Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અબૂધાબીમાં બનશે પ્રથમ હિન્દુ મંદિર, એપ્રિલમાં ભૂમિપૂજન

સંયુકત અરબ અમીરાત (યુએઇ)ની રાજધાનીમાં મંદિર બનાવવાની યોજનાને ૨૦૧૫માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રથમ દુબઇ પ્રવાસ દરમિયાન અબૂધાબી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી

દુબઇ તા. ૧૨ : અબુ ધાબીમાં આ વર્ષે એપ્રિલમાં પ્રથમ હિન્દુ મંદિરનો પાયો નાખવામાં આવશે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. સંયુકત અરબ અમીરાત (યૂએઇ)ની રાજધાનીમાં મંદિર બનાવવાની યોજનાને ૨૦૧૫માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રથમ દુબઇ પ્રવાસ દરમિયાન અબૂ ધાબી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

ગલ્ફ ન્યૂઝના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વવ્યાપી હિન્દુ ધાર્મિક અને નાગરિક સંગઠન, BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મંદિરનો પાયો નાખવાનો સમારોહ ૨૦ એપ્રિલે યોજવામાં આવશે. જેની અધ્યક્ષતા BAPS સ્વામિનારાયણ સંસ્થાના હાલના ગુરૂ અને અધ્યક્ષ મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવશે.

આધ્યાત્મિક ગુરૂ ૧૮થી ૨૯ એપ્રિલની વચ્ચે યૂએઇમાં રહેશે. અબુધાબીના યુવરાજ (ક્રાઉન પ્રિંસ) શેખ મોહમ્મદ બિન ઝાએદ અલ નહયને મંદિરના નિર્માણ માટે ૧૩.૫ એકર જમીન ભેટમાં આપી છે. યૂએઇ સરકારે આ જમીન મંદિર પરિસરમાં પાર્કિંગ સુવિધાના નિર્માણ માટે આપી છે.

અબૂ ધાબીમાં લગભગ ૩૦ લાખ ભારતીયો રહે છે. આ ત્યાંની કુલ આબાદીનો લગભગ ૩૦ ટકા ભાગ છે. ત્યાં આ અર્થતંત્રને આકાર આપવા માટે આ વસ્તીનું મોટું યોગદાન છે. ત્યાં હિન્દૂઓની મોટી વસતી હોવા છતાં હજી સુધી અબુ ધાબીની રાજધાનીમાં હિન્દુ મંદિર નથી. તેની સરખામણીએ દૂબઇમાં બે મંદિર અને એક ગુરૂદ્વારા છે. એટલા માટે અબુ ધાબીના સ્થાનીક હિન્દુઓને પુજા અથવા લગ્ન જેવા પ્રંસગો માટે દુબઇ જવું પડે છે. તેના માટે લગભગ ૩ કલાકની લાંબી યાત્રા કરવી પડે છે. આ મુશ્કેલીઓને જોઇને યૂએઇ સરકારે આ મંદિર માટે જમીન આપવાનો નિર્ણય કર્યો હતો.

આ મંદિર અબુ ધાબીથી ૩૦ મિનિટ દૂર હાઇવે પાસે 'અબૂ મુરેખા'નામની જગ્યા પર બનશે. આ મંદિરમાં શિવ, કૃષ્ણ અને અયપ્પા ભગવાનની મૂર્તિઓ હશે. અયપ્પાને વિષ્ણુ ભગવાનનો એક અવતાર માનવામાં આવે છે અને કેરળમાં તેમની પૂજા કરવામાં આવે છે. આ મંદિરના નિર્માણની ઝુંબેશ ચલાવનાર અબૂ ધાબીના જાણીતા ભારતીય કારોબારી બીઆર શેટ્ટી છે. તેઓ 'યૂએઇ એકસચેન્જ' નામની કંપનીના એમડી અને સીઇઓ છે.

આ સાથે જ આ મંદિર પરિસરમાં એક સુંદર ગાર્ડન અને મનમોહિ લે તેવો વોટર ફ્રંટ હશે. આ મંદિર પરિસરમાં પ્રયટક કેન્દ્ર, પ્રાર્થના સભા માટે સ્થાન, પ્રદર્શન અને બાળકો માટે રમવાની જગ્યા સંબંધિત વિષયોથી જોડાયેલ ગાર્ડન, વોટર ફ્રંટ, ફૂડ કોર્ટ, બુક અને ગિફટની દુકાનો હશે.(૨૧.૧૧)

(11:18 am IST)