Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મફત વેકસીનઃ મહિને ૬ હજાર રૂપિયા... વિપક્ષના ૧૨ નેતાઓએ પીએમ મોદીને લખ્યો પત્ર

સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાને એચડી દેવગૌડા સહિતના વિરોધ પક્ષના ૧૨ નેતાઓએ કોરોનાની સ્થિતિ અંગે પીએમ મોદીને પત્ર લખ્યો. : વિરોધ પક્ષના નેતાએ દેશમાં મફત વેકસીન આપવા અને બેરોજગારોને મહિને ૬ હજાર રૂપિયા આપવા માગ કરી. : સાથે જ પીએમ કેર્સ ફંડના બધા રૂપિયાથી તબીબી સાધનો ખરીદવા અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ રોકી તે રૂપિયા વેકસીનેશન માટે વાપરવા માગ કરી છે.

નવી દિલ્હી, તા.૧૩: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા સહિત ૧૨ મુખ્ય વિરોધ પક્ષના નેતાઓએ કોરોનાની મહામારીની ગંભીર સ્થિતિને લઈને બુધવારે ચિંતા વ્યકત કરી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આગ્રહ કર્યો કે, કેન્દ્ર સરકાર વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરના બધા સ્ત્રોતો પાસેથી વેકસીન ખરીદે અને દેશના બધા નાગરિકોને મફત રસી લગાવવામાં આવે.

વડાપ્રધાનને લખેલા પત્રમાં આ નેતાઓએ બધા દેશવાસીઓને મફત વેકસીન લગાવવાની વ્યવસ્થા કરવાની, સેન્ટ્રેલ વિસ્ટા પરિયોજનાને રોકીને તેના રૂપિયા વેકસીનેશન માટે ઉપયોગ કરવા, ત્રણ કૃષિ કાયદાને રદ કરવા, 'પીએમ કેર્સ' ફંડની બધી રકમનો ઉપયોગ જરૂરી તબીબી ઉપકરણોની ખરીદી માટે કરવા અને બધા બેરોજગારો લોકોને પ્રતિ માસ ૬,૦૦૦ રૂપિયા આપવાની માંગ પણ કરી છે.

કોંગ્રેસ તરફથી સોનિયા અને જનતા દળ (એસ) તરફથી દેવગોડા ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવાર, શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે, તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્યિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દ્રમુક નેતા અને તમિળનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તથા ઝારખંડ મુકિત મોર્ચાના નેતા અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આ પત્ર લખ્યો છે. તે ઉપરાંત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, નેશનલ કોન્ફ્રન્સના નેતા ફારુક અબ્દુલ્લા, ભાકપા મહાસચિવ ડી રાજા અને માકપા મહાસચિવ સીતારામ યેચુરી પણ આ સંયુકત પત્ર મોકલનારા નેતાઓમાં સામેલ છે.

આ નેતાઓએ પત્રમાં કહ્યું કે, 'દેશમાં કોરોના મહામારી આકસ્મિક સ્તરના માનવીય સંકટનું રૂપ લઈ ચૂકી છે. અમે ભૂતકાળમાં પણ તમારું ધ્યાન એ પગલાં તરફ ખેંચ્યું હતું જે કેન્દ્ર સરકાર તરફથી ઉઠાવવા જોઈતા અને લાગુ કરવા જરૂરી હતા. કમનસીબે તમારી સરકારે બધા સૂચનોને નજરઅંદાજ કર્યા કે પછી માનવાનો ઈનકાર કરી દીધો. આ રીતે સ્થિતિ ભયાનક માનવીય સંકટ તરફ વધી ગઈ.

વિપક્ષના નેતાઓએ એવી પણ માગ કરી કે, 'બજેટમાં ફાળવાયેલા ૩૫,૦૦૦ કરોડ રૂપિયા વેકસીન માટે ખર્ચ કરવામાં આવે. સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના પર રોક લગાવવામાં આવે. તેના માટે નક્કી કરાયેલા રૂપિયાનો ઉપયોગ ઓકસીજન અને વેકસીન ખરીદીમાં કરવામાં આવે. લેખા-જોખા વિનાના ટ્રસ્ટ ફંડ 'પીએમ કેર્સ'માં રહેલી બધી રકમનો ઉપયોગ વેકસીન, ઓકસીજન અને જરૂરી તબીબી ઉપકરણોની ખરીદી માટે કરવામાં આવે.

તેમણે કહ્યું કે, 'બધા બેરોજગાર લોકોને ૬,૦૦૦ રૂપિયા મહિને આપવામાં આવે. જરૂરિયાતમંદ લોકોને કેન્દ્ર સરકારના અનાજ ગોડાઉનોમાંથી અનાજ પૂરું પાડવામાં આવે. ત્રણ કૃષિ કાયદાને રદ કરવામાં આવે, જેથી લાખો અન્નદાતા મહામારીથી બચી શકે અને ભારતીય નાગરિકો માટે અન્ન ઉત્પન્ન કરી શકે.' વિપક્ષના નેતાઓએ કહ્યું કે, 'અમે આશા રાખીએ છીએ કે ભારત અને આપણી જનતાના હિતમાં આ સૂચનો તમારા તરફથી આવકારવામાં આવશે.

(11:45 am IST)