Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

મધ્યપ્રદેશ ચૂંટણી : ગઠબંધન ન થતાં ભાજપને સીધો લાભ

સપા અને બસપા સાથે કોંગ્રેસનું ગઠબંધન નહીં : ક્ષેત્રિય પક્ષો એકલા હાથે ચૂંટણી લડવા માટે સહમત થયા મધ્યપ્રદેશની તમામ ૨૩૦ સીટો ઉપર લડવાની જાહેરાત

ભોપાલ, તા. ૧૩ : મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સપા અને બસપા સહિત અન્ય ક્ષેત્રિય દળોની સાથે ચૂંટણી લડવામાં સફળ ન રહેતા ભાજપને ફાયદો થઇ રહ્યો છે. ક્ષેત્રિય પક્ષો સાથે ગઠબંધન કરવામાં કોંગ્રેસને નિષ્ફળતા મળતા હવે ભારતીય જનતા પાર્ટી આક્રમક દેખાઈ રહી છે. ભાજપને આનો ફાયદો ચૂંટણીમાં થઇ શકે છે. ક્ષેત્રિય પક્ષોએ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૨૩૦ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. મહાગઠબંધન બનવાની શક્યતા ભાજપ માટે કોઇપણ દ્રષ્ટિએ યોગ્ય દેખાઈ રહી ન હતી. એકમત થયેલા વિપક્ષ સામે ભાજપને મુશ્કેલી નડે તેવી સ્થિતિ હતી પરંતુ હવે ભાજપને વધારે ચિંતા દેખાઈ રહી નથી. વર્ષ ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણી પર નજર કરવામાં આવે તો ચિત્ર વધારે સ્પષ્ટ થઇ જાય છે. જો બસપા, સપા અને ગોંડવાના ગણતંત્ર પાર્ટીને પોતાની સાથે કરવામાં કોંગ્રેસ પાર્ટીને સફળતા મળી હોત તો તેની મત હિસ્સેદારી પણ ભાજપ કરતા વધારે થઇ હોત. ભાજપના સુત્રોનું કહેવું છે કે, ગઠબંધનને લઇને કોંગ્રેસની અનિશ્ચિતતા અકબંધ રહેલી છે. પાર્ટીને વિશ્વાસ હાંસલ કરવાની તક મળેલી છે પરંતુ પાર્ટીને ફાયદો થઇ રહ્યો નથી. કોંગ્રેસના નેતા આ બાબત ઉપર પણ ભાર મુકી રહ્યા છે કે, વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવામાં આવે. કોંગ્રેસના નેતાઓ એમ પણ માને છે કે, હાલમાં મહાગઠબંધન નહીં બનવાની સ્થિતિમાં લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન બનશે નહીં તેમ માની લેવા માટે કોઇ કારણ નથી. મધ્યપ્રદેશમાં થઇ રહેલા સર્વે બંને પાર્ટી વચ્ચે જોરદાર સ્પર્ધા હોવાની વાત કરી રહ્યા છે. ઓગસ્ટના સર્વેમાં કોંગ્રેસ પાર્ટીને લીડ દર્શાવવામાં આવી રહી હતી પરંતુ કોંગ્રેસ પાર્ટી હવે પાછળ દેખાઈ રહી છે. ઓક્ટોબર મહિનાના સર્વેમાં કોંગ્રેસ પાર્ટી પાછળ દેખાઈ રહી છે. આનો ફાયદો ભાજપને થઇ રહ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ પ્રભાત ઝાએ કહ્યું છે કે, મધ્યપ્રદેશમાં ભાજપની સ્થિતિ ખુબ મજબૂત રહેલી છે. કોંગ્રેસના ગઠબંધનના પ્રયાસો સફળ રહ્યા નથી.

પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની વાત માનવા તૈયાર નથી. રાજ્યસભા સાંસદે એમ પણ કહ્યું છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસના સોફ્ટ હિન્દુત્વ માટેના પ્રયાસોને સફળતા મળશે નહીં. કારણ કે, તેમના દેખાવાને દેશના લોકો સારી રીતે સમજી રહ્યા છે. રાહુલ ગાંધી હાલમાં સોફ્ટ હિન્દુત્વની દિશામાં આગળ વધી રહ્યા છે અને હિન્દુ ધાર્મિક સ્થળો ઉપર મોટાભાગે પહોંચી રહ્યા છે. કર્ણાટક અને ગુજરાતમાં પણ રાહુલે આ રણનીતિ અપનાવી હતી અને આનો ફાયદો પણ પ્રમાણમાં થયો હતો.

(8:03 pm IST)