Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મંગલકોટના ટીએમસીના અધ્યક્ષની ગોળી મારી હત્યા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદનો હિંસાનો દોર યથાવત : ટીએમસી નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો, નેતા મોટરસાઈકલ પર ઘરે જતા હતા ત્યારે ફાયરિંગ કર્યું

કોલકાતા, તા. ૧૩ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી શરુ થયેલી હિંસા હજી ચાલુ છે અને રાજ્ય સરકાર તેને રોકવામાં નિષ્ફળ ગઈ છે તે હકીકત છે.

અત્યાર સુધી હિંસાના મોટાભાગના કિસ્સામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ટાર્ગેટ બની રહ્યા હતા પણ લેટેસ્ટ મામલામાં રાજ્યના મંગલકોટ જિલ્લામાં ટીએમસીના અધ્યક્ષ અસીમ દાસની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.આ માટે ટીએમસી નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો છે.

પોલીસના કહેવા પ્રમાણે અસીમ દાસ સોમવારે સાંજે મોટરસાઈકલ લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકો તેમની પાસે આવ્યા હતા અને તેમની મોટરસાયકલ ઉભી રખાવી હતી.એ પછી અસીમ દાસ પર તેમણે ફાયરિંગ કર્યુ હતુ.જેના પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.

હોસ્પિટલમાં લઈ જવાયેલા અસીમ દાસને ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા.એ પછી ટીએમસીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સમર્થિત ગુંડાઓએ તેમની હત્યા કરી છે.આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તનાવ છે.

બીજી તરફ ભાજપે સ્પષ્ટતા કરી છે કે, અમે ખૂનખરાબાની રાજનીતિમાં ભરોસો રાખતા નથી.ટીએમસીમાં આંતરિક જૂથવાદાના કારણે અસીમ દાસની હત્યા થઈ છે અને આરોપ ભાજપ ર લગાવાઈ રહ્યો છે.

અસીમદાસ પોતાની પાછળ પત્ની, વિધવા માતા અને બે સંતાનોને છોડી ગયા છે.ઉલ્લેખનીય છે કે, બંગાળમાં થઈ રહેલી હિંસા અંગે ભાજપ સતત ફરીયાદ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ આ મામલામાં સરકારને ફટકાર લગાવી છે.તાજેતરમાં માનવાધિકાર પંચની ટીમે બંગાળના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો.

(9:22 pm IST)