Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

કેજરીવાલની રેલીમાં ફરી વિપક્ષની એકતાનું પ્રદર્શન

યેચુરી, શરદ યાદવ, શરદ પવાર પણ પહોંચ્યા : મમતા બેનર્જી પહોંચે તે પહેલા જ ડાબેરીઓ જતા રહ્યા

નવી દિલ્હી, તા. ૧૩ : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આજે જંતરમંતર ઉપર વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કર્યું હતું જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સીપીએમના નેતા સીતારામ યેચુરી, એનસીપીના વડા શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા, ભાજપના અસંતુષ્ટ નેતા શત્રુઘ્ન સિંહા સહિત વિપક્ષના અનેક નેતા ઉપસ્થિત રહ્યા હતા. રેલીને સંબોધતા સીપીઆઈના નેતા ડી રાજાએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના ગાળામાં બંધારણ ખતરામાં છે. મોદીના શાસનમાં સંસદનું માન ઘટી રહ્યું છે. તેની ભૂમિકા પણ નજરઅંદાજ થઇ ગઇ છે. રાજાએ કહ્યું હતું કે, ભાજપની સત્તા હોવાનો મતલબ બંધારણ અને લોકશાહી ખતરામાં હોવાનો છે. તેમને પરાજિત કરવા પડશે. સીતારામ યેચુરીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ ભાઈ-ભાઈને લડાવીને દુશાસનની રાજનીતિ કરે છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભારત માટે આ સરકારને બદલવાની જરૂર છે. દેશને બચાવવા માટે ચોકીદારને દૂર કરવાની જરૂર છે. યેચુરીએ ક્હયું હતું કે, ભાજપ કૌરવ સેનાની જેમ છે પરંતુ વિપક્ષ પાંડવની જેમ મળીને તેમને હાર આપશે. દેશને બચાવવામાં આવશે. શરદ યાદવે કહ્યું હતું કે, ભાજપે ચૂંટણીને ખુબ જ અમર્યાદિત બનાવી દીધી છે. જો લાલબહાદુર શાસ્ત્રી અને જયપ્રકાશ નારાયણ ચૂંટણી મેદાનમાં રહ્યા હોત તો તેમને સફળતા મળી ન હોત. હવે સમય આવી ગયો છે કે, આવા લોકોને બહારન રસ્તો બતાવવામાં આવે. ભારતને બચાવવાની જરૂર છે. રસપ્રદ બાબત એ છે કે, મમતા બેનર્જી મંચ ઉપર પહોંચે તેના મિનિટો પહેલા જ ડાબેરીઓ મંચ ઉપરથી જતા રહ્યા હતા. સપાના રામગોપાલ યાદવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, એલજેડીના નેતા શરદ યાદવ, એનસીપીના નેતા શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલના સમયમાં વિપક્ષી નેતાઓએ જુદી જુદી જગ્યાઓએ શક્તિપ્રદર્શન કર્યું છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ધરણા પ્રદર્શન કરીને શક્તિ પ્રદર્શન કરી ચુક્યા છે. ચંદ્રાબાબુ નાયડુ પણ દિલ્હીમાં શક્તિપ્રદર્શન કરી ચુક્યા છે. હવે અરવિંદ કેજરીવાલે શક્તિ પ્રદર્શન કર્યું છે. વિરોધ પક્ષોના દેશ બચાવોના સંદર્ભમાં રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે, આ બાબત ગળે ઉતરતી નથી કે, મોદીના કારણે દેશ કઈ રીતે ખતરામાં છે અને વિરોધ પક્ષોની સરકાર આવશે તો દેશ કઈ રીતે સુરક્ષિત બનશે તે બાબત તમામને હેરાન કરનાર છે. દેશ સામે કયા પ્રકારના ખતરા છે તેવી કોઇ વાતનો ઉલ્લેખ વિરોધ પક્ષો કરી રહ્યા નથી પરંતુ આડેધડ દેશ બચાવોની વાત કરી રહ્યા છે.

(7:34 pm IST)