Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

બે બાળકો પછી નસબંધીનો પ્રસ્તાવ

ભાજપ-સંઘ હવે વસ્તી નિયંત્રણને મોટો એજન્ડા બનાવશેઃ પ્રાઇવેટ બિલ રજુ થશે

નવી દિલ્હી, તા.૧૨: ભાજપ અને સંદ્ય હવે વસ્તી નિયંત્રણને મોટો એજન્ડા બનાવી રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ભાજપના એમપી રાકેશ સિંહાએ શુક્રાવારે તે અંગેનું પ્રાઈવેટ બિલ પણ રજૂ કરે તેવી શકયતા છે. આ બિલમાં પ્રસ્તાવ છે કે, સમુદાય, ક્ષેત્ર કે જાતિ બધા સ્તરો પર તેને સમાન રીતે લાગુ કરવામાં આવે. તે ઉપરાંત બે બાળકો પછી નસબંધીનો પણ પ્રસ્તાવ છે.

સૂત્રો મુજબ, આ બિલ પર ચર્ચા દરમિયાન ભાજપ પણ પોતાની ઈચ્છા દર્શાવી શકે છે. આ બિલમાં કહેવાયું છે કે, ૧૯૯૯માં કરુણાકરણ કમિટીએ વસ્તી નિયંત્રણની દિશામાં જે સૂચનો કર્યા હતા, તેને જ લાગુ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર બીજી ટર્મમાં સત્તા આવ્યા બાદ આ મુદ્દે દ્યણી સક્રિયતા બતાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ થયેલી ચર્ચામાં સત્તાધારી પક્ષના પાંચ સાંસદોએ દેશમાં વસ્તી નિયંત્રણ કાયદાની જરૂરિયાતની વાત કરી હતી.

વસ્તી નિયંત્રણ કાયદો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડામાં પણ સામેલ છે. સંઘ ઘણી વખત તેને લઈને વાત કરતું રહ્યું છે. સંઘની અખિલ ભારતીય કાર્યકારિણી મંડળમાં વસ્તી નીતિને બધા પર સમાન રીતે લાગુ કરવાનો પ્રસ્તાવ પણ પસાર કરી ચૂકાયો છે. સંઘના પ્રસ્તાવમાં કહેવાયું છે કે, અખિલ ભારતીય કાર્યકારિણી મંડળ બધા સ્વયંસેવકો સહિત દેશવાસીઓનું આહવાહન કરે છે કે તે પોતાની રાષ્ટ્રીય ફરજ માનીને વસ્તીમાં અસંતુલન ઊભા કરી રહેલા બધા કારણોની ઓળખ કરી જનજાગૃતિ દ્વારા દેશને વસ્તીના અસંતુલનથી બચાવવાના બધા કાયદામાં રહીને પ્રયાસ કરે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંદ્ય પ્રમુખ મોહન ભાગવતે ત્રણ દિવસની લેકચર સીરિઝ બાદ દ્યણા સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન તેમણે વસ્તી નિયંત્રણ સાથે સંલગ્ન સવાલનો પણ જવાબ આપ્યો.

તેમને પૂછવામાં આવ્યું કે, વસ્તી નિયંત્રણ કાયદો આવવો જોઈએ? જેના જવાબમાં સંદ્ય પ્રમુખે કહ્યું કે, વસ્તી વિશે જે નીતિ છે, તેના પર ફરીથી વિચાર કરવો જોઈએ કે તે આગામી ૫૦ વર્ષના હિસાબે હોય. જે પણ નીતિ બને છે, તેના બધા પર સમાન રીતે લાગુ કરવામાં આવે, કોઈને છૂટ ન હોય. જયાં સમસ્યા છે, ત્યાં પહેલા ઉપાય થાય. જયાં બાળકોનું પાલન કરવાની ક્ષમતા નથી, વધુ બાળકો પેદા થઈ રહ્યા છે, તો પહેલા ત્યાં લાગુ થાય. કાયદાની સાથે જ બધાનું મન ઘડવું પડશે. ડેમોગ્રાફિક અસંતુલન મતભેદને કારણે પણ થાય છે અને ઘૂસણખોરીના કારણે પણ. તે દેશની સંપ્રભુતાને પડકાર આપે છે, તેની કડક રીતે વ્યવસ્થા થવી જોઈએ.

(10:15 am IST)