Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મંદિરોમાં માત્ર ‘નમસ્‍કાર' : દંડવત પ્રણામ ઉપર પ્રતિબંધ

ગુજરાતના મોટાભાગના મંદિરોમાં કોરોના મહામારીને કારણે સાષ્‍ટાંગ દંડવત પ્રણામ ઉપર પ્રતિબંધ મૂકાયો : માત્ર ૨ હાથ જોડી પ્રણામ - પ્રાર્થના કરવાની : ઘંટ પણ વગાડવાની મનાઇ : આકરી ગાઇડલાઇન્‍સ

નવી દિલ્‍હી તા. ૧૨ : મંદિરમાં ભક્‍તોને તમે ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરતાં જોયા હશે. પરંતુ કોરોના મહામારીના કારણે ગુજરાતના મોટાભાગના મંદિરોમાં સાષ્ટાંગ પ્રણામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્‍યો છે. કોવિડ-૧૯ના સમયમાં કોઈ પણ વ્‍યક્‍તિ સાથે મુલાકાત કરતી વખતે, તેમને ભેટવા કરવા બે હાથ જોડીને નમસ્‍તે કરવું તે સૌથી સુરક્ષિત રીત છે. ભારત પાસેથી આ વાત આખી દુનિયાએ શીખી છે. ત્‍યારે ભક્‍તોએ પણ હવે મંદિરમાં ભગવાન સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરીને સંતોષ માનવો પડશે.

સામાન્‍ય રીતે, ભક્‍તો મંદિરમાં જમીન પર ઊંઘા ઊંઘે છે અને પોતાના બંને હાથ ભગવાન તરફ કરે છે. જો કે, હવે આ બધું સામાન્‍ય રહ્યું નથી. અમદાવાદ અને અન્‍ય સ્‍થળો સહિત લગભગ મોટાભાગના મંદિરોએ કોરોના ગાઈડલાઈન્‍સ બહાર પાડી છે અને મંદિરના પ્રાંગણમાં ભક્‍તોને સાષ્ટાંગ પ્રણામ ન કરવાની સૂચના આપી છે. આ સિવાય ભક્‍તો ઘંટ પણ વગાડી શકશે નહીં. તેઓ માત્ર બે હાથ જોડીને ભગવાન સમક્ષ પ્રાર્થના કરી શકશે.

‘જમીન પરથી લોકોને ચેપ ન લાગે તે માટે મંદિરની અંદર દંડવત પ્રમાણ કરવા પર પ્રતિબંધ છે. હકીકતમાં, આરતી દરમિયાન પણ ભક્‍તોને મંદિરની અંદર ઊભા રહેવાની મંજૂરી નથી. કોવિડ-૧૯ દરમિયાન ભક્‍તો ભગવાનની પ્રાર્થના કરીને કોઈને સંપર્કમાં આવ્‍યા વગર મંદિરમાંથી બહાર જતા રહે તે સુનિヘતિ કરવાનો પ્રયાસ છે', તેમ ભગવાન શિવના ભારતના આવેલા ૧૨ પવિત્ર જયોતિર્લિંગમાંથી પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના મેનેજર વિજય ચાવડાએ જણાવ્‍યું હતું.

ડેપ્‍યુટી કલેક્‍ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્‍થાન ટ્રસ્‍ટ (SAAMDT)ના વહીવટદાર એસ.જે. ચાડવાએ કહ્યું કે, સાષ્ટાંગ પ્રણામ પર ત્રણ કારણથી પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. ‘એક તો, તે લોકડાઉન ખુલ્‍યા બાદ મંદિરો માટેની ગાઈડલાઈન્‍સનો ભાગ છે. બીજું, ભક્‍તોને કોઈ પણ ચેપથી સંક્રમિત થતાં બચાવવા માટે અને ત્રીજું અને સૌથી જરૂરી એ ખાતરી કરવા માટે કે શ્રદ્ધાળુઓ ફરતા રહે અને ભીડમાં અન્‍ય લોકો સાથે મર્યાદિત સંપર્કમાં આવે', તેમ ચાવડાએ કહ્યું હતું.

ડાકોર મંદિરના રવિન્‍દ્ર ઉપાધ્‍યાયે જણાવ્‍યું હતું કે, સાષ્ટાંગ પ્રણામની મંજૂરી નથી કારણ કે, મંદિરના સત્તાધીશો કોવિડના સમયમાં ઓછા લોકો એકબીજાના સંપર્કમાં આવે તેમ ઈચ્‍છે છે.

(10:42 am IST)