Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

નિયંત્રણોને પગલે ૩૦ ટકા વેપાર ઘટ્યોઃ રીટેલ બજારોમાં ગ્રાહકો અડધા

કોરોનાના કારણે વિવિધ રાજ્યોએ મુકેલા નિયંત્રણોથી વેપાર-ધંધાને જબરૂ નુકશાનઃ રાજ્યો વચ્ચે સામાનની અવરજવર ઘટીઃ વેપારીઓ વચ્ચેની લેવડદેવડ પણ ૧૫ થી ૨૦ ટકા ઘટી : અનેક બજારોમા હજુ કાગડા ઉડી રહ્યા છેઃ સાંજ પછી ધંધો કરતા વેપારીઓની માઠીઃ એમએસએમઈને પણ નુકશાન

નવી દિલ્હી, તા. ૧૨ :. દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને તેને કારણે અનેક રાજ્યોએ ટ્રેડ અને ટ્રાવેલને લઈને પ્રતિબંધો મુકયા છે. દેશના વેપારી સમુદાયની સૌથી મોટી સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સના જણાવ્યા પ્રમાણે આ નિયંત્રણોને કારણે રીટેલ બજારમાં ૩૦ ટકાના વેપારને નુકશાન થયુ છે. કોરોનાને રોકવા માટે રાજ્યો દ્વારા લગાવવામાં આવેલા રાત્રી કર્ફયુ, આંશિક લોકડાઉન જેવા પગલાઓને કારણે એક જ સપ્તાહની અંદર આટલુ ભારે નુકશાન થયુ છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે લોકડાઉન અને રાત્રી કર્ફયુથી લોકોના મગજમા ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. આ સંસ્થા દેશભરના ૪૦ હજારથી વધુ ટ્રેડ એસો.નો અને ૫ કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

સંસ્થાના જણાવ્યા પ્રમાણે એકથી બીજા રાજ્યોમાં સામાનની અવરજવર પણ ઘટી છે અને વેપારીઓ વચ્ચે આ પ્રકારની લેવડદેવડ પણ ૧૫થી ૨૦ ટકા ઘટી છે. આ સિવાય રીટેલ બજારમાં ગ્રાહકોની સંખ્યા પણ ૫૦ ટકા થઈ ગઈ છે.

સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભરતીયા અને સેક્રેટરી ખંડેલવાલે જણાવ્યુ છે કે ગ્રાહકોની ગેરહાજરી અને વેપારમાં ઘટાડો પંજાબ, મહારાષ્ટ્ર, યુપી, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી નોંધાયો છે. દિલ્હી, પંજાબ, ગુજરાત, ઓડીશા, રાજસ્થાન અને યુપીમાં નાઈક કર્ફયુ પહેલેથી છે. જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત કેટલાક રાજ્યોએ નિયંત્રીત લોકડાઉન લાદયુ છે. સંસ્થાએ મહારાષ્ટ્રને ૧૧ થી ૫ સુધીની બજારો ચાલુ રાખવા સૂચન કર્યુ છે.

સંસ્થાએ એમએસએનઈ પર પણ અસર પડી હોવાનુ જણાવ્યુ છે. જો કે સત્તાવાર ડેટા મળ્યો નથી.

વિવિધ રાજ્યોમાં નાઈટ કર્ફયુને કારણે નાના ધંધાર્થીઓનો મરો થઈ ગયો છે. સૌથી વધુ નુકશાન હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને થયુ છે.

(9:49 am IST)