Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મધ્યપ્રદેશમાં આજથી ચોકીદારી શરૂ કરી રહ્યા છે : શિવરાજસિંહ

વિદાઈ ભાષણમાં શિવરાજસિંહ ચૌહાણ ભાવનાશીલ બની ગયા : ૨૦૧૯માં મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર હાલ કરતાય પ્રચંડ બહુમતિ સાથે બનશે : ૪૦ ટકા મળ્યા હોવા છતાંય બેઠકો ૧૦૯ મળી છે : શિવરાજ

ભોપાલ, તા. ૧૨ : મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હાર ખાધા બાદ આજે પ્રથમ પત્રકાર પરિષદ યોજીને શિવરાજસિંહ ચૌહાણ ભાવનાશીલ બન્યા હતા. પોતાના ભાષણમાં શિવરાજસિંહે હારની જવાબદારી સ્વીકારી હતી. સાથે સાથે દાવો કર્યો હતો કે, આજથી ચોકીદારી શરૂ કરશે અને ૨૦૧૯ની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં મજબૂત સરકાર આ વખતની જેમ જ બનશે. તેમણે કહ્યું હતું કે, એક મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરવા માટે તેઓ તૈયાર છે. શિવરાજસિંહે દાવો કર્યો હતો કે, ૨૦૦૫થી મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા અદા કરી રહ્યા હતા. હવે વિપક્ષની ભૂમિકા અદા કરશે. ૨૦૦૮ અને ૨૦૧૩ની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી અંતરથી જીત મેળવી હતી. મધ્યપ્રદેશમાં ૧૫ વર્ષ બાદ કોંગ્રેસ પાર્ટી સત્તામાં એન્ટ્રી કરી રહી છે. શિવરાજે કહ્યું  હતું કે, ૭.૫ કરોડ મધ્યપ્રદેશ વાસી તેમના પરિવારના સભ્યો છે. તેમના સુખ દુખ તેમના છે. તેમની પૂર્ણ ક્ષમતા સાથે રાજ્યમાં લોકોના વિકાસ  અને કલ્યાણ માટે કામ કરવાના પ્રયાસ કર્યા હતા. કોઇપણ પ્રકારની કમી રાખી ન હતી. અજાણતી વખતે કેટલીક ભુલો થઇ હશે પરંતુ સાત કરોડથી વધુ મધ્યપ્રદેશના વાસીઓ તેમના પરિવારના સભ્ય તરીકે છે. રાજીનામુ આપી દીધા બાદ પત્રકાર પરિષદ દરમિયાન તેઓએ પોતાની અવધિ દરમિયાન કરવામાં આવેલા કામની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રદેશમાં વિકાસની ગતિ ઝડપી બને તેવા તેમણે પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી વિકાસની યોજનાઓને જારી રાખશે તેવી તેઓ આશા રાખે છે. અમે મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરીશું. આજથી તેમની ચોકીદારી હવે શરૂ થઇ ચુકી છે. નવી સરકાર આપવામાં આવેલા વચન મુજબ ૧૦ દિવસમાં જ ખેડૂતોનું દેવું માફ કરે અને અન્ય વચનો પણ પાળે તેવી અમારી ઇચ્છા છે. હારની જવાબદારી સ્વીકારતા શિવરાજે કહ્યું હતું કે, ૨૦૦૮માં અમને ૩૮ ટકા મત મળ્યા હતા અને સીટો ૧૪૩ મળી હતી. આ વખતે ૪૦ ટકા મત મળ્યા છે અને સીટ ૧૦૯ મળી છે. જનાદેશની ગણતરી કેટલીક વખત ખોટી સાબિત થાય છે. પહેલાથી વધારે જનાદેશ મળ્યો હોવા છતાં સફળતા ઓછી દેખાઈ રહી છે પરંતુ વાસ્તવિકતા છે કે, અમે બહુમતિ મેળવી શક્યા નથી. અપેક્ષિત સફળતા પણ મેળવી શક્યા નથી. આના માટે શિવરાજસિંહ પોતે જવાબદાર છે. ૧૩ વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી રહેલા શિવરાજસિંહે મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કમલનાથને જીતની શુભેચ્છા આપી હતી. વિપક્ષ પણ ખુબ મજબૂત છે. અમારી પાસે ૧૦૯ સભ્યો છે. વિપક્ષની ભૂમિકાને ખુબ મજબૂતરીતે અદા કરીશું. પ્રદેશના ચોકીદાર તરીકેની ભૂમિકામાં રહીશું. શિવરાજે દાવો કર્યો હતો કે, ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાલ કરતા પણ પ્રચંડ બહુમતિ સાથે સરકાર બનશે. પ્રદેશ વાસીઓનો પ્રેમ હંમેશા મળતો રહ્યો છે. કોંગ્રેસને ૧૧૪ અને ભાજપને ૧૦૯ સીટો આ વખતે મળી છે.

(12:00 am IST)