Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અખિલેશને વધુ એક ઘા મારવાની વેતરણમાં ભાજપ

સમાજવાદી પક્ષના ૮ વિધાન પરિષદના સભ્યો ભાજપમાં જોડાશેઃ વિધાન પરિષદમાં પણ બહુમતી મેળવવાની ભાજપાની રણનીતિ

લખનૌઃ ભાજપા ઉતર પ્રદેશમાં સપાના નેતા અખિલેશ યાદવને એક મોટો ફટકો મારવાની તૈયારીમાં છે સપાના ઓછામાં ઓછા ૮ એમએલસી એક ઝાટકે પક્ષ છોડીને ભાજપામાં જોડાવાના છે. સપાના રાજયસભાના સભ્યોને તોડયા પછી ભાજપાની નજર આઠ એમ એલસી સાથે ભોજપાની વાત અંતિમ તબક્કામાં થઇ ચુકી છે. જે રીતે સપાના ત્રણ એમપી પક્ષ છોડીને ભાજપામાં જોડાઇ ગયા એ જ રીતે તેના એમએલસીએ રાજીનામુ અપાવીને ભાજપામાં સામેલ કરવામાં આવશે.

સપા વિધાયકોને તોડવાનું કારણ

વિધાનસભામાં ભલે ભાજપાની બહુમતી હોય પણ વિધાન પરિષદમાં સરકાર બહુમતીમાં નથી. આજ કારણે યોગી સરકારના બધા ખરડાઓ પસાર નથી થઇ શકતા. હાલત એવી થઇ જાય છે કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જ્યારે વિધાન પરિષદમાં જાય છે. ત્યારે ત્રણ ચાર પ્રધાનો  તેમના બચાવમાં સાથે હોય છે. જેથી યોગી સવાલોના યોગ્ય જવાબ આપી શકે . સરકારના મહત્વપૂર્ણ ખરડાઓ રોકાય નહીં અને વિધાન પરિષદમાં ભાજપાની બહુમતી થઇ જાય એટલા માટે સપાના એમએલસી તોડવાની નીતિ બનાવાઇ છે. ૮ વિધાયકો તોડયા પછી ભાજપાના વિધાયકોની સંખ્યા ૨૯૫૨ પહોંચશે.

ભાજપાના રણનીતિજ્ઞોએ જે યોજના બનાવી છે તેના અનુસાર ઓછામાં ઓછા ૮ એમએલસી પહેલા રાજીનામુ આપશે. તેમના રાજીનામા અપાતા જ વિધાન પરિષદની ચુંટણીની જાહેરાત કરી દેવાશે. અને તેમને ભાજપાની ટીકીટ પર ફરીથી એમએલસી તરીકે ચુંટવામાં આવશે.

 ઉતરપ્રદેશની વિધાન પરિષદમાં અત્યારે સપાના ૫૫ વિધાયક એટલે કે એમએલસી છે જ્યારે ભાજપાના ૨૧ બસપાના ૮ અને કોંગ્રેસના ૨ સભ્યો છે. તેમાંથી એક દિનેશ પ્રતાપસિંહ સોનિયા ગાંધી સામે ચુંટણી લડી ચુકયા છે. કોંગ્રેસે તેનું સભ્ય પદ રદ કરવાની માંગણી કરી છે. પણ તેના પર કોઇ નિર્ણય નથી લેવાયો.

(3:31 pm IST)