Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

બ્રિટનથી આવતા યાત્રીકોને ૧૦ દિ'ના ક્વોરેન્ટીનથી છૂટ

ભારત સરકારે પરત લીધી ટ્રાવેલ એડવાઇઝરી : યાત્રીકો પર ૧૭ ફેબ્રુ.એ જાહેર કરાયેલા નિયમ લાગૂ થશે

નવી દિલ્હી,  તા.૧૩ : વેક્સીનેટેડ ભારતીય યાત્રીકો માટે બ્રિટનમાં ૧૦ દિવસના ક્વોરેન્ટીન નિયમ ખતમ થયા બાદ ભારતે પણ હવે ઢીલ આપી છે. ભારતે પણ બ્રિટનથી આવનારા યાત્રીકો માટે ૧ ઓક્ટોબરથી જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઇઝરીને પરત લઈ લીધી છે, જેનો સીધો અર્થ છે કે યૂકેથી આવનાર યાત્રીકોએ હવે ભારતમાં ૧૦ દિવસ સુધી ક્વોરેન્ટીન રહેવાની જરૂર નથી. હવે બ્રિટનથી આવનારા યાત્રીકો પર ૧૭ ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા નિયમ લાગૂ થશે.

સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી બુધવારે આ સંબંધમાં નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

જૂના નિયમ પ્રમાણે બ્રિટનથી આવનાર યાત્રીકો માટે નેગેટિવ-આરટીપીસીઆર રિપોર્ટ દેખાડવો જરૂરી છે. આ રિપોર્ટ ૭૨ કલાકથી વધુ જૂનો હોવો જોઈએ નહીં. સાથે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગમાં સંક્રમણના લક્ષણ દેખાવા પર સંબંધિત વ્યક્તિને તત્કાલ આઇસોલેટ કરવાની પણ જોગવાઈ છે.

મહત્વનું છે કે બ્રિટને ૪ ઓક્ટોબરથી નવા ટ્રાવેલ નિયમ જાહેર કર્યાં હતા. તે હેઠળ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીન લેનારા યાત્રીકોને ક્વોરેન્ટીનની જરૂર નહતી પરંતુ બ્રિટને ભારતની કોવિશીલ્ડ રસી લેનારાને આ છૂટ આપી નહોતી. જ્યારે બંને વેક્સીન એક ફોર્મ્યુલા પર બનેલી છે. એટલે કે બંને ડોઝ લેનારા ભારતીય યાત્રીકો માટે બ્રિટન પહોંચવા પર ૧૦ દિવસનું ક્વોરેન્ટીન ફરજીયાત હતું. તેના પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો હતો અને બ્રિટને નિયમોમાં ફેરફાર ન કરતા ભારતે જવાબી કાર્યવાહી કરતા યૂકેથી આવતા યાત્રીકો માટે ૧૦ દિવસનું ક્વોરેન્ટીન ફરજીયાત કરી દીધું હતું. પરંતુ બ્રિટને ૧૧ ઓક્ટોબરથી નિયમોમાં ફેરફાર કર્યો અને હવે કોવિશીલ્ડના બંને ડોઝ લઈ ચુકેલા યાત્રીકો માટે ૧૦ દિવસનું ક્વોરેન્ટીન ખતમ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતે પણ એક ઓક્ટોબરથી બદલેલા નિયમોને પરત લઈ લીધા છે.

(9:14 pm IST)