Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

દર વર્ષે 2 કરોડ નવી નોકરીઓ, તમામ માટે ઘરનું ઘર, ખેડૂતોની આવક બમણી ,બુલેટ ટ્રેનનું શું થયું?: ભાજપ સાંસદ સ્વામીના પ્રહાર

આ વર્ષે 15 ઓગસ્ટના ભાષણમાં શું વાયદા કરવા જઇ રહ્યા છે?: સ્વામીએ ટ્વીટ કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું

નવી દિલ્હી :ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો રાજ્યસભાના સાંસદના રૂપમાં કાર્યકાળ સમાપ્ત થયો છે, ત્યારે તે મોદી સરકાર પર તીખા સવાલો ઉભા કરી રહ્યા છે. અલગ-અલગ મુદ્દાઓને લઇને સ્વામી પીએમ મોદી પર નિશાન સાધવામાં કોઇ કસર છોડતા નથી. 

15 મી ઓગસ્ટ નજીક આવી ગઇ છે. દેશના પીએમ મોદીના ભાષણની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન સ્વામીએ શનિવારે ટ્વીટ કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. 

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કે 2017 માં પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં 15 ઓગસ્ટ 2022 સુધી આ વાયદા પુરા કરવાનું વચન આપ્યું હતું. જેમાં દર વર્ષે 2 કરોડ નવી નોકરીઓ, તમામ માટે ઘરનું ઘર, ખેડૂતોની આવક બમણી કરવી, બુલેટ ટ્રેન તેનું શું થયું? તે આ વર્ષે 15 ઓગસ્ટના ભાષણમાં શું વાયદા કરવા જઇ રહ્યા છે?

 

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પોતાના નિવેદનોથી પોતાની પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરતા રહે છે. અવાર નવાર તે મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉભા કરતાં જોવા મળે છે. હવે તાજેતરમાં જ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સમર્થકો પર ટ્વીટ કરી નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મોદીના અડધા અધૂરા શિક્ષિત ભક્ત મારી પીએચડીનો મુકાબલો ન કરી શકે. હવે તેના પર બોલીવુડ એક્ટરે ટિપ્પણી કરી હતી. 

કેઆરકેએ ટ્વિટ કરતાં લખ્યું કે સુબ્રમણ્યમ સ્વામી ભાજપને રોજ કોસે છે પરંતુ મોદીને તેમને નિકાળવાની હિંમત નથી. કમાલ આર ખાનના આ ટ્વીટ પર યૂઝર્સની વિવિધ કોમેન્ટ આવી હતી. રાજ નામના યૂઝરે લખ્યું હતું કે તમે રાજકારણ રહેવા દો, તમે ફક્ત મૂવી રિવ્યૂ પર ધ્યાન આપો. 

અત્રે ઉલેલ્ખનીય છે કે કેટલાક વર્ષોથી સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ છે કે ભાજપ આઇટી સેલ તેમને સતત ટાર્ગેટ બનાવી રહી છે. સ્વામીએ કહ્યું હતું કે ભાજપની આઇટી સેલ બનાવટી એકાઉન્ટ દ્રારા તેમના વિરૂદ્ધ ટ્વીટ કરતી રહે છે. જોકે તેની ફરિયાદ પણ તે પીએમ મોદીને કરી ચૂક્યા છે. પરંતુ આ સિલસિલો ચાલતો રહ્યો છે. 

(9:05 pm IST)