Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ઈતિહાસમાં પહેલીવાર નાણામંત્રીએ પત્રકારો માટે પ્રવેશબંધી ફરમાવીઃ મીડિયાજગત લાલઘુમઃ આજ સાંજની પોસ્ટ બજેટ ડીનર પાર્ટીનો બહિષ્કાર

નોર્થ બ્લોકના દરવાજા પત્રકાર આલમ માટે બંધ કરી દેવાતા હવે 'અંદર'ની કોઈ વાત બહાર નહિ આવે

નવી દિલ્હી, તા. ૧૨ :. ઈતિહાસમાં પહેલીવાર નિર્મલા સિતારામનના નેતૃત્વવાળા કેન્દ્રીય નાણા મંત્રાલયે નોર્થ બ્લોકમાં પત્રકારો-મીડીયાના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતા જબરો ઉહાપોહ મચી જવા પામ્યો છે. જેમની પાસે પીઆઈબીના એક્રીડેશન કાર્ડ હોય તેમને પણ અગાઉથી લીધેલી પરવાનગી વગર અંદર જવા દેવાતા નથી. આ સામે પત્રકાર આલમમાં જબરો રોષ ફેલાયો છે અને આજે રાત્રે દિલ્હીની તાજમહાલ હોટલ ખાતે નાણામંત્રી સિતારામન દ્વારા રાત્રે ૮ કલાકે યોજાયેલ બજેટ પછીની ડીનર પાર્ટીનો ૧૦૦ જેટલા પત્રકારોએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હોવાનું આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ 'ધ કવીન્ટ'ને જણાવ્યુ હતું. અત્રે એ નોંધનીય છે કે, નાણામંત્રી સિતારામનના કાર્યાલયે એક સ્પષ્ટીકરણ બહાર પાડી જણાવ્યુ છે કે, નાણા મંત્રાલયની અંદર મીડિયા કર્મચારીઓના પ્રવેશ સંબંધમાં એક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે અને મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ ઉપર કોઈ પ્રતિબંધ નથી.

છેલ્લા ૯ વર્ષથી નાણા મંત્રાલયનું રીપોર્ટીંગ કરતા એક વરિષ્ઠ પત્રકારે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યુ હતુ કે, જે નિયંત્રણો મુકવામાં આવ્યા છે તે અન્યાયી અને હીટલરશાહીના દર્શન કરાવે છે. તેમણે કહ્યુ હતુ કે, નિર્મલા સિતારામને પોતે સત્તાવાર રીતે નથી કહ્યુ કે અમારે કોઈને મળવુ નથી, પરંતુ જો નાણામંત્રી એવુ કહે કે આસપાસ પત્રકારો હોવા ન જોઈએ તો અધિકારીઓ અમને મળવાનું જોખમ નહિ લ્યે.

સિતારામને એવુ સૂચન કર્યુ હતુ કે, પત્રકારો સાથે રોજરોજ વાતચીત કરવામા આવશે પરંતુ પત્રકારોએ કહ્યુ હતુ કે આ પત્રકાર પરિષદ એક તરફી રહેતી હોય છે. કેટલીક વખત પત્રકારો ઓફ ધ રેકોર્ડ બ્રીફીંગ અમુક બાબતો માટે કે નીતિવિષયક સ્પષ્ટતાઓ માટે ઈચ્છતા હોય છે. હવે સરકારની આ નીતિથી સરકાર અને પત્રકારો વચ્ચે વાતચીત કરવાનું ટળી ગયુ છે. પત્રકારોનું કહેવુ છે કે મોદી સરકારમાં આ પ્રકારનું વર્તન કદી જોયુ નથી. નાણા મંત્રાલયના આ પગલાના અન્ય મંત્રાલયો ઉપર પણ ઘેરા પડઘા પડશે અને હવે અન્ય મંત્રાલયો પણ પત્રકારો માટે દરવાજા બંધ કરશે.

અત્રે નોંધનીય છે કે બજેટ રજૂ થયા બાદ મંત્રાલયના ગેટ પર તૈનાત ગાર્ડ એપોઈન્ટમેન્ટ વગર પત્રકારોને અંદર જવા દેતા નથી. એટલુ જ નહિ પીઆઈબી કાર્ડ ધારકોને પણ અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

નાણા મંત્રાલયમાં પત્રકારો માટે પ્રવેશબંધી ફરમાવાતા સમગ્ર પત્રકાર આલમમાં ભારે રોષ ફેલાય ગયો છે. પત્રકારો માટે પ્રવેશબંધી થતા હવે અંદરની કોઈ વાત બહાર આવશે નહિ. સરકાર ઈચ્છશે તે જ બાબતો બહાર આવશે.

(10:21 am IST)