Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભારતનો આર્થિક માહોલ અમારા પૂર્વાનુમાનથી પણ નબળોઃ આઈએમએફ

નાણાકીય સુધારાઓ લાવવાની તત્કાલ જરૂર છેઃ અર્થતંત્રને દોડતુ કરવા ભારત તત્કાલ પગલા લ્યેઃ ભારતે એક રણનીતિ હેઠળ કામ કરવુ પડશે

નવી દિલ્હી, તા. ૧૪ :. ભારતનો વર્તમાન આર્થિક માહોલ અમારા પૂર્વાનુમાનથી પણ નબળો છે અને ભારતે તૂર્ત મહત્વાકાંક્ષી સંરચનાત્મક અને નાણાકીય સુધારા કરવાની જરૂર છે જેનાથી મધ્યગાળામાં રાજકોષ વધે. આ માટે ભારતે એક રણનીતિ હેઠળ કામ કરવુ પડશે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે હાલમાં જ રજુ થયેલા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યુ છે.

નાણામંત્રી નિર્મલા સિતારામને ૧ લી ફેબ્રુઆરીએ બજેટ રજુ કર્યુ હતુ. સરકારે આ બજેટને સારૂ બજેટ ગણાવી નજીકના ભવિષ્યમાં મોટા સુધારાની આશા વ્યકત કરી હતો તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના પ્રવકતા ગેરી રાઈસે કહ્યુ છે કે ભારતનો વર્તમાન આર્થિક માહોલ અમારા પૂર્વાનુમાનની તુલનામાં કમજોર છે.

રાઈસે કહ્યુ છે કે ભારતની અર્થવ્યવસ્થા નબળી હોવાથી ભારતે તૂર્ત મહત્વાકાંક્ષી સંરચનાત્મક અને નાણાકીય સુધારા કરવાની જરૂર છે કે જેથી રાજકોષ વધે. ભારતે એક રણનીતિ હેઠળ કામ કરવુ પડશે એટલે કે ભારત સરકારે અત્યાર સુધી અર્થવ્યવસ્થામાં સુસ્તીને દૂર કરવા માટે જે પ્રયાસ કર્યા છે તે પુરતા નથી.

અત્રે નોંધનીય છે કે સરકાર ટેકસ થકી આવક મેળવે છે સાથોસાથ ખર્ચ પણ કરે છે. જ્યારે સરકારનો ખર્ચ આવક કરતા વધી જાય તો તેણે બજારમાંથી વધારાની રકમ ઉધાર લેવી પડે છે. સરકારની કુલ કમાણી અને ખર્ચના અંતરને રાજકોષીય ખાધ કહેવાય છે એટલે કે સરકાર જે રકમ ઉધાર લેશે તેણે જ રાજકોષીય ખાધ કહેવાશે.

ભારતનો જીડીપી ગ્રોથ ૪.૫ ટકા ઉપર પહોંચી ગયો છે. જે ૬ વર્ષના નીચલા સ્તરે છે તો બીજી તરફ મુડીઝ સહિતની એજન્સીએ ભારતના વિકાસ દરના અનુમાનને પણ ઘટાડી દીધો છે.

(9:58 am IST)