Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ભાજપના અંતની શરૂઆત થઇ : મમતા બેનર્જીનો મત

યુપી-બિહાર પરિણામ અંગે પ્રતિક્રિયા આપી : સાથે મળીને લડવાથી ભાજપનો સામનો કરી શકાશે તેવી તેજસ્વી દ્વારા પ્રતિક્રિયા : તમામ વિરોધ પક્ષો એકઠા થશે

લખનૌ, તા. ૧૪ : ઉત્તર પ્રદેશની લોકસભાની બે સીટો ગોરખપુર અને ફુલપુર સહિત બિહારની અરરિયા લોકસભા સીટના પરિણામ જાહેર થયા બાદ ભાજપને નિરાશા હાથ લાગી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ સૌથી પહેલા પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, બિહાર અને ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીના પરિણામ ભાજપના અંતની શરૂઆતના સંકેત આપે છે. મમતાએ ટ્વિટર પર આરજેડીના વડા લાલૂ પ્રસાદ યાદવ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બસપના વડા માયાવતીને જીત માટે શુભેચ્છા પાઠવી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, માયાવતી અને અખિલેશને તેઓ શુભેચ્છા આપે અને અભિનંદન આપે છે. ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીના પરિણામ ભાજપના અંતની શરૂઆત છે. બિહારમાં આરજેડીની જીત ઉપર શુભેચ્છા પાઠવતા મમતાએ કહ્યું છે કે, લાલૂ પ્રસાદ યાદવને તેઓ અરરિયા અને જહાનાબાદ સીટ ઉપર જીત માટે અભિનંદન આપે છે. લાલૂના ટ્વિટર હેન્ડલ તરફથી અભિનંદન આપતા મમતાના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, અમે સાથે મળીને લડી રહ્યા છીએ. અમને સાથે મળીને લડવું પડશે. બીજી બાજુ તેજસ્વી યાદવે આરજેડીની જીત ઉપર ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, લાલૂની નહીં બલ્કે તેમની વિચારધારાને જેલમાં મુકી દેવામાં આવી છે. આ વિચારધારા જેડીયુને ખતમ કરી દેશે. અમે જનતાની અદાલતમાં વિન્રમતાપૂર્વક પોતાની વાત રજૂ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીમાં કારમી હાર બાદ ઉત્તર પ્રદેશનાના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું હતું કે, બસપના વોટ સપામાં જતા રહેશે તેનો અંદાજ ઓછો હતો. પરિણામ આવ્યા બાદ અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ તૈયારી કરીશું. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન ભેગા થસે ત્યારે તે મુજબની રણનીતિ બનાવવામાં આવશે.

(7:43 pm IST)