Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

બેતુલમાં યુવકે ભાઈના કરતૂતોથી બદનામી થતાં આત્મહત્યા કરી

મોટા ભાઈએ ખુની ખેલ ખેલતાં બદનામી : મોટા ભાઈએ પ્રેમિકાના ઘરમાં ઘૂસીને ત્રણની હત્યા બાદ પોતે આત્મહત્યા કરતા પરિવારની બદનામી થઈ હતી

ભોપાલ, તા.૧૩ : પ્રેમમાં પાગલ બનેલા શખ્સના લીધે પાંચ લોકોના જીવ ગયા છે. પ્રેમાંધ યુવકે ભરેલા પગલાના લીધે લોકોમાં ભારે ગભરામણ ફેલાઈ રહી છે. ભાનુ ઠાકુર નામના આશિકે ભરેલા પગલાના કારણે એકથી વધારે પરિવારોમાં દુઃખના પહાડ તૂટી પડ્યા છે. બેતુલમાં બનેલી ઘટનામાં પહેલા ત્રણની હત્યા અને એક આપઘાતનો કેસ બન્યો હતો જોકે, હવે તેમાં વધુ એક નાની ઉંમરના યુવકનું મોત ઉમેરાયું છે. ઘટના વિશે વિચારીને લોકોને કંપારી છૂટી જતી હતી ત્યાં વધુ એક મોત થતા ડરનો માહોલ સર્જાયો છે. મધ્યપ્રદેશના બેતુલના ૨૮ વર્ષના નાગેશ તોમર નામના યુવકે પોતાના ભાઈની દશા જોઈને આઘાતમાં આવી જઈને આપઘાતનું પગલું ભર્યું છે. સોમવારે સવારે યુવકે ચિઠ્ઠી લખીને આપઘાત કરી લીધો હતો. જેમાં યુવકે પોતાના ભાઈના મૃત્યુ પછીની સ્થિતિ અંગે વિવિધ વાતો અને ચર્ચાઓ વિશે જાણ્યા બાદ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

નાગેશ મૃતક ૨૬ વર્ષના ભાનુ ઠાકુર નામના યુવકનો મોટો ભાઈ હતો, ભાનુએ પોતાની પ્રેમિકાના ઘરમાં ઘૂસીને મોતનું તાંડવ ખેલ્યું હતું. તેણે પોતાની ગર્લફ્રેન્ડ બરખા સહિત લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ભાનુએ ૧૦ જુલાઈના રોજ પોતાની ગર્લફ્રેન્ડ સહિત તેની પિતરાઈ બહેન અને પાડોશીની હત્યા કર્યા બાદ પોતે પણ ત્યાં આત્મહત્યા કરી લીધી હતી. ભાનુએ હત્યાકાંડ પહેલા એક વિડીયો પણ ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેણે મોતના તાંડવ માટે પોતાની ગર્લફ્રેન્ડને જવાબદાર ગણાવી હતી.

ભાનુ ઠાકુરે પોતે કરેલી ત્રણ હત્યા માટે પ્રેમિકા બરખાને જવાબદાર ગણાવી હતી, તેની સાથે એવી પણ વિગતો સામે આવી રહી છે કે ભાનુનું બરખા સાથે બ્રેકઅપ થયા બાદ તે ખુબ ગુસ્સામાં રહેતો હતો અને વારંવાર તેની પ્રેમિકાને મનાવવાની કોશિશો કર્યા બાદ આવેશમાં આવી જતો હતો. પછી તે પ્રેમિકાના ઘરે આવેશમાં પહોંચ્યો હતો અને ખૂની ખેલ ખેલ્યો હતો. બેતુલના એસપી સિમલા પ્રસાદે જણાવ્યું છે કે, મૃતક નાગેશ તોમર, ત્રણ લોકોની હત્યા કરીને આપઘાત કરનાર ભાનુ ઠાકુરનો મોટો ભાઈ છે. ભાનુએ ૧૦ તારીખે ત્રણની હત્યા કરીને પોતે આપઘાત કર્યો હતો. નાગેશ ચાની કિટલી ચલાવતો હતો. તેણે આપઘાત કરતા પહેલા અંતિમ ચિઠ્ઠી પણ લખી છે, જેમાં તેણે પોતાના ભાઈએ ભરેલા પગલાના કારણે થયેલા માનહાનીથી પરેશાન રહેતો હતો.

વધુમાં સિમલા પ્રસાદ જણાવે છે કે, ૧૦ જુલાઈના દિવસે બનેલી ઘટના બાદ મૃતક નાગેશ રોજની જેમ સોમવારે ચાની કિટલી પર ગયો હતો, તેના ભાઈએ ખેલેલા ખૂની ખેલનો કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને તેના કારણે તે આઘાતમાં સરી પડ્યો હતો, સોમવારે પણ લોકોએ તેની સાથે મુદ્દા પર વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. પછી તેને લોકોની વાતોથી લાગી આવતા તે ઘરે ભાગી ગયો હતો અને તેને આપઘાત કરી લીધો હતો. જ્યારે તેણે આપઘાત કર્યો ત્યારે તેનો મોટો ભાઈ, ભાભી અને મા પણ ઘરે હતા, પરંતુ તેઓ બીજા રૂમમાં હતા.

હવે પોલીસ દ્વારા આપઘાત કરનારા યુવકના પરિવારના અન્ય સભ્યોનું કાઉન્સિલિંગ કરાવી રહી છે, જેના લીધે હવે પરિવારમાં વધુ આવી કોઈ ઘટના ના બને, અથવા આવી ઘટનાને ટાળી શકાય. પોલીસે કેસમાં વધારે તપાસ શરુ કરી છે.

ભાનુ ઠાકુરે તેની પ્રેમિકા બરખા સહિત ત્રણની ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખી હતી. ભાનુ ઠાકુર ટ્રક ડ્રાઈવર હતો અને તેની પ્રેમિકા બરખા સોનીએ બીએસસી સુધીની ડિગ્રી મેળવી હતી. આવામાં પ્રેમમાં પાગલ બનેલા ભાનુએ કોઈ કારણોસર પ્રેમિકા પર ગુસ્સો આવી જતા તમંચો લઈને તેના ઘરે પહોંચી ગયો હતો.

(7:46 pm IST)