Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

તાજના દિદાર માટે હવે ૨૦૦ રૂપિયાની શરૂ કરાયેલ નવી ફી

એન્ટ્રી ફી ૪૦ રૂપિયાના બદલે ૫૦ રૂપિયા :મુખ્ય મ્યુઝિયમ જોવા ઇચ્છુક લોકો માટે પહેલી એપ્રિલથી ૨૦૦ રૂપિયાનો નવો ચાર્જ લાગૂ કરવાનો આખરે નિર્ણય

નવીદિલ્હી,તા. ૧૩ : વિશ્વના ઐતિહાસિક સ્મારકોમાં સ્થાન ધરાવનાર તાજ મહેલની મુલાકાત લેવા ઇચ્છુક પ્રવાસીઓને પહેલી એપ્રિલથી વધારે નાણાં ચુકવવા પડશે. કારણ કે સરકારે મુખ્ય મ્યુઝિયમ જોવા ઇચ્છુક લોકો માટે ૨૦૦ રૂપિયા ચાર્જ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે એન્ટ્રી ફીમાં પણ વધારો કર્યો છે. એન્ટ્રી ફીને વધારીને ૪૦ના બદલે ૫૦ કરી દેવામાં આવી છે. પત્રકારો સાથે વાતચીત કરતા સાંસ્કૃતિક બાબતોના પ્રધાન મહેશ શર્માએ કહ્યું છે કે, આ ચાર્જ અમલી કરવા પાછળ કેટલાક હેતુ રહેલા છે જેમાં મુખ્ય હેતુ તાજમહેલના જતનનો પણ સમાવેશ થાય છે. વધુ સારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મુખ્ય મ્યુઝિયમમાં પ્રવેશ કરવા માટે કોઇ અલગ ફી નથી. શર્માએ કહ્યું હતું કે, આવનાર પેઢી માટે તાજમહેલને જાળવવા માટે અમને જરૂર દેખાઈ રહી છે. નવી બારકોડ ટિકિટો અગાઉ ૪૦ રૂપિયાના બદલે હવે ૫૦ રૂપિયામાં પડશે અને માત્ર ત્રણ કલાક માટે જ લાગૂ રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મુખ્ય મ્યુઝિયમમાં પ્રવેશ કરવા માટે અલગથી ૨૦૦ રૂપિયાની ટિકિટ રહેશે. વિસ્તારના સંરક્ષણની ખાતરી કરવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. ક્રાઉડ મેનેજમેન્ટમાં પણ આનાથી રાહત થશે. સાંસ્કૃતિક બાબતોના મંત્રી શર્માએ વધુમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધાર પર આ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજમહેલ ખાતે મોટી સંખ્યામાં આવતા લોકોને લઇને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે કેટલીક ભલામણો પણ કરવામાં આવી હતી. ઇન્ટેગ્રેટીવના રક્ષણ માટે મ્યુઝિમમાં કેટલીક ખાસ બાબતો તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. પ્રધાને કહ્યું હતું કે, પ્રવાસીઓની સંખ્યાને મર્યાદિત કરીને પણ જતન કરી શકાય છે. જો કે, કોઇપણ પ્રવાસીને નિરાશા ન મળે તેના તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કિંમતોમાં વધારાથી મહેસુલી આવક આવક ઉભી થશે નહીં બલ્કે જે લોકો ત્યાં પહોંચી રહ્યા છે તે લોકો કોઇ નુકસાન ન પહોંચાડે તેનો પણ રહેલો છે. માત્ર રસ ધરાવતા લોકો જ આ વિસ્તારમાં પહોંચે તે માટે મ્યુઝિયમ માટે ફી શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ ચાર સપ્તાહની અંદર સ્મારકના જતનને લઇને વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કર્યો હતો. વિદેશી પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરવાનો પણ આદેશ કરાયો હતો. તાજમહેલમાં પ્રવેશ માટે તેમના માટેની ફી ૧૨૫૦ રૂપિયા છે. તેમણે ઉમેર્યું હતું કે, અલગ લાઈન, અલગ ટોયલેટ, સુરક્ષિત કોરિડોર પણ આગરા રેલવે સ્ટેશનથી લઇને તાજમહેલ સુધી બનાવવાની વાત કરવામાં આવી રહી છે. ઉડ્ડયન મંત્રાલય અને માર્ગ પરિવહન મંત્રાલય સાથે વાત ચાલી રહી છે. પ્રધાને કહ્યું છે કે, તાજમહેલની આસપાસ વધુ ખુબસુરતી વિકસિત કરવામાં આવનાર છે. વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષિત કરવાની દિશામાં વધુ પહેલ કરવામાં આવનાર છે. આના માટેની રુપરેખા તૈયાર થઇ રહી છે. નવી ભલામણો બાદ વધુ પગલા લેવાશે.

(7:36 pm IST)