Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

૧૯૮૮ના ગુજરાત કેડરના પૂર્વ આઇઅેઅેસ અધિકારી અરવિંદ કુમાર શર્મા ભાજપમાં થયા સામેલ

લખનઉં: ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી અરવિંદ કુમાર શર્મા રાજકારણમાં આવી ગયા છે. અરવિંદ કુમાર શર્મા લખનઉંમાં ભાજપમાં જોડાયા હતા. યુપીના મઉ જિલ્લાના અરવિંદ કુમાર શર્મા 2022માં રિટાયર થવાના હતા પરંતુ તેમણે અચાનક સ્વેચ્છિક સેવાનિવૃત થઇને તમામને ચોકાવી દીધા છે. શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ વિશ્વસનીય અધિકારીઓમાંથી એક રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ તેમણે વિધાન પરિષદ મોકલી શકે છે.

અરવિંદ કુમાર શર્મા 1988 બેંચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે, તેમણે 2001થી લઇને 2013 સુધી ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાથે વિવિધ પદો પર કામ કર્યુ છે. એવામાં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બનીને દિલ્હી ગયા તો અરવિંદ શર્મા પણ તેમની સાથે પીએમઓમાં આવી ગયા હતા. વર્તમાન સમયમાં તે વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ સેક્રેટરીના પદ પર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અરવિંદ કુમાર શર્મા યુપીના છે. તે યુપીના મઉ જિલ્લામાં મુહમ્મદાબાદ ગોહના તાલુકાના રાનીપુર વિકાસ ખંડ અંતર્ગત આવતા કાઝાખુર્દ ગામના છે. શર્માનો જન્મ 11 એપ્રિલ 1962માં થયો છે, તેમના પિતાનું નામ શિવમૂર્તિ રાય અને માતાનું નામ શાંતિ દેવી છે, તેમણે પોતાનો શરૂઆતનો અભ્યાસ સ્થાનિક પ્રાથમિક વિદ્યાલય અને મઉની ડીએવી ઇન્ટર કોલેજમાંથી ઇન્ટર મીડિએટ સુધીનો અભ્યાસ પુરો કર્યો છે. તે બાદ ગ્રેજ્યુએશન કરવા માટે ઇલાહાબાદ યૂનિવર્સિટી ગયા હતા.

અરવિંદ શર્માએ ઇલાહાબાદ યૂનિવર્સિટીમાંથી પહેલા ગ્રેજ્યુએશન અને બાદમાં પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ. તે બાદ 1988માં તેમની પસંદગી ગુજરાત કેડરમાં IAS માટે થઇ હતી. અરવિંદ શર્માની એસડીએમ પદ પર પ્રથમ પોસ્ટિંગ 1989માં થઇ હતી અને બાદમાં ડીએમ બન્યા. વર્ષ 1995માં તે મહેસાણાના કમિશનર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તો તેમના કાર્યાલયના સચિવની જવાબદારી એકે શર્માને મળી હતી. અહીથી પીએમ મોદીનો વિશ્વાસ જીતવામાં શર્મા સફળ રહ્યા.

અરવિંદ શર્માને 2013માં બઢતી આપી મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરીની જવાબદારી આપવામાં આવી. તે બાદ પીએમ મોદી 2014માં દિલ્હીની સત્તા પર આવ્યા ત્યારે તેમણે પોતાની સાથે લઇ ગયા હતા. જૂન 2014માં કેન્દ્રીય પ્રતિનિયુક્તી પર એકે શર્માને વડાપ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવની જવાબદારી સોપવામાં આવી, જે બાદથી અત્યાર સુધી તે પીએમઓમાં હતા. વીઆરએસ લેવાના સમયે તે વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ સેક્રેટરી હતા.

(3:22 pm IST)