Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

રાજનૈતિક વંશવાદ દેશનો સૌથી મોટો દુશ્મનઃ યુવાનોની રાજનીતિમાં એન્ટ્રી મહત્વપૂર્ણ

પી.એમ. મોદીએ સ્વામી વિવેકાનંદની જયંતિ પર દેશના યુવાઓને કર્યું સંબોધન

નવી દિલ્હી તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ)ના સમાપન સમારોહને સંબોધિત કર્યું. આ દરમિયાન મહોત્સવના મહોત્સવના ત્રણ રાષ્ટ્રીય વિજેતાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા. આ અવસરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય યુવા મામલા તથા ખેલ મંત્રી કિરણ રિજિજૂ પણ ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાને કહ્યું કે, આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની અનેક શુભકામનાઓ. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો આ દિવસ આપણને નવી પ્રેરણા આપે છે. વડાપ્રધાને કહ્યું કે આજનો દિવસ એટલા માટે વિશેષ છે કારણ કે આ વખતે યુવા સંસદ દેશની સંસદના સેન્ટ્રલ હોલમાં થઈ રહી છે. આ સેન્ટ્રલ હોલ આપણા બંધારણના નિર્માણનો સાક્ષી છે. આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ છે. યુવાઓએ તેનાથી દૂર રહેવું જોઈએ.

મોદીએ કહ્યું કે, સમય પસાર થતો રહ્યો, દેશ આઝાદ થઈ ગયો પરંતુ આપણે આજે પણ જોઈએ છીએ કે સ્વામીજીનો પ્રભાવ હજુ પણ એટલો જ છે. અધ્યાત્મને લઈને તેઓએ જે કહ્યું, રાષ્ટ્રવાદ-રાષ્ટ્રનિર્માણને લઈને તેઓએ જે કહ્યું, જનસેવા-જગસેવાને લઈને તેમના વિચાર આજે આપણા મન-મંદિરમાં એટલી જ તીવ્રતાથી પ્રવાહિત થાય છે. તેઓએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે વધુ એક અનમોલ ભેટ આપી છે. આ ઉપહાર છે, વ્યકિતઓના નિર્માણની, સંસ્થાઓના નિર્માણની. તેની ચર્ચા ખૂબ ઓછી થઈ રહી છે.

વડાપ્રધાને કહ્યું કે, લોકો સ્વામીજીના પ્રભાવમાં આવે છે, સંસ્થાઓનું નિર્માણ કરે છે, પછી તે સંસ્થાઓથી એવા લોકો નીકળે છે જે સ્વામીજીના દર્શાવેલા માર્ગ પર ચાલતા નવા લોકોને જોડે છે. વ્યકિતથી સંસ્થાઓ અને સંસ્થાઓથી વ્યકિત સુધી, આ ચક્ર ભારતની બહુ મોટી તાકાત છે.

પીએમ મોદીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રીય ભાવના અને ચેતનાને જગાવ્યા. તે સમયે આઝાદી જંગ લડી રહ્યા હતા તેઓ સ્વામી વિવેકાનંદજીથી પ્રેરિત હતા તેમની ધરપકડના સમયે વિવેકાનંદના ઇતિહાસથી સંબંધિત સાહિત્ય ચોક્કસ મળતો હતો.

વડાપ્રધાને કહ્યું કે, સ્વામીજી જ હતા જેઓએ તે સમયે કહ્યું હતું કે નિડર, સાફ હૃદયવાળા, સાહસી અને આકાંક્ષી યુવા જ એ પાયો છે જેની પર રાષ્ટ્રનું ભવિષ્ય નિર્માણ થાય છે. તે યુવાઓ પર, યુવા શકિત પર આટલો વિશ્વાસ રાખતા હતા. તેઓએ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્ર-નિર્માણની દિશામાં એક પગલું છે. આપણે આ ઇકો-સિસ્ટમને બનાવી રહ્યા છીએ, જે આપણા યુવાઓને અહીં સારી તકો આપશે.

(4:43 pm IST)