Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કેન્‍દ્રની મોદી સરકાર મફતમાં કોરોના રસી નહીં આપે તો અમે દિલ્‍હીવાસીઓને મફત રસી આપીશુઃ અરવિંદ કેજરીવાલની જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર મફતમાં કોરોના રસી નહીં આપે તો દિલ્હીવાસીઓને ફ્રીમાં રસી આપવાની CM કેજરીવલે જાહેરાત કરી દીધી. દિલ્હીના મુખ્યમંત્રીએ ફરી કેન્દ્રને દેશભરમાં વિનામુલ્યે કોરોના રસીકરણ કરવાની અપીલ કરી છે.

CM કેજરીવાલે બુધવારે જણાવ્યું કે જો કેન્દ્ર સરકાર સ્થાનિક લોકોને મફતમાં વેકિસન નહીં આપે તો દિલ્હી સરકાર પોતાના ખર્ચે દિલ્હીવાસીઓને મફતમાં રસી આપશે.

કેજરીવાલ પહેલાંથી જ કોરોનાની રસી લોકોને મફતમાં આપવાની અપીલ કરતા રહ્યા છે. તેમણે ફરી એક વાર કહ્યું કે, “આપણો દેશ બહુ ગરીબ છે અને આ મહામારી 100 વર્ષમાં પહેલી વખત આવી છે. ઘણા લોકો છે, જે બની શકે કે રસીનો ખર્ચ ઉપાડી નહીં શકે. કેન્દ્રને મારી અપીલ છે કે સમગ્ર દેશમાં આ વેક્સિન વિનામુલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે. અમે જોઇશું કે કેન્દ્ર સરકાર શું કરે છે. જો કેન્દ્ર સરકાર મફતમાં વેક્સિન નહીં આપે તો જરૂર પડતા અમે દિલ્હીના લોકોન્ મફતમાં રસી આપીશું.

  • રસી દેશભરમાં પહોંચાડાઇ, શુક્રવારથી રસીકરણનો પ્રારંભ

નોંધનીય છે કે દેશભરમાં વેક્સિન પહોંચાડાઇ રહી છે. જ્યારે 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણનો પ્રારંભ થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રસીકરણને વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ગણાવ્યું છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે દેશમાં બે રસીને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી છે. તેમાં સીરમની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો સમાવેશ થાય છે. આ રસીની દેશભરમાં સપ્લાય કરવાની કાલથી શરૂઆત પણ થઇ ગઇ.

  • કોવિશીલ્ડ રસી સરકારને રૂ. 200માં મળી

સીરમના માલિક અદાર પૂનાવાલાએ સરકારને પ્રથણ 10 કરોડ ડોઝ 200 રૂપિયાના ભાવે આપવાની જાહેરાત પણ કરી હતી.

જ્યારે મંગળવારે મોડેથી આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મીડિયાને જણાવ્યુ હતું કે વિવિધ વેક્સિન્સ સરકાર કેટલી કિંમતે ખરીદી રહી છે. જે તમામની કિંમત 200થી 5600 રૂપિયા સુધીની જણાવી હતી.

  • સરકાર શું કરે છે, તેના પર સૌની નજર

અગાઉ સીરમના માલિક પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેમની કંપની પ્રથમ 10 કરોડ ડોઝ સરકારને 200 રૂપિયાના ભાવે આપશે. પછીના ડોઝની વધુ કિંમત લેવાશે. ત્યાર બાદ લોકોમાં ચિંતા થવા લાગી છે કે સરકારે રસીકરણ માટે શું નિર્ણય લેશે.

શું પ્રથમ તબક્કાનાં 30 કરોડ લોકો બાદ રસી માટે ચાર્જ કરવામાં આવશે. કે પ્રાથમિક્તા સિવાયના લોકો પાસેથી રસીના પૈસા લેવામાં આવશે. કારણ કે સીમરની રસી પણ ઓપન બજારમાં રૂપિયા 1000માં મળવાની છે.

(4:58 pm IST)