Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પુર અને ભારે વરસાદથી સાત રાજ્યો બેહાલ : ૭૭૪ના મોત

તમિળનાડુ, હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીર, કર્ણાટકમાં વરસાદ જારી : તમિળનાડુમાં નવ જિલ્લાઓમાં એલર્ટની જાહેરાત : કાવેરી નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર : ૧૬ રાજ્યોમાં ભારે વરસાદને લઇ એલર્ટ

નવી દિલ્હી,તા. ૧૩ : ભારે વરસાદ અને પુરના કારણે વર્તમાન મોનસુન સીઝનમાં સાત રાજ્યોમાં ૭૭૪ લોકોના મોત થઇ ચુક્યા છે. કેરળ અને ઉત્તરપ્રદેશમાં સૌથી માઠી અસર થઇ છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. હિમાચલ પ્રદેશ, તમિળનાડુમાં પણ હાલત કફોડી બનેલી છે. હિમાચલમાં અતિ ભારે વરસાદના કારણે વાદળો ફાટવાની ઘટના અને ભારે વરસાદથી મોટી સંખ્યામાંલોકોના મોત થયા છે. અહીં ભેખડો ધસી પડતા પાંચના મોત થયા છે. અનેક હાઈવે બંધ રાખવામાં આવ્યા છે. રાજમાર્ગો બંધ રાખવામાં આવતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. સિમલા અને મંડીમાં સ્કુલો બંધ રાખવામાં આવી છે. હજુ ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ સોલાન, સિમલા, મંડી, કુર્લા, કાંગરા જેવા વિસ્તારોમાં સ્કુલ કોલેજો બંધ કરી દેવામાં આવી છે. અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. પાર્વતી ખીણના ઉંચાણવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બની છે. ચેન્નાઈથી પ્રાપ્ત અહેવાલ મુજબ તમિળનાડુમાં પણ પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અહીં ૩૫૯ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ૩૬ બાળકો સહિત ૨૭૬ લોકોને નામાક્કલ જિલ્લામાંથી ખસેડવામાં આવ્યા છે. કેટલાક રાજ્યો બેહાલ થયેલા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના આંકડા મુજબ વર્તમાન મોનસુનની સિઝનમાં સાત રાજ્યોમાં પુર અને ભારે વરસાદથી પરેશાની થઇ છે. આમાં હજુ સુધી ૭૭૪ લોકોના મોત થયા છે. ૧૬ રાજ્યોમાં પુરને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, તમિળનાડુ, તમિળનાડુ બંગાળ, આસામ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. કેરળમાં સૌથી વધુ ૧૮૭ લોકોના મોત થયા છે. દેશમાં મોનસૂનની વર્તમાન સિઝનમાં હજુ સુધી ૭૭૪થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે મોનસૂનની સિઝનમાં સાત રાજ્યોમાં પુર અને વરસાદ સંબંધિત બનાવોમાં ભારે નુકસાન થયું છે. ગૃહ મંત્રાલયના નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ૧૭૧ લોકોના મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૧૩૯ લોકોના મોત થઈ ચુક્યા છે. ગુજરાતમાં પણ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે બાવનથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જે રાજ્યોમાં પુરની સ્થિતિ અને ભારે વરસાદની સ્થિતિ રહી છે તેમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, નાગાલેન્ડનો સમાવેશ થાય છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં ૨૬થી વધુ લોકો હજુ લાપત્તા બનેલા છે. મહારાષ્ટ્રમાં ૨૬ જિલ્લાઓમાં વરસાદ અને પુરના કારણે અસર થઈ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ૨૨ અને આસામમાં ૧૪ જિલ્લાઓને અસર થઈ છે. કેરળમાં ૧૪, ઉત્તરપ્રદેશમાં ૧૨, ગુજરાતમાં ૧૦ અને નાગાલેન્ડમાં ૧૧ જિલ્લાઓને અસર થઈ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આસામમાં ૧૧.૪૫ લાખ લોકોને પુર અને ભારે વરસાદની અસર થઈ છે જ્યારે ૨૭૫૫૨ હેકટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. આંકડામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આસામમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૫ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. એનડીઆરએફની એક ટીમમાં ૪૫થી વધુ કર્મચારીઓ હોય છે. એનડીઆરએફની આઠ ટીમો ઉત્તરપ્રદેશમાં, આઠ ટીમો પશ્ચિમ બંગાળમાં, સાત ટીમો ગુજરાતમાં, ચાર ટીમો કેરળમાં, ચાર ટીમો મહારાષ્ટ્રમાં અને એક ટીમ નાગાલેન્ડમાં લાગેલી છે.હાલમાં કેરળમાં અભૂતપૂર્વ વરસાદના પરિણામ સ્વરૂપે લોકોની હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અડધાથી વધુ કેરળ પુરના સકંજામાં છે. કેરળમાં ૧૧ જિલ્લાઓમાં પુરના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. દરમિયાન ૧૬ રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી કોઇ રાહત મળે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવેને પણ બંધ કરવાની ફરજ પડી છે. હરિદ્વાર, પિથોરાગઢ, રુરકી અને નૈનિતાલમાં ભારે વરસાદ થયો છે. બદ્રીનાથ નેશનલ હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદ થયો છે. ઓરિસ્સાના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે પાંચ લોકોના મોત થઇ ગયા છે.

ભારતમાં પુરથી મોત....

નવીદિલ્હી, તા. ૧૩ : ભારતમાં જુદા જુદા રાજ્યોમાં પુરના કારણે દર વર્ષે ભારે નુકસાન થાય છે. મોટી સંખ્યામાં લોકોના મોત પણ થાય છે. છેલ્લા ચાર વર્ષમાં પુરથી દેશમાં કેટલા લોકોના મોત થયા છે તે નીચે મુજબ છે.

વર્ષ............................................................... મોત

૨૦૧૫........................................................ ૧૪૨૦

૨૦૧૬........................................................ ૧૪૨૦

૨૦૧૭........................................................ ૨૦૧૪

૨૦૧૮.......................................................... ૭૭૪

પુરથી પાક-મકાન નુકસાન

નવીદિલ્હી, તા. ૧૩ :ભારતમાં જુદા જુદા રાજ્યોમાં પુરના કારણે દર વર્ષે ભારે નુકસાન થાય છે. મોટી સંખ્યામાં લોકોના મોત પણ થાય છે. પુરના કારણે પાક-મકાન અને જાહેર સંપત્તિને નુકસાન નીચે મુજબ છે.

વર્ષ       સંપત્તિને નુકસાન

૨૦૧૫....................................... ૫૭૨૯૧.૦૯ કરોડ

૨૦૧૬.......................................... ૫૬૭૫.૩૨ કરોડ

૨૦૧૭...........................................૮૫૯.૩૯ કરોડ

(7:19 pm IST)