાં લઈને તેમના સપનાઓને પૂર્ણ કરવા માટે આગળ વધી રહ્યા છીએ. દેશ માટે કલામે જે સપના જોયા હતા તે પુરા કરવામાં આવશે. તમિલનાડુના થેનીમાં મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ અને બેઈમાનોમાં મજબૂત મિત્રતા થયેલી છે. બંનેએ હાથ મિલાવ્યા છે પરંતુ કેટલીક વખત આ લોકો વાસ્તવિકતા કબુલી લે છે. આ લોકો કી રહ્યા છે કે હવે ન્યાય થશે એટલે કે આ લોકો આ બાબત તો સ્વીકારે છે કે ૬૯ વર્ષ સુધી તેઓએ અન્યાય કર્યો છે. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે પિતા નાણામંત્રી બન્યા અને પુત્રએ દેશને લૂંટવાની શરૂઆત કરી હતી. જ્યારે પણ સરકારમાં રહ્યા ત્યારે હંમેશા લૂંટ ચલાવતા રહ્યા હતા. મોડેથી કર્ણાટકમાં મેંગલોરમાં પણ મોદીએ રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસ અને જનતાદળ સેક્યુલર પર આક્ષેપબાજી કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ, જેડીએસ અને તેમના જેવા અનેક પક્ષોની પ્રેરણા પરિવારવાદ છે પરંતુ અમારી પ્રેરણા રાષ્ટ્રવાદની રહેલી છે. પોતાના પરિવારના છેલ્લા સભ્ય સુધી સત્તાનો લાભ પરિવારવાદના લોકો આપે છે. જ્યારે અમે સમાજના દરેક વર્ગ સુધી લાભ પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ ગાળા દરમિયાન તેમણે કહ્યું હતું કે મોદી માખણ ઉપર નહીં બલ્કે પથ્થરો ઉપર લાઈનો ખેંચવામાં વિશ્વાસ રાખે છે. કર્ણાટક વિધાનસભાની ચુંટણી થઈ હતી. થોડીક કચાસ થઈ હતી. જેથી સમગ્ર કર્ણાટક બરબાદ થઈ ગયું છે. નાનકડી ભુલના કારણે જંગી કિંમત ચૂકવવી પડી છે. કર્ણાટક ફરી એકવાર આવી ભુલ કરશે નહીં. છેલ્લી વખતે જે ભુલ રહી ગઈ તેને વ્યાજ સાથે પૂર્ણ કરવાનો સમય આવ્યો છે. સભા સ્થળની નજીક કેટલાક લોકો વૃક્ષો ઉપર ચડી ગયા હતા અને મોદીને જોઈ રહ્યા હતા પરંતુ મોદીએ તેમને જોખમ ન લેવા માટે અપીલ કરી હતી. મોદીએ મેંગલોર સભામાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે ચંપલમાં એક વરિષ્ઠ વ્યક્તિને તેઓ ગર્વની સાથે પદ્મસન્માન ગ્રહણ કરતા નિહાળે છે ત્યારે ગર્વનો અનુભવ થાય છે. પોતાના સામર્થ્ય ઉપર વિશ્વાસ કરનાર ભારત પોતાના સંસાધનો ઉપર આત્મવિશ્વાસ રાખે છે. કોંગ્રેસને ૨૦મી સદીમાં એક તક મળી હતી પરંતુ આ તક કોંગ્રેસે પરિવારવાદને સોંપી દીધી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડનો ઉલ્લેખ કરતા મોદીએ શહીદ થયેલા પ્રત્યેક પરિવારના શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે જલિયાવાલા બાગના શહીદોના નામ ઉપર દિલ્હીમાં યાદે જલિયા મ્યુઝિયમ બને છે ત્યારે વિરોધ પક્ષોને વાત ગમતી નથી. ૨૧મી સદીના નવા ભારત કેવા રૂપમાં રહે તેનો આ સમય છે. કોંગ્રેસના ન્યાયના મુદ્દા પર મોદીએ જોરદાર પ્રહાર કર્યા હતા.

મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે ડીએમકે, કોંગ્રેસ અને મુસ્લિમ લીગને કોઈપણ મત પડશે તો ઉંચા ટેક્સ અને ઓછા વિકાસ તરફ દોરી જશે. આનાથી આતંકવાદીઓને છુટો દોર મળશે. રાજકારણમાં ગુનેગારી તત્વો વધશે. કોંગ્રેસ પાર્ટી ત્રાસવાદ સામે લડવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસના શાસનકાળમાં આતંકવાદીઓ નિયમિત દેશમાં હુમલા કરતા હતા.

(12:00 am IST)