Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૫ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાઃ ઝઘડો થતાં પત્નીનું માથું કાપીને રસ્તા પર ફરતો રહ્યો

સ્તબ્ધ કરી દેતી આ ઘટના વિજયવાડાના સત્યનારાયણપુરમ પોલીસ મથક વિસ્તારના શ્રીનગર કોલોનીમાં બની હતી

વિજયવાડા (આંધ્રપ્રદેશ), તા.૧૨:  અહીં રવિવારે એક વ્યકિતએ પોતાની પત્નીનું માથું વાઢી નાખ્યું હતું, જે બાદમાં પત્નીનું કપાયેલું માથું લઈને પતિ રસ્તા પર ફરતો રહ્યો હતો. સ્તબ્ધ કરી દેતી આ ઘટના સત્યનારાયણપુરમ પોલીસ મથક વિસ્તારના શ્રીનગર કોલોનીમાં બની હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રદીપ કુમારે પોતાના ઘર પાસે પત્ની મણિક્રાંતિ (૨૩)ને ચપ્પુ મારીને તેનું ગળું કાપી નાખ્યું હતું. આટલું પૂરતું ન હોય તેમ પ્રદીપ એક હાથમાં ચાકુ અને બીજા હાથમાં પત્નીનું કપાયેલું મસ્તક લઈને બજારમાં ફરતો રહ્યો હતો. સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે હાથમાં પત્નીનું કપાયેલું મસ્તક લઈને પ્રદીપ જે બાજુ જતો હતો ત્યાં લોકો ડરના માર્યા ભાગી જતાં હતાં.

પ્રદીપે બાદમાં પત્નીનું કપાયેલું મસ્તક એક કેનાલમાં ફેંકી દીધું હતું. જે બાદમાં સત્યનારાણપુરમ પોલીસ મથકે જઈને આત્મસમર્પણ કરી દીધું હતું. પોલીસ અધિકારી વિજય રાવે મીડિયાને જણાવ્યું કે કેનાલમાં ફેંકી દેવાયેલા મસ્તકની શોધખોળ કરવામાં આવી રહી છે. મસ્તક વગરના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે પ્રદીપ અને મણિક્રાંતિએ પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં. બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી બંનેના પરિવારે શરૂઆતમાં લગ્ન માટે પરવાનગી આપી ન હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રદીપની મોટી બહેન અને તેની માતા મણિક્રાંતિને દહેજ માટે પરેશાન કરતા હતા.

થોડા દિવસોથી બંને વચ્ચે ઝઘડા થતાં હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે મણિક્રાંતિએ થોડા સમય પહેલા ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. પ્રદીપની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે તાજેતરમાં જ જામીન પર છૂટ્યો હતો. ધરપકડનો બદલો લેવા માટે તેણે હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

(10:00 am IST)