Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

જે રાત્રે શ્રીદેવીનું નિધન થયું તે રાત્રે પણ અમારા બંને વચ્ચે વાત થઇ હતીઃ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને હજુ પણ શ્રીદેવીનો ફોન આવશે તેવી આશા

મુંબઇઃ સ્વ. શ્રીદેવીને શુક્રવારે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ આપવાની ઘોષણા કરાઈ છે ત્યારે શ્રીદેવીના નજીકના લોકોનું કહેવું છે કે કાશ તે આજે આ દુનિયામાં હોત. અચાનક શ્રીદેવું મોત થતાં દેશ આખો આઘાતમાં હતો. બોલિવુડ સેલિબ્રિટિઝ પણ આ વાત માનવા તૈયાર નહોતા. શ્રીદેવીના નિધનને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તેમના ચાહકો આજે પણ તેમના હોવાનો અહેસાસ કરી શકે છે.

ડિઝાઈનર મનીષ મલ્હોત્રા શ્રીદેવીના ઘણા સારા મિત્ર હતા. પોતાના સોશિયલ મીડિયા અકાઉંટ પર તે અવારનવાર શ્રીદેવી સાથે ફોટો શેર કરતા હતા. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન મનીષે કહ્યું કે, “છેલ્લા 28 વર્ષમાં અમે બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા. શ્રીદેવી પોતાના દરેક સંબંધમાં 200 ટકા આપતી હતી, જેના કારણે જ તે ખુશી, જ્હાનવી અને બોની કપૂરની બેસ્ટ ફ્રેંડ બની ગઈ હતી.

મનીષે કહ્યું કે, “શ્રીદેવીને ગોસિપ કરવી પસંદ નહોતી. શ્રીદેવીની વાતો હંમેશા ફિલ્મો, કપડાં અને જમવાની આસપાસ રહેતી.મનીષ મલ્હોત્રાએ શ્રીદેવી સાથે મોહિત મારવાહના લગ્નમાં વિતાવેલા સમયને યાદ કર્યો હતો.

મનીષે કહ્યું કે, ”જે રાત્રે શ્રીદેવીનું નિધન થયું તે રાત્રે પણ બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી. શ્રીદેવીએ જ્હાન્વીની ફિલ્મ, ખુશી લગ્નમાં કેટલી સુંદર લાગતી હતી, એ દિવસે શું ખાધું હતું તેની વાત કરી હતી. હું આજે પણ આશા રાખીને બેઠો છું કે ક્યારે મારો ફોન વાગે અને કપડાં કે નવા પ્રોજેક્ટ વિશે શ્રીદેવી સાથે વાત કરી શકું.

(6:32 pm IST)