Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

' ચેક એન્ડ મેટ'ના ખેલમાં આ રીતે ગોથું ખાઈ ગઈ શિવસેના, ટાંકણે કોંગ્રેસની ગુગલીથી ઉદ્ઘવ કિલન બોલ્ડ?

શિવસેનાએ બાળકબુદ્ઘિ વાપરીને રાજકારણ ખેલ્યું: સરકાર બનાવવાને લઈને ઉદ્ઘવ ઠાકરે એટલા તે ઉતાવળા થઈ ગયા કે તેઓ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ સામે પોતાનો ફજેતો કરાવી બેઠા, આ સાથે જ શિવસેના શરદ પવાર જેવા કાબિલ ની ચાલને પણ બરાબર ઓળખી શકયા નહીં

નવી દિલ્હી, તા છેલ્લા ૨૪ કલાકની અંદર મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક રંગ જોવા મળ્યાં છે. આ રાજકારણના ખેલમાં કેન્દ્રમાં શિવસેના રહી. પરંતુ છેલ્લે તે હારી. આ સમગ્ર રાજનીતિક પરિદ્રષ્ટની સરખામણી મેચ સાથે કરીએ તો શિવસેનાએ આખો દિવસ શાનદાર બેટિંગ કરી પરંતુ જયારે મેચ જીતવાનો સમય આવ્યો તો કોંગ્રેસની ગુગલી પર કિલન બોલ્ડ થઈ ગઈ. રાજારણના વિદ્યાર્થી તરીકે આ દ્યટનાને સમજીએ તો આ સમગ્ર ખેલમાં એ જ સમજાયું કે શિવસેનાએ બાળકબુદ્ઘિ વાપરીને રાજકારણ ખેલ્યું. સરકાર બનાવવાને લઈને ઉદ્ઘવ ઠાકરે એટલા તે ઉતાવળા થઈ ગયા કે તેઓ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ સામે પોતાનો ફજેતો કરાવી બેઠા. આ સાથે જ શિવસેના શરદ પવાર જેવા કાબિલ ની ચાલને પણ બરાબર ઓળખી શકયા નહીં. આવો આપણે વિસ્તારથી સમજીએ કે શિવસેના કયાં પછડાટ ખાઈ ગઈ.રવિવારે સાંજે ભાજપે રાજયપાલ ભગતસિંહ કોશ્યારીને જણાવ્યું કે તેઓ એકલા હાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સક્ષમ નથી અને ત્યારબાદ રાજયપાલે બીજા નંબરની પાર્ટી શિવસેનાને આ તક આપી. રવિવારે મોડી સાંજે ખબર આવ્યાં કે શિવસેના અને એનસીપી વચ્ચે સરકાર બનાવવાને લઈને ડીલ થઈ ગઈ છે. જે મુજબ ઉદ્ઘવ ઠાકરે પોતે મુખ્યમંત્રી બનશે. જયારે શરદ પવારના ભત્રીજા અજીત પવારને ઉપ મુખ્યમંત્રી પદ મળી શકે છે અને જયંત પાટિલને ગૃહમંત્રી બનાવી શકે છે. આ સરકારને કોંગ્રેસ બહારથી સમર્થન આપી શકે છે અને તેના બદલે કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ મળશે. આ ખબરને વધુ સમર્થન શિવસેના સાંસદ સંજય રાઉત તરફથી મીડિયામાં આવેલા નિવેદનોથી મળ્યું.

શિવસેના તરફથી આવેલા નિવેદન તે સમયે સાવ વામણા સાબિત થયા જયારે સરકાર બનાવવાને લઈને સોમવારે વાતચીતનો દોર શરૂ થયો. બપોરે લગભગ એક વાગે શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે પોતે એનસીપી પ્રમુખ શરદ પવારને મળવા માટે મુંબઈની હોટલ તાજ લેન્ડ્સ એન્ડ પહોંચ્યા હતાં. મીડિયામાં એવા અહેવાલો આવ્યાં કે એનસીપી અને શિવસેના વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. આ બધા વચ્ચે એનસીપી પ્રવકતા ભુક્કલ નવાબે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે શિવસેના સાથે મળીને સરકાર બનવા તૈયાર છે પરંતુ તેના પર કોંગ્રેસની સહમતિ જરૂરી છે. નવાબના આ નિવેદનથી સંકેત મળી ગયો કે ડીલમાં હજુ પણ પેચ ફસાયેલો છે.

