Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવી ભાજપ ખેલી રહ્યું છે મોટો દાવઃ બધુ જ રણનીતિ હેઠળ

ભાજપ કયાંય નથી છોડતી રાજયોમાં સરકાર બનાવવાની તકઃ અહિ પીછેહઠ કરી : ફેંસલા હેઠળ લાંબી ગણતરીઃ જનતા સમક્ષ શિવસેનાને કરશે બેનકાબ

મુંબઇ, તા.૧૨: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું ગુંચવાયેલું કોકડું ઉકેલાઈ નથી રહ્યું અને રોજ તેમાં નવા-નવા વળાંક આવી રહ્યા છે. રાજયપાલ દ્વારા ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ મળ્યું હોવા છતાં તે પીછેહઠ કરી રહી છે. જેને ભાજપની રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આમંત્રણનો અસ્વીકાર કરતા પહેલા ભાજપની લાંબી બેઠક ચાલી. વર્ષા બંગલામાં થયેલી કોર કમિટીની બેઠકમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ જોડાયા હતા. આ પછી નિર્ણય લેવાયો કે ભાજપ રાજયમાં સરકારની રચના નહીં કરે.

ભાજપ નેતા મુજબ પાર્ટી કોઈ પણ રાજયમાં સરકાર બનાવવાની તક જલદી છોડતી નથી, પણ મહારાષ્ટ્રમાં બેકફૂટ પર આવી રહી છે. જેની પાછળ એક મોટો પ્લાન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વિધાનસભામાં ભાજપ અને શિવસેનાને પ્રજાએ મળીને સરકાર બનાવવા માટે મત આપ્યા. પણ ચૂંટણી પરિણામ બાદ શિવસેના અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીના પદ પર અડી ગઈ છે, જેના પર ભાજપ રાજી નથી. જેથી આમંત્રણ મળવા છતાં ભાજપે સરકાર રચનાનો પ્રસ્તાવ ભગાવ્યો છે.

શિવસેનાએ રાજયપાલના આમંત્રણનો સ્વીકાર કરી લીધો પણ કોંગ્રેસ તરફથી હજુ અસમંજસની સ્થિતિ છે. જયારે શિવસેના પર મહાયુતિનો થપ્પો લાગશે. ભાજપ આ કલંકથી બચવા માગતો હતો. હવે ભાજપ આખા રાજયમાં પ્રચાર કરશે. આ પહેલા ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ પર શિવસેના સાથે વર્ષો જૂનું જોડાણ તોડવાનો આરોપ લાગ્યો હતો.

જો શિવસેના ભાજપની જગ્યાએ કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવે છે તો મેળ વગરનું ગઠબંધન કહેવાશે. અત્યાર સુધી શિવસેનાનો આ બન્ને પક્ષો સાથે છત્રીસનો આંકડો રહ્યો છે. તેમની વિચારધારા સંપૂર્ણ રીતે અલગ છે. આ બન્ને પક્ષો શિવસેનાને કટ્ટર હિન્દુત્વના મુદ્દે વળગી રહેલો પક્ષ માને છે. જયારે શિવસેના આ બન્ને પક્ષોને લદ્યુમતિ તુષ્ટીકરણનો થપ્પો લગાવે છે.

(10:16 am IST)