Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

દેશમાં મોટા નક્સલી હુમલા

છત્તીસગઢ, ઓરિસ્સા, બિહારમાં વધુ હુમલા

       નવી દિલ્હી,તા. ૧૩ : છત્તિસગઢના સુકમામાં આજે સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત સીઆરપીએફના જવાનો પર માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં ઓછામાં ઓછા નવ જવાનો શહીદ થયા છે અને આ હુમલામાં અન્ય છ જવાનો ઘાયલ પણ થયા છે. માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઘાયલ થયેલા જવાનો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જવાનોને પહેલા આઇઇડી બ્લાસ્ટ મારફતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. દેશમાં નક્સલવાદીગ્રસ્ત રાજ્યોમાં કરવામાં આવેલા હજુ સુધીના ભીષણ હુમલા નીચે મુજબ છે.

*    ૨૫મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે સુકમામાં નક્સલવાદીઓના હુમલામાં ૨૫ જવાન શહીદ થયા

*    ૨૫મી મે ૨૦૧૩ના દિવસે છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૧૦૦૦થી વધુ નક્સલવાદીઓની ટોળકીએ કરેલા હુમલામાં કોંગ્રેસના નેતા વિદ્યાચરણ શુક્લ સહિત ૨૫ લોકોના મોત થયા હતા. કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન આ હુમલો કરાયો હતો

*    છઠ્ઠી એપ્રિલ ૨૦૧૦ના દિવસે દાંતેવાડા જિલ્લામાં ચિતલનાર વન્ય વિસ્તારોમાં નક્સલીઓના હુમલામાં સીઆરપીએફના ૭૫ જવાન સહિત ૭૬ લોકોના મોત થયા હતા

*    ચોથી એપ્રિલ ૨૦૧૦ના દિવસે ઓરિસ્સાના કોરાપુટ જિલ્લામાં પોલીસની બસ ઉપર હુમલો કરાયો હતો જેમાં ૧૦ જવાન શહીદ થયા હતા અને ૧૬ ઘાયલ થયા હતા

*    ૨૩મી માર્ચ ૨૦૧૦ના દિવસે બિહારના ગયા જિલ્લાની રેલવે લાઈન ઉપર વિસ્ફોટ કરીને ભ્વનેશ્વર-નવીદિલ્હી રાજધાનીને પાટાપરથી ઉતારી દેવામાં આવી હતી

*    ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૦ના દિવસે પશ્ચિમ બંગાળના શિરદામાં આશરે ૧૦૦ નક્સલવાદીઓની ટોળકીએ પોલીસ કેમ્પ ઉપર હુમલો કરીને ૨૫ પોલીસ જવાનોની હત્યા કરી હતી અને હથિયારો લૂંટી લીધા હતા

*    ૮મી ઓક્ટોબર ૨૦૦૯ના દિવસે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં લાહીડી પોલીસ સ્ટેશનમાં હુમલો કરીને ૧૭ પોલીસ જવાનોની હત્યા કરી હતી

(7:42 pm IST)