આ દરમિયાન મીડિયામાં એવા પણ અહેવાલો આવ્યાં કે શરદ પવારે શિવસેના સામે શરત રાખી છે કે પહેલા ભાજપ સાથે નાતો તોડો અને કેન્દ્ર સરકારમાં તમારા મંત્રીને રાજીનામું અપાવો. જે મુજબ શિવસેના નેતા અરવિંદ સાવંતે રાજીનામું આપી પણ દીધુ. આ રાજીનામા બાદ લાગ્યું કે શિવસેના લગભગ સરકાર બનાવવાનો જુગાડ રમી ગઈ છે પરંતુ હકીકતમાં એવું બન્યું નહીં.

અચાનક ત્યારે જ ખબર આવ્યાં કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઘ્ષ્ઘ્ની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શિવસેનાને સમર્થન આપવા પર સહમતિ બની નહીં. ત્યારબાદ સાંજે ચાર વાગે શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ પોતે સોનિયા ગાંધી સાથે વાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ તેનું કોઈ અધિકૃત નિવેદન આવ્યું નહીં.

ત્યારબાદ સોનિયા ગાંધીએ પોતાના નિવાસ સ્થાન પર ફરી એકવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જેમ કે મલ્લિકાર્જૂન ખડગે, અહેમદ પટેલ, એકે એન્ટોની, અશોક ચૌહાણ જેવા વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી. જેમાં સોનિયા ગાંધીએ જયપુરમાં રોકાયેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાયકો સાથે પણ વાત કરી. આ બેઠકનું કોઈ પરિણામ આવે તે પહેલા જ શિવસેના જૂથમાંથી એવા ખબર આવવા લાગ્યા કે એનસીપીએ ફેકસ દ્વારા સીધો રાજભવન પત્ર મોકલીને શિવસેનાને સમર્થન જાહેર કર્યું છે. જયારે સોનિયા ગાધીએ શિવસેના-એનસીપી સરકારને બહારથી સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.

સોમવારે સાંજે સાત વાગ્યાની આસપાસ શિવસેના વિધાયક અને ઉદ્ઘવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે થોડા વિધાયકો સાથે હસતાં હસતાં રાજભવન પહોંચ્યા હતાં. મીડિયામાં તસવીરો અને ખબરો આવી કે શિવસેનાએ ૧૬૧ વિધાયકોના સમર્થનનો પત્ર રાજયપાલ કોશ્યારીને સોંપતા સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

રાજયપાલ સાથે મુલાકાત બાદ જયારે આદિત્ય મીડિયા સામે આવ્યાં ત્યારે ખબર પડી કે છેલ્લા ૨૪ કલાકથી ક્રીઝ પર ચોગ્ગા છગ્ગા મારતી શિવસેના કોંગ્રેસની ગુગલી પર બોલ્ડ થઈ ગઈ છે. આદિત્યએ કહ્યું કે રાજયપાલે તેમને ૨૪ કલાકની અંદર સરકાર બનાવવા માટે બહુમત ભેગુ કરવાનો સમય આપ્યો હતો પરંતુ આવું બની શકયું નથી. આદિત્યએ કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી સાથે વાત ચાલી રહી છે. તેમણે રાજયપાલ પાસે વધુ ૨૪ કલાકનો સમય માંગ્યો પણ તેમણે આપવાની ના પાડી દીધી.

ત્યારબાદ રાજયપાલ ભગત સિંહ કોશ્યારીએ ત્રીજા નંબરની પાર્ટી એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. નોંધવા જેવી વાત એ છે કે સવારે શિવસેના સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરતી એનસીપીએ ફટાકથી રાજયપાલનું આમંત્રણ સ્વીકારી લીધુ અને પોતાના નેતા અજીત પવારને રાજભવન મોકલી દીધા. એનસીપી તરફથી કહેવાયું કે મંગળવારે કોંગ્રેસ સાથે મીટિંગ બાદ જ તે સ્પષ્ટ કરી શકશે કે તેઓ સરકાર બનાવી શકવામાં સક્ષમ છે કે નહીં.

આ સમગ્ર ઘટનાક્રમમાં શિવસેના તરફથી સરકાર બનાવવા માટે બડાશ હાંકવી, કેન્દ્ર સરકારમાંથી પોતાના મંત્રીને રાજીનામું અપાવી દેવાના પગલાં બાદ પણ ખાલી હાથ હોવું સાબિત કરે છે કે રાજકારણના આ ચેક અને મેટના ખેલમાં તે નિષ્ફળ સાબિત થઈ છે. આ સમગ્ર વાતો વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે શિવસેનાને ભલે નિષ્ફળતા મળી હોય પરંતુ સરકાર તેના વગર શકય પણ નથી. જો કે એનસીપી અને ભાજપ મળીને સરકાર બનાવે તે વિકલ્પ પણ હજુ ખુલ્લો છે.

(11:24 am IST)