News of Saturday, 12th May 2018
પટના :રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો અને હાલ ઘાસચારા કૌભાંડમાં જેલની સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવના કાલે લગ્ન છે આ લગ્નમાં 10 હજાર મહેમાન આવશે. લાલુ પ્રસાદની પુત્રી મીસાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ ખાસ આમંત્રણ આપ્યું છે અને લગ્ન સમારંભમાં હાજરી આપવા કહ્યું છે.બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી પણ હાજર રહી શકે છે.
લાલુએ આમંત્રણ આપતા કહ્યું છે કે, ‘તેજપ્રતાપના લગ્નમાં સૌએ જાનૈયા બનવાનું છે.’ લાલુને એરપોર્ટ પર જોઈને પુત્ર તેજપ્રતાપ અને તેજસ્વી ભાવુક થઈ ગયા હતા. બંનેની આંખોમાં પાણી આવી ગયાં હતાં.
મીસા ભારતીએ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર સાથે પણ મુલાકાત કરી હતી અને ભાઈના લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું હતું. હવે મીસા ભારતીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેજપ્રતાપના લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું છે. મીસાએ કહ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ તેજપ્રતાપના લગ્નમાં આવે તેમ અમે ઇચ્છીએ છીએ.’
આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવના 12મી મેએ લગ્ન છે. બિહારના રાજકીય પરિવારના આ લગ્ન ઘણા ચર્ચામાં છે. લગ્નમાં દેશના ઘણા વીઆઈપી અને વીવીઆઈપી હાજર રહે તેવી સંભાવના છે. જ્યારે લાલુપ્રસાદની મોટી પુત્રી મીસા ભારતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, તેઓ તેમના ભાઈ તેજપ્રતાપના લગ્નમાં જરૂર આવે. આ સાથે મીસાએ લાલુ યાદવના પેરોલ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
લાલુના પેરોલ પર પણ મીસાએ સવાલ ઉઠાવતા કહ્યું છે કે, ‘આટલી શરતો સાથે પહેલી વાર પેરોલ જોઈ રહી છું. અમે ઘણા ઓછા સમય માટે પેરોલ માગ્યા હતા. ઘાસચારા કૌભાંડમાં જેલની સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ મોટા પુત્ર તેજપ્રતાપના લગ્નમાં હાજરી આપવા માટે શરતી પેરોલ પર ત્રણ દિવસ માટે પટનામાં છે. લાલુના આવતા જ પરિવારે તેમનું સ્વાગત કર્યું હતું. લાલુ આગામી ત્રણ દિવસો સુધી અહીં રહેશે અને લગ્નમાં આવનારા મહેમાનોનું સ્વાગત કરશે અને ત્યાર બાદ પાછા રાંચીની હોટવાર જેલમાં રવાના થઈ જશે
. આ દરમિયાન તેઓ મીડિયા સાથે વાત નહિ કરે તથા અન્ય કોઈ કાર્યક્રમમાં પણ હાજરી નહિ આપે. લાલુએ તેજપ્રતાપનાં લગ્નમાં સામેલ થવા માટે જેલ મેનેજેન્ટ પાસે પાંચ દિવસના પેરોલ માગ્યા હતા. જોકે તેમને ત્રણ દિવસના જ પેરોલ આપવામાં આવ્યા. આ પેરોલ સાથે શરત રાખવામાં આવી છે કે, તેઓ આ દરમિયાન પટનામાં જ રહેશે અને કોઈ પણ પ્રકારની નિવેદન નહિ કરે.
શનિવારે 12 મેના રોજ લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપનાં લગ્ન છે. સાંજે સાત વાગ્યે જાન લાલુ પ્રસાદના ઘરેથી પટના એરપોર્ટ નજીક વેટનરી કૉલેજના મેદાન તરફ જશે. વેટનરી મેદાનમાં બનેલા મંચ પર જયમાલાની રસમ થશે અને અહીં જ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે લગ્ન ચંદ્રિકા રાયના સરકારી નિવાસસ્થાન 5 સર્કુલર રોડ વિસ્તારમાં થશે. સગાઈ 18 એપ્રિલે પટનાની હોટેલ મૌર્યામાં થઈ હતી, જેમાં લાલુ હાજર રહી શક્યા નહોતા.