Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ગઈકાલે જ પત્નિ સાથે ભૈયુજી મહારાજને ઝઘડો થયો'તો

પુત્રી કુહુ અને સાવકી માતા ડો. આયુશીને બનતુ નહોતું: જેને લઈને વારંવાર પતિ-પત્નિ વચ્ચે ઝઘડા થતા હતાઃ પુત્રી કુહુએ સાવકી માતાને જેલમાં બંધ કરી દેવા અને તેને કારણે જ પિતાએ આત્મહત્યા કરી હોવાનો કર્યો ધડાકો

ઈન્દોર, તા. ૧૩ :. આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે ગઈકાલે આપઘાત કરી લીધો હતો. તેમના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યુ છે કે તેઓ ટેન્શનમાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પારીવારિક વિવાદની વાદ સામે આવી છે તો પોલીસને આપેલા નિવેદનમાં પત્નિ-પુત્રીએ એકબીજા ઉપર આરોપોનો મારો ચલાવ્યો છે.

જાણવા મળે છે કે ગઈકાલે સવારે ૧૧ વાગ્યે ભૈયુ મહારાજ પુત્રી કુહુના રૂમમાં પહોંચ્યા તો ત્યાં બધુ અસ્તવ્યસ્ત જોવા મળ્યુ હતું. તેમણે પત્નિ આયુશીને કહ્યુ હતુ કે, કુહુ આવવાની છે. જેને લઈને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. તે પછી ભૈયુ મહારાજે નોકરો પાસે રૂમ ઠીકઠાક કરાવ્યો હતો.

ડીઆઈજી મિશ્રાએ જણાવ્યુ છે કે, ઘરમાં ભૈયુજી, માતા તથા સેવક વિનાયક અને યોગેશ હાજર હતા. પત્નિ ડો. આયુશી બહાર ગઈ હતી. બે સેવાદાર હતા. જેમને સવારે ૧૧ વાગ્યે તેમણે નીચે મોકલી દીધા હતા અને પૂનામાં રહેતી પુત્રી કુહુના રૂમમાં ચાલ્યા ગયા હતા. જ્યારે પત્નિ ૧૨ વાગ્યે પાછી ફરી તો જોયુ કે લાયસન્સવાળી રીવોલ્વર મહારાજના હાથ પાસે પડી હતી અને માથામાંથી લોહી નીકળતુ હતું. તેમને બોમ્બે હોસ્પીટલ લઈ જવાયા ત્યાં તેનુ મોત થયુ હતું.

પોેલીસને આપેલા નિવેદનમાં ભૈયુજીની પુત્રી કુહુએ કહ્યુ છે કે, હું ડો. આયુશીને મારી માતા માનતી નથી. તેમને કારણે જ મારા પિતાએ આ પગલુ ભર્યુ છે. તેમને જેલમાં બંધ કરી દયો. તો બીજી તરફ ભૈયુજીની પત્નિ ડો. આયુશીએ નિવેદનમાં કહ્યુ છે કે, કુહુને હું અને મારી પુત્રી ગમતા નથી તેથી પુત્રીના જન્મ બાદથી હું મારી માતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી કારણ કે કુહુ અહીં રહેવાની હતી. કુહુ પૂણે ગયા બાદ થોડા દિવસ પહેલા જ હું ઈન્દોર આવી હતી અને હું અને ભૈયુ મહારાજ સારી રીતે રહેતા હતા.

ભૈયુજીના ઘરે રહેતા નોકરો અને સેવાદારે પણ પત્નિ અને પુત્રી વચ્ચે વિવાદની વાત જણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે દરેક વખતે તેઓ પત્નિથી વધુ પુત્રીનો પક્ષ લેતા હતા તેથી ઝઘડો થતો હતો. ભૈયુજી મહારાજની પહેલી પત્નિની પુત્રી કુહુ છે. બીજા લગ્ન બાદ પુત્રીને બનતુ નહોતું. બીજી પત્નિ ડો. આયુશીને ૩ મહિનાની પુત્રી છે. પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે ભૈયુજી મહારાજના બીજા લગ્નની કુહુને માહિતી નહોતી અને તે લગ્નમાં પણ આવી નહોતી. બાદમાં ઘરે આવી તેણીએ ઝઘડો કર્યો હતો.

ભૈયુજી મહારાજની પહેલી પત્નિનું નવેમ્બર ૨૦૧૫માં નિધન થયુ હતુ બાદમાં તેમણે ૩૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ ડો. આયુશી શર્મા સાથે બીજા લગ્ન કર્યા હતા. સૂત્રોના કહેવા મુજબ કુહુ અને ડો. આયુશી વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. પારીવારીક કલહને કારણે તેઓ ટેન્શનમાં હતા.(૨-૪)

(10:08 am IST)