Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જનધન ખાતા ધારકો માટે ૧૫મીએ અનેક જાહેરાતો

૩૨ કરોડ ખાતા ધારકોને મોટી રાહત અપાશે : ઓવરડ્રાફ્ટની સુવિધા ૫૦૦૦ રૂપિયાથી વધારીને દસ હજાર રૂપિયા કરાશે : ભાષણ ઉપર તમામની નજર રહેશે

નવી દિલ્હી, તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલકિલ્લા પરથી સંબોધન કરવા જઇ રહ્યા છે ત્યારે મોદી આ વખતે ફાઈનાન્સિયલ ઇન્ક્લુશનના મુદ્દા ઉપર વાત કરે તેવી શક્યતા છે. જનધન ખાતા ધારકો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલીક સુવિધાઓની જાહેરાત પણ થઇ શકે છે. ૩૨ કરોડથી વધુ જનધન ખાતા ધારકોના સંદર્ભમાં કોઇ મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. સરકારની ફાઈનાન્સિયલ ઇન્ક્લુશન ઝુંબેશને પ્રોત્સાહન આપવા કોઇ નવી જાહેરાત થઇ શકે છે. પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા ધારકો માટે ઓવરડ્રાફ્ટની સુવિધા બે ગણી કરીને ૧૦૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. હાલમાં આ સુવિધા ૫૦૦૦ રૂપિયા સુધીની છે. હાલમાં ખાતાઓ છ મહિના યોગ્યરીતે ચાલ્યા બાદ ૫૦૦૦ રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે. સરકાર માઇક્રો ઇન્સ્સોરન્સ સ્કીમની પણ જાહેરાત કરી શકે છે. રુપેકાર્ડ હોલ્ડરોને મળનાર મફત વિમાની રકમને વધારીને વધુ કરી શકાય છે. એક લાખ રૂપિયાથી આ રકમને વધારી શકાય છે. વડાપ્રધાન જનધન યોજનાના બીજા તબક્કાનું ૧૫મી ઓગસ્ટના દિવસે પૂર્ણ કરી રહ્યા છે. યોજના માટે હવે નવા લક્ષ્ય નક્કી કરવામાં આવનાર છે. આની જાહેરાત માટે સ્વતંત્રતા દિવસનો પ્રસંગ ખુબ યોગ્ય રહી શકે છે. જનધન યોજનાની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૪માં કરવામાં આવી હતી. પ્રથમ તબક્કો ૧૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે પૂર્ણ કરાયો હતો. છેલ્લા ચાર વર્ષના ગાળામાં આ યોજના હેઠળ ૩૨.૨૫ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. આમા ૮૦૬૭૪.૮૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. સરકાર અટલ પેન્શન યોજના હેઠળ પેન્શન મર્યાદા ૫૦૦૦ રૂપિયા પ્રતિમાસથી વધારીને ૧૦૦૦૦ રૂપિયા કરી શકે છે. આ ઉપરાંત પણ અન્ય કેટલીક જાહેરાતોની શક્યતા દેખાઈ રહી છે. અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરતા વર્કરો માટે પણ કેટલીક બચત યોજનાઓની જાહેરાત થઇ શકે છે. પેન્શન લાભને લઇને સ્પષ્ટતા નહીં હોવાથી સ્વાવલંબન સ્કીમ હેઠળ કવરેજને લઇને પ્રશ્નો ઉઠ્યા છે. અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં તમામ નાગરિકો ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અટલ પેન્શન યોજના હેઠળ લોકોને ૫૦૦૦થી ૧૦૦૦૦ રૂપિયા પ્રતિ મહિને પેન્શન મળશે. તેમના યોગદાન ઉપર આ રકમ આધારિત રહેશે.

કઈ જાહેરાતો થઇ શકે

*    ૩૨ કરોડ જનધન ખાતા ધારકો માટે મોટી જાહેરાત થશે

*    ઓવરડ્રાફ્ટની સુવિધાને ૫૦૦૦થી વધારીને ૧૦૦૦૦ રૂપિયા કરવામાં આવશે

*    ફ્રી દુર્ઘટના વિમાની રકમને એક લાખ રૂપિયાથી વધારવામાં આવી શકે છે

*    અટલ પેન્શન યોજના હેઠળ પેન્શનની મર્યાદા ૫૦૦૦ રૂપિયા પ્રતિ મહિનાથી વધારીને ૧૦૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે

*    અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરતા વર્કરો માટે નવી જાહેરાતો કરવામાં આવી શકે છે

(12:00 am IST)