Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ભાજપ મોરચો તૂટવા માંડ્યો છે ત્યારે વિરોધ પક્ષો એક થઇ રહ્યા છે : તેજસ્વી યાદવ-શરદ યાદવ

સોનિયાજીના રાત્રી ભોજનમાં તમામ નેતાઓ આવ્યા : કોંગ્રેસ કહે છે મૈત્રી ભાવના આદર્શ સાથે આ બેઠક યોજાયેલ : મુખ્યહેતુ વિપક્ષી એકતાને લોખંડી બનાવવાનો

નવી દિલ્હી : ગઇકાલે રાત્રે ૧૦ જનપથ ઉપર યુપીએ મોરચાના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા રાજીવ ગાંધીના વડપણ હેઠળ ર૦ પક્ષોના નેતાઓ રાત્રી ભોજન માટે મળ્યા હતા અને ર૦૧૯ની સામાન્ય ચૂંટણી પૂર્વે વિરોધ પક્ષોની એકતાના પાયાને મજબૂત રીતે ધરબી દેવા વિચાર વિમર્શ કર્યો તે પ્રસંગની તસ્વીરો. અન્ય પક્ષો સાથે એનસીપી, આરજેડી, સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકેનો અને ડાબેરી પક્ષોના નેતાઓ-વડાઓ-દૂતો હાજર રહ્યા હતા. કોંગ્રેસે આ પ્રસંગે કહેલ કે એકતા અને મિત્રતાને અકબંધ રાખવા આ ડીનર યોજવામાં આવેલ. આ રાત્રીભોજનમાં હાજર રહેનારામાં શરદ પવાર (એનસીપી), રામ ગોપાલ યાદવ (સપા), સતીષચંદ્ર મિશ્રા (બસપા), પૂર્વ મુખ્યમંત્રી-કાશ્મીર ઓમર અબ્દુલ્લા, બાબુલાલ મરાંડી, હેમંત સોરેન, જિતન રામ માંજી, શરદ યાદવ (જેડીયુ) અને અજીત સીંધ (આરએલડી) મુખ્ય હતા. આરજેડીના લાલુપ્રસાદ યાદવ વતી તેમના સંતાનોનો પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજશ્વરી યાદવ અને સાંસદ મિસા ભારતી હાજર રહેલ. તૃણમુલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, માર્કસવાદી વતી ડી. રાજા, ડીએમકે વતી કનીમોઝહી હાજર રહેલ. સોનિયાજી સાથે રાહુલ ગાંધી, મનમોહન સિંધ, ગુલાબ નબી આઝાદ, મલ્લીકાર્જુન ખડગે, અહમદભાઇ પટેલ, એ.કે. એન્ટોની, રણદીપ સુરજેવાલા હાજર રહેલ.  જો કે આ બેઠક આંધ્રના શાસક પક્ષ તેલુગુ દેશમ પક્ષ, બીજુ જનતાદળ અને ટીઆરએસ પક્ષને આમંત્રણ અપાયું ન હતું.  તેજશ્વરી યાદવ અને શરદ યાદવે પત્રકારોને કહેલ કે ર૦૧૯ની ચૂંટણી પૂર્વે મહા જોડાણ તરફ આ પ્રથમ પગલું છે વિપક્ષી જોડાણના નેતા પદે રાહુલ ગાંધી રહેશે ? તેવા પ્રશ્નના જવાબમાં તેજશ્વરી યાદવે કહેલ કે વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ નક્કી કરવાનો આ સમય નથી. તેમણે કહેલ કે ભાજપનો એનડીએ મોરચો તૂટી રહ્યો છે ત્યારે વિપક્ષો એક બની રહ્યા છે મોદી સરકારમાંથી આંધ્રનો ટીડીપી પક્ષ જુદો પડયો તે સંદર્ભે તેઓ કહી રહ્યા હતા.

(4:26 pm IST)