Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આતંકવાદ મુદ્દે પાક સાથે વાતચીત માટે ભારત તૈયાર

ભારતે બદલ્યું પાકિસ્તાન પ્રત્યેનું વલણઃ ભારત - પાકના સુરક્ષા સલાહકાર વચ્ચે થઇ બેઠક

નવી દિલ્હી તા. ૧૨ : પાકિસ્તાન પ્રત્યે ભારતના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતે કહ્યું કે પાડોશી દેશના મામલામાં અમે કહેતા આવ્યા છીએ કે વાતચીત અને આતંક બંને સાથે-સાથે ના થઈ શતે, પરંતુ આતંક પર વાતચીત નિશ્ચિત રૂપથી આગળ વધી શકે છે. ભારતનું માનવું છે કે હાલમાં જ બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મળ્યા હતા.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકાર અજીત ડોભાલ અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નસીર ખાન જંજુઆએ ૨૬ ડિસેમ્બરે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં બે કલાક સુધી મુલાકાત કરી. આ મુલાકાતની મીડિયામાં આવેલી રિપોર્ટ પર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા તે સમયે કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું.

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ગુરુવારે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની પ્રક્રિયા પર અમે કહેતા રહ્યા છીએ કે વાતચીત અને આતંક બંને સાથે સાથે ના થઈ શકે, પરંતુ અવી ધણી વ્યવસ્થાઓ છે જેના દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત ચાલું છે. બંને દેશોની સેનાઓના ડીજીએમઓ વાતચીત કરી રહ્યા છે. બીએસએફ અને પાકિસ્તાનના રેન્જર્સ પણ અંદર વાતચીત કરી રહ્યા છે. આવી જ રીતે બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકારની વાતચીત ચાલું છે. અમે આ વાતચીતમાં સીમા પારના આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. વાતચીત સમગ્ર રીતે આ જ મુદ્દા પર ફોકસ રહી હતી. અમે આ નિશ્યિત કરવા ઈચ્છશું કે આતંક સમગ્ર વિસ્તારને પ્રભાવિત ના કરે.

આ મુલાકાતના એક દિવસ પહેલા પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની મુલાકાત તેની માં અને પત્ની સાથે કરાવાઈ હતી. આ મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વલણને ભારતે અપમાનજનક ગણાવ્યું હતું. આ વાતચીતમાં જાધવના પરિવાર સાથે અપમાનજનક વર્તનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકારોને આગળની બેઠક કયારે થશે તે વિશે પૂછવામાં આવતા પ્રવકતાએ કહ્યું કે આવી રીતે વાતચીત પહેલાથી જાહેર કરવામાં આવતી નથી. કારણ કે આ ઓપરેશનલ લેવલની વાતચીત છે. ઉલ્લેખનીય છે કે બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ૨૦૧૫માં મળ્યા હતા. આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોંકાવનારા અંદાજમાં લાહોર ગયા હતા.(૨૧.૯)

(10:01 am IST)