Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષે કહ્યું, હિંદુ પક્ષ પાસે માલિકીહક નથી

સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને પક્ષ મૂકયો

નવી દિલ્હી તા.૧૨: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં ૨૧મા દિવસે પણ સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સુનાવણીના લાઇવ સ્ટ્રિમિંગની માગણી કરી રહેલી જાહેર હિતની અરજી પર ૧૬ સપ્ટેમ્બરે સુનાવણી કરશે. ગત સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ખૂબ જ સંવેદનશીલ કેસ છે. આરએસએસના પૂર્વ પ્રચારક ગોવિંદાચાર્યએ અરજી કરીને અયોધ્યા કેસની સુનાવણીના સીધા પ્રસારણ કે પછી રેકોર્ડિગની માગણી કરી હતી. ૨૧મા દિવસે સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને દલીલો રજૂ કરી હતી.

સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને મુસ્લિમ પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે રામલલ્લા બિરાજપક્ષ કહી શકે તેમ છે કે તે જમીન તેમનો માલિકી હક છે? નહીં, કેમકે માલિકી અધિકાર તેમની પાસે કયારેય નથી રહ્યા. એવું સાબિત કરવા પ્રયાસ થઇ રહ્યો છે કે જમીન પહેલાં હિંદુ પક્ષકારોના અધિકારમાં હતી નિર્મોહી અખાડાએ જે ગેરકાયદે કબ્જો ચબૂતરા પર કર્યો તે મુદ્દે મેજીસ્ટ્રેટે નોટિસ આપી. તે પછી જ ન્યાયિક સમીક્ષા શરૂ થઇ. એક નોટિસમાં દાવો કરવામાં આવ્યો હોવાથી આ કેસ આજે સુપ્રીમ કોર્ટમાં ચાલશે.

(3:29 pm IST)