Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વેક્સીન લીધા બાદ સંક્રમિત થનાર ફેલાવી શકે છે કોરોના :નિષ્ણાંતોની ગંભીર ચેતવણી

વેક્સિન લઈ લેવાથી ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી.

નવી દિલ્હી : કોરોનાની વેક્સીન લીધા બાદ પણ કેટલાક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી સવાલ ઉભા થઈ રહ્યાં છે કે, તો પછી વેક્સીન લેવાનો શું મતલબ? નિષ્ણાંતોના મતે આમ થવા પાછળના અનેક કારણ છે. તેમનું કહેવું છે કે, મહામારીથી બચવા માટે વેક્સીન જ એકમાત્ર ઉપાય છે. વેક્સીન સંક્રમણથી બચાવે છે અને સંક્રમિત થનારા વ્યક્તિની બિમારીને પણ ગંભીર નથી બનવા દેતી. નિષ્ણાંતોએ એવી પણ ચેતવણી આપી છે કે, રસી લીધા બાદ પણ સંક્રમિત થનાર કોરોના ફેલાવી શકે છે.

નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે, રસી લઈ લીધા પછી પણ એ વ્યક્તિ અન્યને કોરોનાનો ચેપ લગાડી શકે છે, માટે સાવધાન રહેવું જરૂરી છે. સંસ્થાના ઈમ્યુનોલોજિસ્ટ ડૉ. સત્યજીત રથે કહ્યું હતું કે, વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જોઈએ. સંશોધનમાં જણાયું હતું કે રસી લેનારી વ્યક્તિને કોરોનાગ્રસ્ત થયા બાદ વ્યક્તિ અન્યને ચેપ ચોક્કસ લગાડી શકે છે. વેક્સિન લઈ લેવાથી ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. રસી લીધા પછી પણ એ વ્યક્તિ બીજાને કોરોનાનો ચેપ લગાવી શકે છે.

 

નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે, વેક્સિન લીધા બાદ પણ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સંશોધકોના કહેવા પ્રમાણે દેશભરમાં એવી ભૂલભરેલી માન્યતા છે કે વેક્સિન લીધા પછી એ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગતો નથી. બીજી ભૂલભરેલી માન્યતા એ છે કે વેક્સિન લીધા પછી એ વ્યક્તિથી બીજા કોઈને કોરોનાનો ચેપ લાગતો નથી. આ બંને ધારણાં ખોટી છે.

ડૉ. સત્યજીત રથે કહ્યું હતું કે, કોરોના સામેની લડતમાં વેક્સિન એક વ્યૂહરચના છે. એ એક વ્યૂહરચના કોરોનાને સદંતર હરાવવા માટે પૂરતી નથી. આ કોઈ ચમત્કારિક સમાધાન નથી. લોકોએ વેક્સિન લીધા પછી સાવધાની રાખવી જોઈએ.

(9:45 am IST)