Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

આયાતી વેસ્ટ પેપરની ખેંચના કારણે ફિનિશ પેપરના ભાવો વધી જવાની ધારણા

કોરોનાથી અસરગ્રસ્ત ઉદ્યોગની સરકાર પાસે રાહત પેકેજની માગણી

મુંબઇ, તા.૧૩: ભારતીય પેપર રિસાઈકિલંગ ઉદ્યોગ મુખ્યત્વે આયાતી વેસ્ટ પેપર પર નિર્ભય હોય છે. હવે ઘણા નિકાસકાર દેશો કોરોના વાયરસ પ્રસરવાના ડરે વેસ્ટ પેપર બાળી નાખે છે અથવા જમીનભરણી માટે મોકલી દે છે. આથી  આયાતી વેસ્ટ પેપરની ભારે ખેંચ સર્જાઈ હોવાથી અત્રે ફિનિશ પેપરના ભાવો વધી જવાની શકયતા છે. ૨૦૨૦ના પ્રારંભથી વિશ્વભરમાં વેસ્ટ પેપરના ભાવો વધ્યા છે. આથી ભારતીય પેપર મિલોએ લોકડાઉન પૂર્વે ૨૦ ટકા ભાવો  વધાર્યા હતા, પણ એ ભાવવધારો હજી પેકેજિંગ ઉદ્યોગે પચાવવો બાકી છે.

ગુજરાત પેપર મિલ્સ એસોસીએશનના પ્રમુખ સુનીલ અગ્રવાલે જણાવ્યું છે કે લોકડાઉનના કારણે વિવિધ બંદરો પર વેસ્ટ પેપર ભરેલાં સેંકડો કન્ટેનરો અટવાઈ ગયાં છે. કુરિયર સર્વિસ, ટ્રાન્સપોર્ટેશન, શિપિંગ સાઈનની ઓફિસો બંધ હોવાથી અને માનવબળની ખેંચ પડી જવાથી માલની હેરફેર અટકી પડી છે. આથી ભારે ડીટેન્શન ચાર્જિસ, ડેમરેજીસ, ગ્રાઉન્ડ ભાડું, વ્યાજ, લેટ ફાઈલિંગ ફી વગેરે ભારતીય પેપર ઉદ્યોગને સહેવી પડે છે. એક અંદાજ પ્રમાણે ડીટેન્શન ચાર્જિસ દ્વારા માત્ર  શિપિંગ લાઈન્સને જ રૂ. ૧૦૦૦ કરોડનો ફટકો લાગી જવાની શકયતા છે. આ ભારણ પેપર ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી. આથી પેપર મિલો બંધ પડી જવાની અને એમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ૧૦૦ લાખ લોકો બેકાર બની જવાની દહેશત છે.

ગુજરાત પેપર મિલ્સ એસોસીએશનના પ્રમુખ સુનીલ અગ્રવાલે વધુમાં જણાવ્યું છે કે દેશ વિદેશમાં વેસ્ટ પેપરની ઉપલબ્ધતા ઘટી હોવાથી તેમ જ કોસ્ટ વધી હોવાથી આગામી દિવસોમાં ક્રાફટ પેપરના ભાવો રોકેટ ગતિએ વધવાની ધારણા છે, આથી સરકારે પેપર ઉદ્યોગને બચાવવા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. જીએસટીની વસૂલાત એક વર્ષ માટે મુલતવી રાખવી જોઈએ અને ક્રાફ્ટ પેપર ઉદ્યોગને વ્યાજમુકત ૧૨૦ માસિક હપ્તાઓમાં તે ભરવાની સવલત કરી આપવી જોઈએ. આ ઉપરાંત લોકડાઉન ગાળા દરમિયાનના ડીટેન્શન ચાર્જ, ડેમરેજીસ, ગ્રાઉન્ડ રેન્ટ, લેટ ફાઈલિંગ ફી કે વ્યાજ લાગવાં ન જોઈએ. આ માટે દંડ, સજા કે કોર્ટ કાર્યવાહી થવી ન જોઈએ. સરકારી આદેશો સરળ ભાષામાં હોવા જોઈએ કે જેથી તેના અર્થઘટનમાં, વિવાદો ઊભા ન થાય. ત્રીજું કેલેન્ડરમાંથી સરકારે લોકડાઉન પીરીયડ કાઢી નાખવો જોઈએ. આથી લોકડાઉનના ગાળા દરમિયાન રિસાઈકિલંગ ઉદ્યોગને બેન્કનાં વ્યાજ લાગવાં ન જોઈએ, બેન્ક ઓવરડ્યુસ મુલતવી રાખવા જોઈએ, ચુકવણીના વિલંબને ગુનો ન ગણવો જોઈએ. આ ઉપરાંત કોવીદ-૧૯થી થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર પેપર ઉદ્યોગને ચૂકવવું જોઈએ.

લોકડાઉનના ગાળાનો કામદારોને પગાર ચૂકવવાનું ઉદ્યોગ માટે મુશ્કેલ બની રહેલ છે. આ ઉપરાંત ફિકસ અને વિવિધ અન્ય ખર્ચા પણ ઉદ્યોગે ભોગવવાના છે. લોકડાઉન પતી ગયા બાદ જયારે પેપર ઉદ્યોગ ખૂલશે ત્યારે તેને એક બાજુ વેસ્ટ પેપરની ખેંચ નડશે અને બીજી બાજુ ફિનિશ પેપરનો તોતિંગ ભાવવધારો નડશે.

(10:32 am IST)