Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

આતંકવાદની જડ પડોસી દેશમાં જ ફેલાઈ રહી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો

ભગવાન કૃષ્ણની નગરી મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકની ઝાટકણી કાઢી : ઓમ અને ગાયના બહાને વિપક્ષ પર આકરા પ્રહારો : ઓમ શબ્દ સાંભળતા જ કેટલાક લોકોના કાન ઉભા થઈ જાય છે : ૧૩૫૦૦ કરોડની યોજના શરૂ

મથુરા,તા.૧૧ : ભગવાન કૃષ્ણની નગરી મથુરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ૯/૧૧ હુમલાની યાદ આજે પણ હચમચાવી મુકે છે. આ હુમલાની યાદને તાજી કરતા મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ એક વેશ્વિક સમસ્યા છે. આજે આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે. આતંકવાદની જડો અમારા પડોસમાં એટલે કે પાકિસ્તાનમાં ફેલાઈ રહી છે. અમે આનો જોરદાર રીતે સામનો કરી રહ્યા છે. આગળ પણ કરતા રહીશું. મોદીએ ચેતવણી આપતા કહ્યું હતું કે, આતંકવાદની સામે કાર્યવાહી કરવાથી ભારત ખચકાટ અનુભવ કરશે નહીં. આતંકવાદીઓને આસરો અને ટ્રેનિંગ આપનારની સામે કાર્યવાહી કરવા માટે ભારત સંપૂર્ણ પણે સક્ષમ છે અને આ બાબતની સાબીતિ પણ આપી ચુક્યા છે. મોદીએ આજે દુધ આપતા પશુઓને ગંભીર બિમારીથી મુક્ત કરાવવા માટે ૧૩૫૦૦ કરોડની ટિકાકરણ યોજનાની શરૂઆત કરાવી હતી. આ વર્ષે ૨ ઓક્ટોબર સુધીમાં ઘર, ઓફિસ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત થાય તે જરૂરી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જે એક વાર વાપરીને ફેંકવામાં આવે છે. મોદીએ મથુરામાં કચરો વીણનારી મહિલાઓ સાથે પણ મુલાકાત કરી હતી.

            વડાપ્રધાને મથુરા માટે ૧,૦૦૦ કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. મોદીએ વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાને મેળામાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એ જાણવાની કોશિશ કરી કે સરકારની યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે કે નહિ. પીએમએ પ્રદર્શનનું પણ અવલોકન કર્યું. તેમાં ઘણી ટેકનિકોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ કાન્હાની નગરીમાં પ્રથમ વાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે સમગ્ર ઉતર પ્રદેશના આર્શીવાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતના તમારા આ નિર્ણય માટે હું વ્રજભૂમિમાંથી તમારી સામે મસ્તક નમાવું છું. ભારતની પાસે શ્રીકૃષ્ણ એવો પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, જેની કલ્પના પર્યાવરણ પ્રેમ વગર અધુરી છે. કાલિંદી જેને યમુના કહે છે. લીલું ઘાસ ચરતી તેમની ગાય. શું તેના વગર શ્રીકૃષ્ણની તસ્વીર પુરી થઈ શકે છે. શું દૂધ, દહી, માખણ વગર ગોપલની કલ્પના કોઈ કરી શકે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વગર જેટલા આપણા આરાધ્ય દેખાય છે એટલું જ અધુરાપણું આપણને ભારતમાં પણ દેખાશે. પ્રકૃતિ સાથે સંતુલન બનાવીને જ આપણે નવા ભારત તરફ આગળ વધશે. મોદીએ કહ્યું કે આજે સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી. નેશનલ અનિમલ ડિસિસ પ્રોગ્રામને પણ શરૂ કરવામાં આવ્યો.

પશુઓના સ્વાસ્થ્ય સંવર્ધન અને પોષણ સાથે જોડાયેલી યોજનાઓની પણ શરૂઆત કરવામાં આવી છે. મથુરાના પર્યટન સાથે જોડાયેલી પણ ઘણી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. થોડા દિવસો બાદ આપણે બાપુની ૧૫૦મી જયંતીની ઉજવણી કરીશું. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને મહત્વ આપ્યું હતું. આપણે તેમાંથી શીખવું જોઈએ. એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. સ્વચ્છતા જ સેવા પાછળ પણ આ જ ભાવના જોડાયેલી છે.

(7:49 pm IST)