Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વિશ્વકપમાં ભારતના દેખાવની COA દ્વારા ઉંડી સમીક્ષા થશે

રવિશાસ્ત્રી, વિરાટ કોહલી અને પ્રસાદને કેટલાક જવાબ આપવા પડશે : વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયા રવિવારના દિવસે મુંબઈ માટે રવાના થશે રાયડુની અવગણના, મહેન્દ્રસિંહ ધોનીને સાતમાં ક્રમાંકે ઉતારવા સહિતના પ્રશ્નો ચમકશે

નવીદિલ્હી, તા. ૧૨ : સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી વહીવટીકારોની સમિતિ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી પર ફર્યા બાદ વિશ્વકપમાં ભારતના પ્રદર્શનની સમીક્ષા કરશે.  સાથે સાથે ધ્યાન મોટી ટુર્નામેન્ટો માટે ટીમની પસંદગી ઉપર કેન્દ્રિત કરવામાં આવશે. વિનોદરાયના નેતૃત્વમાં સમિતિ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ સાથે પણ વાતચીત કરશે. સમિતિમાં ડાયના એડુલજી અને લેફ્ટી જનરલ નિવૃત્ત રિવ થોડગે પણ રહેશે. રાયે સિંગાપોરમાં કહ્યું છે કે, કેપ્ટન અને કોચના બ્રેકથી પરત ફર્યા બાદ બેઠક ચોક્કસપણે થશે.

હાલમાં તારીખ અને સમય અંગે કોઇ વાત કરવામાં આવી નથી પરંતુ તેમની સાથે વાતચીત ચોક્કસપણે કરવામાં આવશે. પસંદગી સમિતિ સાથે પણ વાતચીત કરવામાં આવશે. જો કે, વધુ માહિતી આપવાનો રાયે ઇન્કાર કરી દીધો છે. વિનોદ રાયના નેતૃત્વમાં સમિતિ વાતચીત કરવા માટે તૈયાર થઇ ચુકી છે. વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયા રવિવારના દિવસે મુંબઈ આવવા માટે રવાના થશે. ભારતની સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ૧૮ રને હાર થઇ હતી જ્યારે ગ્રુપ તબક્કામાં ભારતીય ટીમ ટોપ ઉપર રહી હતી. રાયે કહ્યું છે કે, ભારતના અભિયાનનો હજુ અંત આવ્યો નથી. ક્યાં ક્યારે અને કઇરીતે તે સંદર્ભમાં હાલમાં પ્રશ્નોના જવાબ તેઓ આપવાની સ્થિતિમાં નથી. કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદને જવાબ આપવાની ફરજ પડી શકે છે. ખાસ કરીને છેલ્લી સીરીઝ સુધી અંબાતી રાયડુની પસંદગી નક્કી દેખાઈ રહી હતી પરંતુ એકાએક રાયડુને ચોથા નંબરથી બહાર કઇરીતે કરી દેવામાં આવ્યો તેને લઇને પ્રશ્ન કરવામાં આવશે.

રાયડુનું નામ રિઝર્વમાં હોવા છતાં બે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છતા તેને કેમ બોલાવવામાં આવ્યો ન હતો તે અંગે નિર્ણય લેવામાં આવશે. રાયડુએ તેની અવગણના થતાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી. બીજી બાબત એ છે કે, ટીમમાં ત્રણ વિકેટકીપર કેમ રાખવામાં આવ્યા હતા. દિનેશ કાર્તિકની જરૂર શું હતી જે લાંબા સમયથી ફોર્મમાં પણ ચાલી રહ્યો ન હતો. કાર્તિક ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની અને રિષભ પંત પણ ટીમમાં હતા. સેમિફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોનીને સાતમાં નંબર ઉપર બેટિંગમાં કેમ ઉતારવામાં આવ્યો હતો તે પણ તપાસનો વિષય થઇ ગયો છે. એમ માનવામાં આવે છે કે, ધોનીને નિચલા ક્રમમાં મોકલવાનો નિર્ણય બેટિંગ કોચ સંજય બાંગર દ્વારા લેવામાં આવ્યો હતો. સહાયક કોચના આ નિર્ણયને મુખ્ય કોચ દ્વારા વિરોધ કેમ કરવામાં આવ્યો ન હતો. વર્તમાન પસંદગી સમિતિ બીસીસીઆઈની સામાન્ય સભાની બેઠક સુધી યથાવત રહેશે. આવી સ્થિતિમાં પ્રસાદને પસંદગી બેઠકોમાં વધારે સક્રિય રહેવા માટે કહેવામાં આવી ચુક્યું છે.

હકીકતમાં સમસ્યા પ્રસાદના લીધે નહીં બલ્કે શરણદીપસિંહ અને દેવાંગ ગાંધીથી લઇને છે. કારણ કે, કેટલાક લોકો માની રહ્યા છે કે, તેમનું કોઇ યોગદાન રહેતું નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી વહીવટીકારોની સમિતિ હવે તપાસ કરવા માટે ઇચ્છુક છે. વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી પરત ફર્યા બાદ વિશ્વકપમાં દેખાવની સમીક્ષા થશે. આ સમિતિમાં વિનોદરાય અધ્યક્ષ તરીકે છે. મુખ્ય પસંદગીકાર પણ સકંજામાં આવશે.

(8:38 pm IST)