Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

બુલેટ ટ્રેનનું કામકાજ જૂન મહિનાથી શરૂ થશે

મુંબઇથી અમદાવાદ બે કલાકમાં પહોંચાશે, આખા રૂટ પર ૪૨ પુલ અને ૮ ટનલ

મુંબઇ તા. ૧૪ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું સપનું દેશના ૭૫મા સ્વાતંત્ર્ય દિવસે એટલે કે ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨માં સાકાર થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા અને તેના માટે જૂન મહિના સુધીમાં કામ શરૂ કરવામાં આવશે, એવું રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈથી અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેનના પ્રવાસ મારફત બે કલાકમાં પૂરું થશે તથા પ્રસ્તાવિત પ્રોજેકટનું કામ અગાઉ ૨૦૨૩માં પૂરું થવાનું હતું. જીયો ટેકિનકલ સર્વે અગાઉથી પૂરો કરવામાં આવ્યો છે તથા સિવિલ કામકાજ જૂન, ૨૦૧૮માં શરૂ થશે, એવું નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચઆરસી)ના અધિકારીએ જણાવ્યું હતું.

હાલના તબક્કે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવનારી બુલેટ ટ્રેનના રૂટ માટે વિરાર આસપાસ ગામવાસીઓેએ જમીન આપવાનો ઈનકાર કરીને દર્શાવેલા વિરોધને જોતાં હવે રેલવે દ્વારા હવે આ રૂટ પર થાણે-વિરાર વચ્ચે અંડરગ્રાઉન્ડ બનાવાશે અને આ અંડરગ્રાઉન્ડ રૂટ માટે રેલવે દ્વારા જરૂરી પરીક્ષણ કર્યું છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન કુલ આઠ ટનલમાંથી પસાર થશે, જેમાં થાણે-વિરારની ટનલ એ સૌથી મોટી ટનલ હશે. બુલેટ ટ્રેનનું વડા પ્રધાનનું સપનું સાકાર કરવા માટે રેલવે દ્વારા વિવિધ તબક્કા પર કામ હાથ ધરવામાં આવી રહ્યું છે અને એના જ ભાગરૂપે રેલવે દ્વારા હવે જયાં શકય હશે ત્યાં આ પ્રોજેકટ પર બાંધકામ શરૂ કરવામાં આવશે.

બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે કુલ ૨૯,૦૦૦ જણને રોજગારી મળશે, તેમાંથી ૨૫,૦૦૦ કર્મચારી કોન્ટ્રાકટ પર લેવામાં આવશે. બાકીના ૪૦૦૦ કર્મચારીની રેલવે દ્વારા કાયમી ભરતી કરવામાં આવશે અને તેમને વડોદરા ખાતેની ઈન્સ્ટિટ્યૂટમાં તાલીમ આપવામાં આવશે. કેટલાક રેલવે કર્મચારીઓને ટ્રેનિંગ માટે જાપાન પણ મોકલવામાં આવશે, એમ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનના કુલ રૂટમાં ૪૭ પુલનો સમાવેશ કરવામાં આવશે અને તેમાંથી ૨૭ પુલ મહારાષ્ટ્રમાં હશે. ૫૦૮ કિલોમીટરના આ પ્રોજેકટ માટે રૂ. એક લાખ આઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવે એવી શકયતા વ્યકત કરાઈ રહી છે.(૨૧.૬)

(9:48 am IST)