Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

કેરળ : ભારે વરસાદ ચાલુ : સ્થિતિ વધારે વણસી

૮૩૧૬ કરોડથી પણ વધારે નુકસાન થઇ ગયું છે : ૬૦ હજારથી વધારે લોકો હજુય રાહત કેમ્પમાં : સોમવારે પણ સ્કુલો - કોલેજમાં રજા રહી : હવે રોગચાળાનો ખતરો

તિરુવંનંતપુરમ તા. ૧૩ : કેરળમાં ભારે વરસાદ અને પુરના કારણે હાલત કફોડી બનેલી છે. કેરળમાં સ્વતંત્રતા બાદ આવી પુરની સ્થિતી ક્યારેય સર્જાઇ નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં અડચણો આવી રહી છે કારણ કે ભારે વરસાદ હજુ પણ જારી છે. કેરળના મુખ્યપ્રધાન વી વિજયને કહ્યુ છે કે પ્રાથમિક અંદાજ મુજબ પુરના કારણે કેરળમાં ૮૩૧૬ કરોડનુ નુકસાન થઇ ચુક્યુ છે. તેઓએ તાત્કાલિક રાહત અને પુરવસવાટ માટે ૮૨૦ કરોડ રૂપિયા ઉપરાંત ૪૦૦ કરોડ રૂપિયાની માંગ કરી છે. દરમિયાન કેન્દ્રિત ગૃહ પ્રધાન રાજનાથસિંહે પુરની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ ૧૦૦ કરોડ રૂપિયાની તરત જ સહાય કરવાની જાહેરાત કરી છે. જો કે કેરળના મુખ્યપ્રધાન દ્વારા ખુબ ઉંચી માંગ મુકવામાં આવી છે. વિજયન કહી ચુક્યા છે કે આશરે ૨૫ હજાર મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ૧૦ હજાર કિલોમીટર લાંબા માર્ગો પણ નાશ પામ્યા છે. ઇડુક્કીના જિલ્લા વહીવટીતંત્રએ પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે. સાથે સાથે ભારે વાહનોની અવરજવર ઉપર પણ બ્રેક મુકી દીધી છે. ૪૦ વર્ષમાં પ્રથમ વખત આવું બન્યુ છે જ્યારે ઇડુક્કી ડેમમાં પાંચ શેલ્ટરો ખોલી દેવામાં આવ્યા છે. ઇર્નાકુલમમાં ૬૫૦૦ અને ઇડુક્કીના ૭૫૦૦થી વધુ પરિવારોને માઠી અસર થઇ છે. વિદેશી પ્રવાસીઓ પણ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે.  પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે.

ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં ૧૦ લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે . વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યક્તિ લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા.અસરગ્રસ્ત વિસ્તારોમાં  એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે.   ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને અસર થઇ છે. વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેરળમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુર અને વરસાદથી મોતનો આંકડો વધીને ૩૯ સુધી પહોંચી ગયો છે. ૮મી ઓગસ્ટથી અવિરત વરસાદ પડી રહ્યો છે.  જેથી સ્થિતી ગંભીર બની ગઇ છે. રાહત કેમ્પમાં ૬૦૦૦૦થી વધુ લોકો આસરો લઇ રહ્યા છે. વાયનાડમાં સૌથી વધુ કફોડી હાલત બની છે. અહીં ૧૪૦૦૦ લોકો રાહત છાવણીમાં છે. નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે. પુરના કારણે સૌથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. ઇડુક્કી અને ઇદમલયાર જળાશયોમાં પાણીની સપાટી હવે ધીમીગતિએ ઘટી રહી છે પરંતુ હાલત ખુબ જ કફોડી થઇ છે. પુરના પાણી ઉતર્યા બાદ રોગચાળો થવાની પણ દહેશત દેખાઇ રહી છે.(૨૧.૨૯)

(4:20 pm IST)