Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

મોદી-શાહ કૃષ્ણ-અર્જુનની જેમ છે : રજનીકાંતનો મત

વેંકૈયા નાયડુ પર પુસ્તક વિમોચન વેળા હાજરી : રજનીકાંતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદીને લઇને શાહની કરેલ પ્રશંસા : વર્ષ ૨૦૨૧માં ચૂંટણી લડશે

ચેન્નાઈ, તા. ૧૧ : દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની નાબૂદી બાદ કેન્દ્રીયમંત્રી અમિત શાહની આજે ભરપુર પ્રશંસા કરી હતી. કલમ ૩૭૦ની નાબૂદી બાદ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપતા રજનીકાંતે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી ભગવાન કૃષ્ણ અને અર્જુનની જોડી જેવી છે. રજનીકાંતે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ ઉપર એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં આ અંગેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મિશન કાશ્મીર માટે અમિત શાહને તેમના તરફથી અભિનંદન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહની જોડી ખુબ જ ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહી છે. જો કે, અભિનેતાએ કહ્યું હતું કે, કૃષ્ણ કોણ છે અને અર્જુન કોણ છે તે અંગે વાત કરવા માંગતા નથી. રજનીકાંતે કહ્યું હતું કે, તેઓ પોતાની રાજકીય પાર્ટીને જાળવી રાખશે અને તમિળનાડુમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી પણ લડશે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન અને પોલીસ ગોળીબારના અહેવાલોને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રદિયો આપવામાં આવ્યા બાદ પોલીસે પણ રદિયો આપી દીધો છે. કેન્દ્રીય પોલીસ અને સ્થાનિક પોલીસનું કહેવું છે કે, હિંસાની કોઇપણ પ્રકારની ઘટના બની નથી.

દક્ષિણ ભારત ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતને પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેના આધાર પર રજનીકાંત કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોદીની ભરપુર પ્રશંસા કરી હતી. રજનીકાંત પહેલા પણ વડાપ્રધાન મોદીના અનેક પ્રસંગ ઉપર પ્રશંસા કરી ચુક્યા છે જેથી રાજકીય સમીકરણોને લઇને હંમેશા ચર્ચાઓ રહી છે.

(12:00 am IST)